Mumbai,તા.09
બોલીવૂડમાં એવા ઘણા કલાકારો છે જેમણે સફળતાના શિખરે પહોંચતા પહેલાં વર્ષો સુધી આકરા રિજેક્શનનો સામનો કરવો પડ્યો છે. આજે આપણે ફિલ્મ ઇન્ડિસ્ટ્રીની એક એવી જ લેડી સુપરસ્ટારની વાત કરી રહ્યા છીએ, જેણે આ ખાસ મુકામ સુધી પહોંચવા માટે અત્યંત દર્દનાક અને માનસિક સંઘર્ષનો તબક્કો વેઠ્યો છે. આપણે વાત કરી રહ્યા છીએ બોલીવૂડની એવરગ્રીન અને પ્રખ્યાત અભિનેત્રી વિદ્યા બાલનની. આજે ઇન્ડસ્ટ્રીમાં તેને શ્રેષ્ઠ એક્ટિંગ અને પાવરફુલ પાત્રો માટે ઓળખવામાં આવે છે, પરંતુ તેની કરિયરના શરૂઆતના દિવસો કોઈ ખરાબ સપનાથી કમ નહોતા. કરિયરની શરૂઆતમાં જ ફિલ્મમેકર્સે તેના પર ‘મનહૂસ’ હોવાનો સિક્કો મારી દીધો હતો અને એક પછી એક 13 ફિલ્મોમાંથી તેને બહારનો રસ્તો બતાવી દેવાયો હતો. જોકે, આટલા આકરા તિરસ્કાર પછી પણ આ હસીનાએ ક્યારેય હિંમત ન હારી અને પોતાની દમદાર એક્ટિંગના જોરે એવો પલટવાર કર્યો કે બોલીવૂડનો ઇતિહાસ બદલાઈ ગયો.
એક એવો સમય હતો જ્યારે ફિલ્મમેકર્સ વિદ્યા બાલનને ફિલ્મ માટે અશુભ માનવા લાગ્યા હતા. શરૂઆતમાં વિદ્યાએ જે સાઉથના પ્રોજેક્ટ્સ સાઇન કર્યા હતા તે કોઈને કોઈ કારણસર બંધ પડી ગયા. બસ, આ જ વાતને પકડીને મેકર્સે તેને અનલકી ગણાવી દીધી અને જોતજોતામાં 13 ફિલ્મોમાંથી તેને રિજેક્ટ કરી દેવામાં આવી. આ સતત મળેલા નકારાત્મક પ્રતિસાદ અને લોકોના કડવા વર્તને વિદ્યા બાલનનો આત્મવિશ્વાસ સંપૂર્ણપણે હચમચાવી દીધો હતો અને તે અંદરથી ખરાબ રીતે તૂટી ગઈ હતી.
એક ઇન્ટરવ્યુમાં વિદ્યાએ પોતાના એ દર્દને શેર કરતા જણાવ્યું હતું કે, ઇન્ડસ્ટ્રીના શરૂઆતના દિવસોમાં લોકો જ્યારે તેને ‘મનહૂસ’ કહેતા ત્યારે એ વાતો તેના દિલ પર એટલી ઊંડી અસર કરતી કે તે ઘણીવાર આખી રાત રડી-રડીને સૂઈ જતી હતી.વિદ્યા બાલને ખૂબ જ નાની ઉંમરે ઝી ટીવીના પ્રખ્યાત સિટકૉમ શો ‘હમ પાંચ’થી પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. આ ટીવી શો એ સમયે સુપરહિટ રહ્યો હતો અને તેના કારણે વિદ્યા માટે ફિલ્મોના દરવાજા પણ ખુલ્યા હતા. જોકે, ફિલ્મી સફર ધાર્યા જેટલી સરળ નહોતી.
તેણે પોતાના એક ડ્રીમ પ્રોજેક્ટ ‘ચક્રમ’ વિશે ખુલાસો કરતા જણાવ્યું હતું કે, તે એક એડ શૂટના સિલસિલામાં સાઉથ ઇન્ડિયા ગઈ હતી, જ્યાં ફિલ્મમેકર્સ ઓડિશન લઈ રહ્યા હતા. આ દરમિયાન તેને ફિલ્મ ‘ચક્રમ’ માટે ઇન્ટરવ્યુ આપવા કહેવામાં આવ્યું. વિદ્યાની માતા સાઉથના સુપરસ્ટાર મોહનલાલની બહુ મોટી ફેન હોવાને કારણે તેમણે વિદ્યાને તરત જ હા પાડી દીધી હતી. પરંતુ અફસોસ કે ત્યાં પણ તેને ભારે રિજેક્શન અને નિષ્ફળતાનો સ્વાદ ચાખવો પડ્યો હતો. આમ છતાં, બાળપણથી જોયેલા અભિનેત્રી બનવાના સપનાને પૂરું કરવા માટે વિદ્યા ફરી બેઠી થઈ.ધીમે-ધીમે પોતાની મહેનતથી બોલીવૂડમાં જગ્યા બનાવ્યા બાદ વિદ્યા બાલનની કરિયરમાં સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ વર્ષ 2010માં આવ્યો. આ વર્ષે તેની ફિલ્મ ‘નો વન કિલ્ડ જેસિકા’ રિલીઝ થઈ, જે સાચી ઘટના પર આધારિત હતી અને તેણે દર્શકોના દિલ જીતી લીધા.

