Devbhoomi Dwarka,તા.૯
Devbhoomi Dwarka જિલ્લામાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો દ્વારા વધુ એક સફળ ટ્રેપ હાથ ધરવામાં આવ્યો છે. હરીપર ગામ ખાતે આવેલી કાળા પથ્થરની ખાણ સંબંધિત મામલે ફરિયાદીને હેરાનગતિ ન કરવા બદલ લાંચની માંગણી કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે.
મળતી માહિતી મુજબ, હરીપર ગામમાં કાળા પથ્થરની ખાણની કામગીરી સાથે સંકળાયેલા ફરિયાદી અને તેમના ભાગીદાર પાસેથી હરીપર ગ્રામ પંચાયતના સરપંચના પતિ ડાયાભાઈ અરજણભાઈ પરમાર દ્વારા શરૂઆતમાં ૩૦ લાખની લાંચની માંગણી કરવામાં આવી હતી. બાદમાં થયેલી રકઝક દરમિયાન આ રકમ ૨૦ લાખ સુધી નક્કી થઈ હોવાનું એસીબીની કાર્યવાહી દરમિયાન સામે આવ્યું છે.
આ કરાર મુજબ પ્રથમ હપ્તા તરીકે ૫ લાખની રકમ આપવાની માંગણી કરવામાં આવી હતી. ફરિયાદી લાંચ આપવા ઇચ્છતા ન હોવાથી તેમણે એસીબીનો સંપર્ક કર્યો હતો અને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. ફરિયાદના આધારે એસીબી દ્વારા કલ્યાણપુર ખાતે દ્વારકાધીશ કોમ્પ્લેક્સમાં આવેલી ફરિયાદીના મિત્રની ઓફિસમાં ટ્રેપ ગોઠવવામાં આવ્યો હતો. ટ્રેપ દરમિયાન ડાયાભાઈ અરજણભાઈ પરમાર તથા જીવાભાઈ અરજણભાઈ પરમારએ ફરિયાદી પાસેથી ૫ લાખની લાંચની રકમ માંગીને સ્વીકારી હતી.એસીબીની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને બંને આરોપીઓને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. ટ્રેપ દરમિયાન લાંચની સંપૂર્ણ ૫ લાખની રકમ પણ કબજે લેવામાં આવી હતી. આ સમગ્ર મામલે એસીબી દ્વારા આરોપીઓ વિરુદ્ધ ભ્રષ્ટાચાર સંબંધિત ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વધુ તપાસ ચાલુ છે.

