New Delhi,તા.14
શીયાળાની શરૂઆત થતા દિલ્હીમાં પ્રદૂષણના જોખમી સ્તરે પહોંચ્યું છે. નિષ્ણાતોએ લોકોને સલાહ આપી છે કે બની શકે તો થોડા મહિના માટે દિલ્હીની બહાર સ્થળાંતર કરી લે. એવામાં સુપ્રીમ કોર્ટે દિલ્હીમાં પ્રદૂષણ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. કોર્ટે કહ્યું કે હવે ફક્ત માસ્ક પહેરવું પૂરતું નથી. કોર્ટે વરિષ્ઠ વકીલોને સુનાવણીમાં વર્ચ્યુઅલી હાજર રહેવા કહ્યું.
ન્યાયાધીશ પીએસ નરસિંહાએ વરિષ્ઠ વકીલોને કહ્યું કે, દિલ્હીમાં વાયુ પ્રદૂષણની સ્થિતિને ખૂબ જ ગંભીર છે, જ્યારે વીડિયો કોન્ફરન્સિંગ સુવિધા ઉપલબ્ધ હતી તો વરિષ્ઠ વકીલો શા માટે કોર્ટરૂમમાં હાજર થયા. વાયુ પ્રદૂષણને કારણે કાયમી શારીરિક નુકસાન થઇ શકે છે.
ન્યાયાધીશ પીએસ નરસિંહા કહ્યું, હવે માસ્ક પણ પૂરતા નથી. અમે મુખ્ય ન્યાયાધીશ સાથે પણ આ ચર્ચા કરીશું. દિલ્હીમાં એર ક્વોલીટી સતત ત્રીજા દિવસે `ગંભીર’ શ્રેણીમાં પહોંચ્યો હતો, ધુમ્મસની ચાદર છવાયેલી દેખાઈ હતી. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના ડેટા અનુસાર, બવાનામાં સવારે 8 વાગ્યે સૌથી વધુ એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 460 નોંધાયો હતો.
દિલ્હીમાં ઊંચા AQIને કારણે લોકોના સ્વાસ્થ્યને ગંભીર જોખમ ઉભું થયું છે, એક અહેવાલ મુજબ વર્ષ 2023માં દિલ્હીમાં થયેલા કુલ મૃત્યુમાંથી સાતમાં ભાગના મોત વાયુ પ્રદુષણને કારણે થયા હતાં.
દિલ્હીમાં સતત બગડતી રહેલી હવાની ગુણવત્તાને ધ્યાનમાં લઇને સુપ્રીમ કોર્ટે પંજાબ અને હરિયાણાને પરાળી બાળવાને રોકવા માટે લેવામાં આવેલા પગલાં અંગે વિગતવાર ડેટા રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે.

