Uttarakhand,તા.07
કેદારનાથ માટે બઢાસુ (સિરસી)થી ઉડાન ભરી રહેલા હેલિકોપ્ટરમાં ટેકનિકલ ખામી સર્જાતા શનિવારે હાઇવે પર ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. આ ઇમરજન્સી લેન્ડિંગ દરમિયાન હેલિકોપ્ટરમાં સવાર તમામ 5 મુસાફરો અને પાઇલટ સુરક્ષિત હતા.આ દુર્ઘટનામાં હેલિકોપ્ટરના પાછળના ભાગને નુકસાન થયું હતું અને ટક્કરને કારણે હાઇવે પર પાર્ક કરેલા વાહનને પણ નુકસાન થયું હતું. ઉત્તરાખંડ નાગરિક ઉડ્ડયન વિકાસ સત્તામંડળ (UCADA) એ આ બાબતની નોંધ લીધી અને નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) ને તેની જાણ કરી.અધિકારીઓએ જણાવ્યું કે, આ મામલે તપાસ શરુ કરવામાં આવી છે. દુર્ઘટના સમયે હેલિકોપ્ટર કેદારનાથ યાત્રા પર જઈ રહ્યું હતું અને દરેક મુસાફરો પણ તીર્થયાત્રી હોવાની માહિતી મળી છે. ઇમરજન્સી લેન્ડિંગ પછી તરત દરેક યાત્રીને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.