Vadodara,તા.08
વડોદરાના અંકોડિયા ગામમાંથી ફરાસખાનાના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. ગામના ખુલ્લા ખેતરમાં બનાવાયેલા ફરાસખાનાના ગોડાઉનમાં અચાનક આગ ભભૂકી ઊઠતા વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. આગના ધુમાડાના ગોટેગોટા દૂરથી જ નજરે પડતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો. ઘટનાની જાણ થતાં જ વડોદરાની ફાયર બ્રિગેડની ત્રણ સ્ટેશનની ગાડીઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવી અને આગને કાબૂમાં લેવા પ્રયાસો શરૂ કર્યા.
ગોડાઉનમાં મોટી માત્રામાં ફરાસખાનો સામાન રાખવામાં આવ્યો હતો, જે આગને કારણે સંપૂર્ણ રીતે બળી ખાખ થઈ ગયો છે. આગ એટલી પ્રચંડ હતી કે, ફાયર જવાનોને આગને કાબૂમાં લેવા ભારે મહેનત કરવી પડી. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ગોડાઉન માલિકને લાખો રૂપિયાનું ગંભીર નુકસાન થયું છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સુધી સામે આવ્યું નથી અને તપાસ આગળ વધારાઈ છે.

