ભારતીય રિઝર્વ બેંકે પોતાના સપ્ટેમ્બર માસના બુલેટિનમાં જણાવ્યું છે કે ઐતિહાસિક જીએસટી સુધારાઓ આવતા સમયમાં દેશની અર્થવ્યવસ્થાને લાંબા ગાળે સકારાત્મક અસર કરશે. આ સુધારાઓ Ease of Doing Businessને પ્રોત્સાહન આપશે, ભાવમાં ઘટાડો વપરાશ વૃદ્ધિને મજબૂત બનાવશે. ૩ સપ્ટેમ્બરે યોજાયેલી જીએસટી કાઉન્સિલની બેઠકમાં લેવામાં આવેલા નિર્ણયો મોટા સુધારા સાબિત થશે. નવા ફ્રેમવર્ક દ્વારા સામાન્ય માણસની જરૂરિયાતો અને પ્રશાસનની સુગમતા વચ્ચે સંતુલન સાધવામાં આવ્યું છે.
હવે મોટાભાગની આવશ્યક ચીજવસ્તુઓ પર શૂન્ય અથવા ૫% જીએસટી લાગુ કરવામાં આવ્યું છે. અહેવાલ મુજબ, માત્ર દરોમાં સરળતા જ નહીં પરંતુ ડ્યૂટી માળખાની સમસ્યાઓનો ઉકેલ પણ લાવવામાં આવ્યો છે. નોંધણી અને રિટર્ન ફાઈલિંગ વધુ સરળ બનાવાયા છે, રિફંડ ઝડપથી મળે છે અને ખર્ચ ઓછો થયો છે. આ ખાસ કરીને માઇક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝિસ (MSMEs) તથા સ્ટાર્ટઅપ્સ માટે લાભદાયક સાબિત થશે.
કુલ મળીને આ સુધારાઓ કર વસૂલાત વધારશે, Ease of Living સાથે Ease of Doing Business ને વધુ મજબૂત બનાવશે. આરબીઆઈ એ વધુમાં જણાવ્યું કે આવનારા તહેવારોના સમયમાં પેસેન્જર વાહનોનું ઉત્પાદન અને વેચાણ જીએસટી દર ઘટાડાથી તેજી પકડશે. વિશ્વભરમાં અનિશ્ચિતતા ઊભી થઈ રહી છે, ખાસ કરીને અમેરિકા દ્વારા વેપાર પર નવા ટેરિફ લગાવવાથી તથા વિકસિત દેશોની નાણાકીય સ્થિતિ અંગેની ચિંતા છતાં ભારતીય અર્થતંત્રે મજબૂત પ્રદર્શન કર્યું છે, જે નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ના પ્રથમ ત્રિમાસિકમાં પાંચ ત્રિમાસિકમાં સર્વોચ્ચ વૃદ્ધિ દ્વારા સ્પષ્ટ થાય છે.
અહેવાલમાં વધુમાં જણાવાયું કે ભારતીય અર્થતંત્રના આધાર મજબૂત છે. CPI મોંઘવારી થોડું વધીને પણ સતત સાતમા મહિને લક્ષ્યાંક કરતાં નીચે જ રહી છે. બેંકિંગ સિસ્ટમમાં લિક્વિડિટી વધારામાં છે, જેના કારણે વ્યાજદર કાપનો લાભ ઝડપથી પહોંચ્યો છે. એપ્રિલ-જૂન ૨૦૨૫ના ત્રિમાસિકમાં કરંટ અકાઉન્ટ ડેફિસિટ ઘટ્યો છે, જે મજબૂત સેવા નિકાસ અને રેમિટન્સ આવકથી શક્ય બન્યો છે.