કોંગ્રેસ અને વિરોધ પક્ષોએ અદાણી અને અદાણીના બહાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઘેરવાનો પ્રયાસ કર્યો
New Delhi,તા.૨૧
ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પર અમેરિકામાં છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ છે. તેમના પર તેમની કંપની માટે કોન્ટ્રાક્ટ મેળવવા માટે ૨૫૦ મિલિયન ડોલરની લાંચ આપવાનો આરોપ છે અને આ પછી જ અદાણીને લઈને દેશમાં ખળભળાટ મચી ગયો છે. આ મામલે કોંગ્રેસે અદાણી ગ્રુપના વ્યવહારોની સંયુક્ત સંસદીય સમિતિ તપાસની માંગ કરી છે.
ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પર યુએસ પ્રોસિક્યુટર્સ દ્વારા ભારતમાં સૌર ઉર્જા કોન્ટ્રાક્ટ જીતવા માટે અનુકૂળ શરતોના બદલામાં ભારતીય અધિકારીઓને ૨૫૦ મિલિયન (લગભગ ૨૧ બિલિયન)ની લાંચ આપવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. ગયા વર્ષે હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટથી શરૂ થયેલા વિવાદ બાદ અદાણી ગ્રુપ પર નવા આરોપો લગાવવામાં આવ્યા છે. જે બાદ હોબાળો મચી ગયો છે. કોંગ્રેસ અને વિપક્ષે આ મામલો ગરમ કર્યો છે.
આ મામલે કોંગ્રેસના મહાસચિવ (સંચાર) જયરામ રમેશનું નિવેદન આવ્યું છે. તેમણે કહ્યું કે, ગૌતમ અદાણી અને તેમની સાથે સંકળાયેલા અન્ય લોકો વિરુદ્ધ યુએસ એટર્ની ઓફિસ દ્વારા કરવામાં આવેલા ગંભીર આરોપો એ માંગને યોગ્ય ઠેરવે છે કે કોંગ્રેસ જાન્યુઆરી ૨૦૨૩ થી વિવિધ કૌભાંડોની સંયુક્ત સંસદીય સમિતિ તપાસ માટે કરી રહી છે. જયરામ રમેશે ’હમ અદાણી કે હૈ’ શ્રેણીનો ઉલ્લેખ કર્યો, જેમાં કથિત કૌભાંડો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૌતમ અદાણી વચ્ચેના સંબંધો અંગે ૧૦૦ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. તેમણે આ મામલે જવાબદારીની જરૂરિયાતનો પુનરોચ્ચાર કર્યો અને કહ્યું કે, પ્રશ્નોના જવાબો હજુ સુધી મળ્યા નથી.
દરમિયાન, શિવસેના યુબીટી નેતા સંજય રાઉતે કહ્યું કે, યુએસ સરકારે ધરપકડ વોરંટ જારી કર્યું છે. દેશ માટે શરમજનક બાબત છે. અદાણી માટે મોદીજીએ દેશ પર એક ડાઘ લગાવ્યો છે. અમે અદાણીને રાષ્ટ્ર બનવા નહીં દઈએ.
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ગૌતમ અદાણીને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે અદાણીએ રૂ. ૨૦૦૦ કરોડનું કૌભાંડ કર્યું છે અને તેમની ધરપકડ થવી જોઈએ. પરંતુ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અદાણીને બચાવી રહ્યા છે. રાહુલે કહ્યું કે પીએમ મોદી ગૌતમ અદાણીનું સમર્થન કરે છે. કૌભાંડ હોવા છતાં તેમની સામે કોઈ કાર્યવાહી થઈ રહી નથી અને લેવામાં આવશે પણ નહીં.