Hyderabad,તા.૧૬
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુએ એક મોટું નિવેદન આપતા કહ્યું છે કે, જે નેતાઓને બેથી વધુ બાળકો હશે તેઓ જ પંચાયત અને મ્યુનિસિપલ ચૂંટણી લડી શકશે. હાલમાં, આંધ્ર પ્રદેશ એસેમ્બલીએ ત્રણ દાયકા જૂના કાયદાને રદ કર્યો હતો જે બે કરતાં વધુ બાળકો ધરાવતા લોકોને સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી લડવા પર પ્રતિબંધ હતો.
નોંધનીય છે કે, ચંદ્રબાબુ નાયડુ માટે આ કંઈ નવું નથી. તેઓ લગભગ એક દાયકાથી આની તરફેણ કરી રહ્યા છે. તેમનું માનવું છે કે, તેલુગુ પરિવારોએ વધુ બાળકો પેદા કરવા જોઈએ જેથી વૃદ્ધોની વધતી સંખ્યાની સમસ્યાનો ઉકેલ લાવી શકાય. ગયા વર્ષે તેમણે પરિવારોને વધુ બાળકો પેદા કરવા પ્રોત્સાહિત કરવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો. આંધ્ર પ્રદેશના સીએમના આ નિવેદન બાદ તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને પણ આ વિચાર શેર કર્યો અને લોકોને વધુ બાળકોને જન્મ આપવાની અપીલ કરી હતી.
ચંદ્રબાબુ નાયડુ તેમના હોમ ટાઉન નરવરીપલ્લેમાં મકરસંક્રાંતિના અવસર પર તેમના પરિવાર અને સંબંધીઓ સાથે હતા. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, ’પહેલા આપણી પાસે એક કાયદો હતો જે ફક્ત બે બાળકો ધરાવતા લોકોને જ સ્થાનિક સંસ્થા અને મ્યુનિસિપલ ચૂંટણીઓમાં ભાગ લેવાની મંજૂરી આપતો હતો. હવે હું કહું છું કે જેમના બાળકો ઓછા હશે તે નેતાઓ ચૂંટણીમાં ભાગ લઈ શકશે નહીં. ભવિષ્યમાં તમે સરપંચ, મ્યુનિસિપલ કાઉન્સિલર અથવા મેયર ફક્ત ત્યારે જ બની શકશો જો તમારા બે કરતાં વધુ બાળકો હશે. હું તેને પ્રસ્તાવિત નિયમોમાં સામેલ કરીશ.’
ઉલ્લેખનીય છે કે, સામાન્ય રીતે દક્ષિણ ભારતીય રાજ્યોમાં બે-બાળક નીતિનું પાલન કરવામાં આવે છે. આ રાજ્યોના કુલ પ્રજનન દરથી સ્પષ્ટ થાય છે, જે ૧.૭૩ છે. જ્યારે રાષ્ટ્રીય સરેરાશ ૨.૧ છે. તો, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર, રાજસ્થાન અને ઝારખંડ જેવા મોટા રાજ્યોનો પ્રજનન દર ૨.૪ છે, જે રાષ્ટ્રીય સરેરાશ કરતા વધારે છે. આ ઉપરાંત ચંદ્રબાબુ નાયડુએ એમ પણ કહ્યું હતું કે, ’તેઓ વધુ બાળકો ધરાવતા પરિવારોને વધુ સબસિડીવાળા ચોખા પૂરા પાડીને પ્રોત્સાહિત કરવાની યોજના પર કામ કરી રહ્યા છે અને તેમને પંચાયત અને મ્યુનિસિપલ ચૂંટણી લડવાની મંજૂરી પણ આપી રહ્યા છે.’ હાલમાં, દરેક પરિવારને ૨૫ કિલો ચોખા આપવામાં આવે છે, જેમાં દરેક સભ્યને ૫ કિલો ચોખા મળે છે.