બિરસા મુંડાના પૌત્રના નિધનથી રાજકીય વર્તુળોમાં શોકનો માહોલ ,પીએમ મોદી-સીએમ સોરેન સહિત ઘણા લોકોએ શોક વ્યક્ત કર્યો
Ranchi,તા.૨૯
આદિવાસી નેતા બિરસા મુંડાના પૌત્ર મંગલ મુંડાનું નિધન થયું છે. તેમણે રાંચીના રાજેન્દ્ર ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ ખાતે સવારે ૧૨.૩૦ વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના નિધનથી રાજકીય વર્તુળોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન સુધીના અનેક નેતાઓએ શોક વ્યક્ત કર્યો હતો.વડાપ્રધાને મુંડાના નિધનને ઝારખંડના આદિવાસી સમાજ માટે મોટી ખોટ ગણાવી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર કહ્યું, ’સ્વાતંત્ર્ય સેનાની ભગવાન બિરસા મુંડાના પૌત્ર મંગલ મુંડાના નિધનથી ખૂબ જ દુઃખી છું. તેમનું અવસાન તેમના પરિવાર તેમજ ઝારખંડના આદિવાસી સમાજ માટે અપુરતી ખોટ છે. ભગવાન તેમના પરિવારને આ શોકની ઘડીમાં શક્તિ આપે.
તમને જણાવી દઈએ કે, મંગલ મુંડાનું શુક્રવારે હૃદય બંધ થવાને કારણે નિધન થયું હતું. મંગલ મુંડા ૪૫ વર્ષના હતા. રાજેન્દ્ર ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ ખાતે સવારે ૧૨.૩૦ વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા. ઝારખંડના ખુંટી જિલ્લામાં ૨૫ નવેમ્બરે મુંડાને પેસેન્જર વાહનની છત પરથી પડી જવાથી માથામાં ગંભીર ઈજા થઈ હોવાના અહેવાલ છે. ત્યારથી તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી.
ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન અને રાજ્યપાલ સંતોષ ગંગવારે પણ મંગલ મુંડાના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. સીએમએ કહ્યું, ’મંગલ મુંડાના નિધનના સમાચારથી હું ખૂબ જ દુઃખી છું. રિમ્સમાં તેની સારવાર ચાલી રહી હતી. મરાંગ બુરુ (સર્વોચ્ચ આદિવાસી દેવતા) દિવંગત આત્માને શાંતિ આપે અને શોકગ્રસ્ત પરિવારને આ મુશ્કેલ સમયને સહન કરવાની શક્તિ આપે.’
રાજ્યપાલ સંતોષ ગંગવારે ટિ્વટર પર કહ્યું, ’ભગવાન બિરસા મુંડાના વંશજ મંગલ મુંડાના નિધનના સમાચાર ખૂબ જ દુઃખદ છે. શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે મારી ઊંડી સંવેદના. ભગવાન શોકાતુર પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે.
રિમ્સના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. હિરેન બિરુઆએ જણાવ્યું હતું કે બિરસા મુંડાના સંબંધી મંગલ મુંડાનું રાત્રે લગભગ ૧૨.૩૦ વાગ્યે હૃદય બંધ થવાને કારણે મૃત્યુ થયું હતું. ગંભીર રીતે ઘાયલ મંગલ મુંડાને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. અમે તેમને બચાવવા માટે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કર્યા, પરંતુ નિષ્ફળ ગયા. મંગળ મુંડાને મંગળવારે ખુંટી સદર હોસ્પિટલમાંથી રિમ્સમાં રિફર કરવામાં આવ્યા હતા.રિમ્સના ડોકટરોના જણાવ્યા મુજબ, મંગલ મુંડાને મગજમાં ગંભીર ઈજા થઈ હતી અને મગજની બંને બાજુ લોહીના ગંઠાવાનું નિર્માણ થયું હતું. મંગળવારે, રિમ્સના ન્યુરોસર્જરી વિભાગના વડા ડો. આનંદ પ્રકાશના નેતૃત્વમાં તેમની સર્જરી કરવામાં આવી હતી.વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું કાર્યાલય, કેન્દ્રીય આરોગ્ય પ્રધાન જેપી નડ્ડા અને ઝારખંડના મુખ્ય પ્રધાન કાર્યાલય મંગલ મુંડાની સારવાર અંગે રિમ્સના અધિકારીઓના સંપર્કમાં હતા.
હાલના ઝારખંડમાં ૧૮૭૫માં જન્મેલા બિરસા મુંડાએ બ્રિટિશ શાસનને પડકાર્યું અને બ્રિટિશ સામ્રાજ્ય સામે આદિવાસીઓને સંગઠિત કરવાનો શ્રેય આપવામાં આવે છે. ૨૫ વર્ષની વયે બ્રિટિશ કસ્ટડીમાં તેમનું અવસાન થયું. ઝારખંડની રચના ૧૫ નવેમ્બરે થઈ હતી. આદિવાસી પ્રતીક ’ધરતી આબા’ (પૃથ્વીના પિતા) ની જન્મજયંતિ ૧૫ નવેમ્બરે ઉજવવામાં આવે છે.