New Delhi,તા.8
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)ના નવા ચીફના નામની જાહેરાત કરવામાં આવી છે. ડો.વી.નારાયણન ઈસરોના નવા વડા બનશે. તે 14 જાન્યુઆરીએ એસ. સોમનાથનું સ્થાન લેશે. મંગળવારે (7 જાન્યુઆરી)ના રોજ એક સૂચના જાહેર કરી આ માહિતી આપવામાં આવી હતી.
ISROના જાણીતા વૈજ્ઞાનિક ડો.વી.નારાયણન હાલમાં લિક્વિડ પ્રોપલ્શન સિસ્ટમ્સ સેન્ટર (LPSC)ના ડિરેક્ટર છે. લગભગ 4 દાયકાની તેમની કારકિર્દીમાં, તેમણે ISROમાં ઘણા મુખ્ય હોદ્દાઓ સંભાળ્યા છે. ડો. નારાયણનની નિપુણતા રોકેટ અને અવકાશયાન પ્રોપલ્શનમાં છે.
GSLV Mk III વાહનના C25 ક્રાયોજેનિક પ્રોજેક્ટ માટે પ્રોજેક્ટ ડિરેક્ટર તરીકે કામ કરવું એ ડો. નારાયણનની મોટી સિદ્ધિ છે. તેમના નેતૃત્વ હેઠળ ટીમે સફળતાપૂર્વક C25 તબક્કાનો વિકાસ કર્યો, જે GSLV Mk III નું મહત્ત્વપૂર્ણ ઘટક છે.
ડો.નારાયણનના માર્ગદર્શન હેઠળ, LPSCએ ISROના વિવિધ મિશન માટે 183 લિક્વિડ પ્રોપલ્શન સિસ્ટમ્સ અને કંટ્રોલ પાવર પ્લાન્ટ્સ આપ્યા. તેમણે પીએસએલવીના બીજા અને ચોથા તબક્કાના નિર્માણની દેખરેખ રાખી હતી અને પીએસએલવી ku57 માટે કંટ્રોલ પાવર પ્લાન્ટની ડિઝાઇન પણ કરી હતી. તેમણે આદિત્ય અવકાશયાન, GSLV Mk-III મિશન, ચંદ્રયાન-2 અને ચંદ્રયાન-3 માટે પ્રોપલ્શન સિસ્ટમ્સમાં પણ યોગદાન આપ્યું હતું.