Jamnagar તા.28
એસ્સાર ગ્રુપના સહ-સ્થાપક શશિ રુઈયાનું 81 વર્ષની વયે નિધન થયું છે. રૂઈયાના પાર્થિવ દેહને પ્રાર્થના અને શ્રદ્ધાંજલિ માટે વાલકેશ્વરના બાણગંગામાં રાખવામાં આવશે. અંતિમયાત્રા રુઈયા હાઉસથી સાંજે 4 વાગ્યે હિન્દુ વર્લી સ્મશાન જવા નીકળશે. શશિ રુઈયાને જામનગર સાથે જૂનો નાતો રહ્યો છે. એસઆર ઓઈલ રિફાઇનરી પ્રોજેક્ટની સ્થાપના દરમિયાન તેઓએ અનેક વખત જામનગરની મુલાકાત લીધી હતી. અથી હાલારની ધરતી સાથે તેમના અનેક સંસ્મરણો જોડાયેલા છે.
શશિ રુઈયાએ તેમના પિતા નંદ કિશોર રુઈયાના માર્ગદર્શન હેઠળ 1965માં બિઝનેસની દુનિયામાં ડગ માંડ્યા હતા. 1969માં શશીએ પોતાના ભાઈ રવિ રુઈયા સાથે મળી એસ્સાર ગ્રુપની સ્થાપના કરી હતી. પોતાની લગન અને ખંતથી આ ગૃપને ક્રમશ: સફળતા અપાવી હતી. હાલ એસ્સાર ગ્રુપનો બિઝનેસ 50થી વધુ દેશોમાં ફેલાયેલો છે.
તે વખતના જામનગર અને હાલના દેવભૂમિ દ્વારકા જિલ્લાની ધરતી પર 1995 માં એસ્સાર ઓઇલ રિફાઇનરી પ્રોજેક્ટના જમીન સંપાદનની કાર્યવાહીના શ્રી ગણેશ કરવામાં આવ્યા હતા. હાલના દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાડીનાર ખાતે આ પ્રીજેટની વહીવટી પ્રક્રિયાઓ પૂર્ણ થયા બાદ પ્રોજેક્ટનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને સૌ પ્રથમ 2005 માં પ્રથમ ઉત્પાદન યુનિટ શરૂઆત કરવામાં આવી હતી.
જે તે વખતે 9 મિલિયન મેટ્રિક ટનની ક્ષમતાનો ક્રૂડ ઓઇલને રિફાઇન કરવાનો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ક્રમશ: તેનું વિસ્તરણ થતું ગયું અને 20 મિલિયન મેટ્રિક ટન ઉત્પાદનની ક્ષમતા કરવામાં આવી હતી. હાલ દેવભૂમિ દ્વારકા રિફાઈનરી એટલે કે એસ્સાર ગ્રુપના આ પ્રોજેક્ટમાં 2.2 લાખ કરોડથી વધુનું રોકાણ કરાયું છે. આ ગ્રુપ દ્વારા ગુજરાતમાં કુલ 3.5 લાખ કરોડનું રોકાણ થયું છે. જેમાં મોટી ભૂમિકા દેવભૂમિ દ્વારકા જિલ્લાની રિફાઈનરી, હજીરા સ્ટીલ પ્લાન્ટ, અને વડીનાર-હજીરા પોર્ટ્સના વિકાસમાં છે.
ગુજરાતમાં એસઆર ગ્રુપની એન્ટ્રી સુરતના હજીરા ખાતેથી થઈ હતી જ્યાં એસ આર પ્લાન્ટ ઊભો કરવામાં આવ્યો હતો ત્યારબાદ એસ્સાર ગ્રુપના સહ-સ્થાપક શશિ રુઈયાનું સપનું હતું કે વાડીનાર ખાતે કેમિકલ યુનીટનું નિર્માણ કરવું. જેની પાછળનું કારણ એ છે કે વાડીનારની નજીક દરિયો હોવાથી આંતરરાષ્ટ્રીય વેપાર અનુકૂળ રહે છે. વાડીનાર પ્રોજેક્ટ ના નિર્માણ દરમિયાન તેઓએ અનેક વખત જામનગરની મુલાકાત લીધી હતી. એટલું જ નહીં સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે નર્મદાનું પાણી ખાસ જામનગર અને સૌરાષ્ટ્ર પહોંચાડવામાં પણ તેમનું યશસ્વી યોગદાન રહ્યું છે.
હાલ આ એસ્સાર ગ્રુપ દ્વારા મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઓડિશા, અને મધ્યપ્રદેશ સહિત વિવિધ રાજ્યોમાં 2 લાખ કરોડનું રોકાણ અને યુરોપ, અમેરિકા, અને આફ્રિકામાં સ્ટીલ, ઓઇલ એન્ડ ગેસ, પાવર, અને શિપિંગ ક્ષેત્રે 1.5 લાખ કરોડથી વધુનું રોકાણ છે. અને કાંપનીની સત્તાવાર વેબસાઇટ અનુસાર, કંપનીનો બિઝનેસ 50થી વધુ દેશોમાં ફેલાયેલો છે. કંપની એનર્જી, મેટલ્સ અને માઇનિંગ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટેક્નોલોજી અને સર્વિસિસના સેક્ટરમાં કામ કરે છે. શશિ રુઈયાને બિઝનેસ ઈન્ડિયા બિઝનેસમેન ઓફ ધ યર એવોર્ડ 2010 પણ આપવામાં આવ્યો હતો.