Gandhinagar,તા.21
ગાંધીનગર ખાતે ગ્રામ વિકાસ મંત્રી રાઘવજી પટેલ, પંચાયત રાજયમંત્રી બચુભાઈ ખાબડ, મુખ્યમંત્રીનાં મુખ્ય અગ્ર સલાહકાર ડો.હસમુખ અઢીયા, મુખ્યમંત્રીનાં અધિક મુખ્ય સચીવો પંકજ જોશી, એમ.કે.દાસ, અધિક મુખ્ય સચીવો, અગ્રસચીવો અને મુખ્યમંત્રીનાં સચીવ અવંતિકા સિંઘ સહીતનાં સચીવોની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજયનાં જીલ્લા કલેકટરો અને જીલ્લા વિકાસ અધિકારીઓની એક દિવસીય સંયુકત કોન્ફરન્સ યોજાઈ હતી.
આ એક દિવસીય પરિષદમાં મહેસુલ, પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગની લોકોને સીધી સ્પર્શતી યોજનાઓમાં જીલ્લાઓની કામગીરીની સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. આ બેઠકમાં (1) નિર્મળ ગુજરાત 2.0 (2) નલ સે જલ (3) પી.એમ.વિશ્ર્વકર્મા યોજના, (4) પ્રધાનમંત્રી સુર્યઘર મુફત બીજલી યોજના, (5) પી.એમ.જે.એ.વાય અને (6) પી.એમ.પોષણ યોજનાની જીલ્લા સ્તરે થયેલી કામગીરી પર પ્રેઝન્ટેશન સહીત સમુહ ચિંતન થયા હતા.
આ કોન્ફરન્સમાં મુખ્યમંત્રીએ એવુ સુચન કર્યું હતું કે આવી કલેકટર-જિલ્લા વિકાસ અધિકારીઓની કોન્ફરન્સ હવે રાજયનાં દરેક જીલ્લાઓમાં થવી જોઈએ. જેનાં પરીણામે જીલ્લાના સમગ્રતયા વિકાસથી રાજય સરકાર અને અન્ય જીલ્લા અધિકારીઓ ભલી ભાંતિ પરિચીત પણ થશે.સરકારનાં પરિપત્રો-સરકારી નિયમોનું અલગ અલગ અર્થઘટન કોઈપણ જીલ્લાઓમાં થવુ જ જોઈએ.
જો કોઈ કામ નિયમાનુસાર ન થાય તેવુ હોય તો તેના સ્પષ્ટ કારણો જણાવી દેવા જોઈએ.ઝીરો ટોલરન્સ અગેઈન્સ્ટ કરપ્શન તે રાજય સરકારનો નિર્ધાર છે. વિકાસ આડેના ભ્રષ્ટાચારને દુર કરવા મુખ્યમંત્રીએ તાકીદ કરી હતી.
ફીડબેક મીકેનીઝમ
જયારે મુખ્યસચીવ રાજકુમારે સરકારની કોઈપણ યોજનાને વધુ અસરકારક બનાવવા માટે ફીડબેક મેકેનીઝમ ઉભુ કરવુ ખુબ જ જરૂરી છે. એવા સુચન સાથે કહયું હતું કે જીલ્લા કક્ષાએ કામ કરતાં અધિકારીઓ નાગરીકો સાથે સૌથી નજીકથી કામ કરતાં હોવાથી ફીડબેક મેકેનીઝમ વધુ મજબુત બની શકશે. નાગરીકોના હિતમાં સરકારે અમલમાં મુકેલી કોઈપણ યોજનાની આંકડાકીય સિદ્ધિ કરતા એ યોજનાનો ઉદેશ્ય પરિપૂર્ણ થાય તે વધુ મહત્વપૂર્ણ છે.
જીલ્લાના વહીવટી વડા તરીકે કલેકટરો અને જીલ્લા અધિકારીઓનાં મુખ્ય ઉદેશ્ય નાગરીકોની સુખાકારી જ હોવો જોઈએ. નાગરીક હિતલક્ષી કોઈપણ કામ ગુણવતાયૂકત થશે તો જ નાગરીકોની સુખાકારીમાં વધારો થશે.