Prabhas-Patan, તા.૨૯
ભારત બાર જ્યોર્તિલિંગ પ્રથમ સોમનાથ મહાદેવ મંદિર તા.૧ ડીસેમ્બર સોમનાથ સંકલ્પ દિન તરીકે ઉજવશે.
આ દિવસે વિશેષ મહાપૂજા-સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને મંત્રોચ્ચાર સાથે પુષ્પાંજલી સહિતના કાર્યક્રમો ઉજવાય છે. નાગર શૈલીનુ કૈલાસ મહામેરુપ્રસાદ આ ભવ્ય સોમનાથ મંદિર નિર્માણનો સંકલ્પ સરદાર વલ્લભભાઈ પટેલે ૧૯૪૭ માં ૧૩ નવેમ્બરે કર્યો હતો.
તા.૮ મે ૧૯૫૦ ના દિવસે મહારાજા જામસાહેબ દિગ્વિજયસિંહના શુભ હસ્તે નવા મંદિરની શિલારોપણ વિધિ કરવામાં આવી હતી. તા.૧૧ મી મે ૧૯૫૧ ના રોજ તત્કાલીન રાષ્ટ્રપતિ ડોકટર રાજેન્દ્રપ્રસાદના વરદ હસ્તે મંદિરમાં શિવલિંગની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી અને ભાવિકો-દર્શનાર્થીઓ માટે દર્શન-પૂજન શરૂ કરી દેવાયા હતા ત્યાર બાદ બીજા ચરણમાં મંદિરના આગલા ભાગમાં નૃત્યમંડપ બાંધકામ કરાયું જે ૧૯૭૫ માં કરાયું.
આમ શિખર-સભા મંડપ-નૃત્ય મંડપ નિર્માણ પૂર્ણ થતા તા.૧ ડીસેમ્બરે ૧૯૯૫ ભારતના તત્કાલીન રાષ્ટ્રપતિ શંકરદયાળ શર્માના હસ્તે રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યું હતુ.
સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જે.ડી.પરમાર કહે છે, સોમનાથ મંદિરની જ્યારે શિલારોપણ વિધિ થઈ હતી ત્યારે ૩૦ ફૂટ ઊંડા પાયામાં ક્રેન મારફતે ઝૂલામાં બેસી મહારાજા જામસાહેબ દિગ્વિજયસિંહજીએ છે ક નીચે ઉતરી શિલારોપણ વિધિ કરી હતી.
હાલ મંદિરની ઊંચાઈ ૧૫૫ ફૂટ અને એક ઈંચ છે, ઘ્વજ દંડ ૩૧ ફૂટ ઊંચો છે. તેમાં ૫૧ ગજની ધજા લહેરાય છે.
પાંચ તબક્કામાં પૂર્ણ થયેલ આ મંદિરનો કુલ ખર્ચ રૂા.૨૪,૪૧,૦૦૦ થવા જાય છે. મંદિર આગળના ભાગે બંધાયેલ નૃત્ય મંડપનો કુલ ખર્ચ રૂા.૪૨,૪૯૦૦૦ થવા જાય છે. આમ બન્ને ખર્ચ મળી કુલ રૂા.૬૬ લાખ ૯૦ હજાર થવા જાય છે. જે.ડી.પરમાર આગળ વાત દોહરાવતા કહે છે કે ભગવાન સોમનાથના મંદિરનો આવો કૈલાસ મહામેરુપ્રસાદ છેલ્લા ૮૦૦ વર્ષમાં પહેલીવાર બંધાયો છે. તે આ મંદિરની વિશેષતા છે.