New Delhi,તા,11
ભારતીય ક્રિકેટ ટીમનો મુખ્ય કોચ ગૌતમ ગંભીર ન્યૂઝીલેન્ડ સામેની ઘરઆંગણે રમાયેલી સીરિઝમાં ભારતને મળેલી હાર બાદ ઘણો દબાણમાં છે. તેમના કોચિંગ હેઠળ ભારતીય ટીમ શ્રીલંકા સામેની વનડે સીરિઝ અને ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ સીરિઝ પણ ગુમાવી દીધી હતી. આ પછી BCCIએ મુખ્ય કોચ ગૌતમ ગંભીર, કેપ્ટન રોહિત શર્મા અને મુખ્ય પસંદગીકાર અજીત અગરકર સાથે બેઠક યોજી હતી. તે લગભગ છ કલાક સુધી ચાલી હતી. અને ઓસ્ટ્રેલિયા સામેની આગામી સીરિઝનો રોડમેપ તૈયાર કરવામાં આવ્યો.
BCCIની બેઠક પછી તરત જ એક અહેવાલમાં દાવો કરાયો છે કે, જો ભારત ઓસ્ટ્રેલિયામાં સારું પ્રદર્શન નહીં કરે તો બોર્ડ અલગ-અલગ ફોર્મેટ માટે અલગ-અલગ કોચ પર વિચાર કરશે. આ સ્થિતિમાં ગંભીર ટેસ્ટ કોચ નહીં બની શકે. તેની જગ્યાએ વીવીએસ લક્ષ્મણને આ જવાબદારી સોંપવામાં આવી શકે છે. ભૂતપૂર્વ ભારતીય ઓપનર અને પ્રખ્યાત કોમેન્ટેટર આકાશ ચોપડાએ આ અહેવાલ પર પોતાની પ્રતિક્રિયા આપી છે. તેણે આ સમગ્ર વાતને અફવા ગણાવી છે.
આ પણ વાંચો : IND vs AUS: રોહિત શર્માની જગ્યાએ ટીમ ઇન્ડિયા માટે કોણ કરશે ઓપનિંગ? ત્રણ નામો રેસમાં
આકાશે કહ્યું હતું કે, ‘મને લાગે છે કે આ સંપૂર્ણ અફવા છે. આ સમાચાર બિલકુલ પાયાવિહોણા લાગે છે કે, જો ટીમ ઈન્ડિયા બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં સારું પ્રદર્શન નહીં કરે તો કોચ બદલી દેવામાં આવશે. મને લાગે છે કે તે આ ખરાબ ઈરાદાથી આવી અફવાઓ ફેલાવવામાં આવી રહી છે. ગંભીરને હાલમાં જ મુખ્ય કોચ બનાવવામાં આવ્યો છે. એવું ન બને કે જો ખેલાડીઓ પ્રદર્શન ન કરે તો કોચને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવે. હું આ પ્રકારની વિચારસરણી સાથે બિલકુલ સહમત નથી.’