પાર્થ (અર્જુન)નો ‘વિષાદ’ નામનો છોકરો અને પરમાત્માની ‘વાણી’ નામની કન્યા એ બન્ને પરણ્યા અને તેની ફળ રૂપે જ નિર્માણ થઈ તે ‘ગીતા’ લોકપાવની છે આપણા માટે અમૃતની ધારા સમાન તે વરસનારી હોવાથી ”અમૃત વર્ષિણી’ પણ કહેવાણી છે.
– આ માત્ર ધર્મગ્રંથ નથી જીવનનો સ્વાધ્યાય ગ્રંથ છે. આ માત્ર પુસ્તક નથી પરંતુ આપણા સહુ માટે મસ્તક રૂપ છે. ગીતાજી એ જીવનનો સાર ગ્રંથ છે. આ કોઈ એક ધર્મ માત્ર નથી પરંતુ પ્રત્યેક માણસનો જીવનનો પથદર્શક ગ્રંથ છે.
વિશ્વમાં રામાયણ-મહાભારત કે બીજા કોઈ ગ્રંથની જ્યંતિ ઉજવાતી નથી. માત્ર હિન્દુમાં જ એવો ગ્રંથ છે કે જેની જ્યંતિ ઉજવાય છે તે છે ગીતાજ્યંતિ સ્વયં ગીતામાં માગસર માસને ભગવાને પોતાની વિભૂતિ ગણાવી છે. માસાનાં માર્ગશીર્ષોડહમ (ભ:ગી.૧૦/૩૫) માગસર સુદ અગિયારસ જે મોક્ષદાયીની કહેવાય છે. આ દિવસે કુરુક્ષેત્રના મેદાનમાં ભગવાને અર્જુનને ગીતાજીનો ઉપદેશ આપ્યો હતો.
આ દિવસ એટલે જીવનમાં મહત્ત્વનો છે કે સ્વયં ભગવાન શ્રીકૃષ્ણ એ અર્જુનને નિમિત્ત બનાવી આપણા સહુ માટે જીવનનો જ્ઞાનયોગ-કર્મયોગનો સચોટ ઉપદેશ આપેલો છે. આ માત્ર ધર્મગ્રંથ નથી જીવનનો સ્વાધ્યાય ગ્રંથ છે. આ માત્ર પુસ્તક નથી પરંતુ આપણા સહુ માટે મસ્તક રૂપ છે. ગીતાજી એ જીવનનો સાર ગ્રંથ છે. આ કોઈ એક ધર્મ માત્ર નથી પરંતુ પ્રત્યેક માણસનો જીવનનો પથદર્શક ગ્રંથ છે.
આ નાનકડા ગ્રંથમાં ભગવાને પોતાના હૃદયનાં બહુ જ વિલક્ષણ ભાવો ભરી દીધા છે. જેમનો આજ સુધી કોઈ પાર પામી શક્યું નથી અને ન પણ પામી શકે.
”પરમ શાંતિની પ્રાપ્તિ માટે આ ગ્રંથ ખૂબ જ મહત્ત્વનો છે. ગીતા સમગ્રને માને છે, તે માટે ગીતાનો આરંભ અને અંત શરણાગતિમાં થયો છે. શરણાગતિથી જ સમગ્રની પ્રાપ્તિ થાય છે.” જે દ્રષ્ટિથી ગીતાની વાણીને જુએ છે, સમજે છે ગીતા તેને તેવી જ દેખાય છે. યે યથા માં પ્રપદ્યન્ત તાસ્તયૈવભજ્યામહમ્ । (ગીતા. અ. ૪/૧૧) જ્ઞાનયોગ કર્મયોગ અને ભક્તિયોગ આ ત્રણેયનો યોગ ગીતામાં આપેલો છે.
કર્મયોગી અને જ્ઞાનયોગી માટે આ ઉત્તમ પથદર્શક છે. સાતમાં અધ્યાયમાં ભક્તિનું વિશેષ વર્ણન કર્યું છે કારણ કે તે કલ્યાણ કરવાનું એક સાધન છે. જે ભગવાનનું ખાસ લક્ષ્ય છે. મનુષ્ય કર્મયોગથી જ જગતને માટે, જ્ઞાનયોગથી સ્વયંપોતાને માટે, અને ભક્તિયોગથી ભગવાનને માટે ઉપયોગી થઈ જાય છે.
ગીતામાં સમતાને ‘યોગ’ કહ્યા છે. ‘સમત્વં યોગ ઉચ્યતે । (ગીતા અ. ૨/૪૮) વાસ્તવમાં યોગની જરૂરત કર્મમાં જ છે. જ્ઞાનમાં પણ યોગની જરૂરત નથી, અને ભક્તિમાં તો યોગની બિલકુલ જરૂર નથી, જ્ઞાન અને ભક્તિ એ વાસ્તવમાં ‘યોગ’ જ છે. કર્મો જડ છે. બંધનકર્તા છે. અને વિષય છે. તેથી તેમનામાં યોગની જરૂર છે. ‘યોગસ્થ: કુરુ કર્માણિ (ગીતા ૨/૪૮) કર્મોમાં યોગ જ મુખ્ય છે. ‘યોગ: કર્મસુ કૌશલમ્ । (ગીતા ૨/૫૦) યોગ વિના કર્મ કંઈ કર્મ જ નથી. એટલે ગીતાને ‘યોગ શાસ્ત્ર’ પણ કહે છે.
ગીતાનું તાત્પર્ય : ગીતાનું તાત્પર્ય વાસુદેવ: સર્વમ્ માં છે. ગીતા ‘બધું જ પરમાત્મા છે.-‘ એવું માને છે અને તેને જ મહત્ત્વ આપે છે. એ જણાવવા માટે જ ભગવાને ગીતામાં ચાર જગ્યાએ (સાતમાં, નવમાં, દસમાં અને પંદરમાં અધ્યાયમાં) પોતાની વિભૂતિઓનું વર્ણન કર્યું છે. ભગવાને કહ્યું છે કે- ‘સર્વસ્ય ચાહં હૃદિ સન્નિવિષ્ટ:’ (ગીતા અ. ૧૫/૧૫) હું જ બધા પ્રાણીઓના હૃદયમાં સ્થિત છું. જ્યારે હૃદયમાંથી રાગ-દ્વેષ દૂર થાય ત્યારે ત્યાં પરમાત્મા પ્રગટ થાય છે.
દરેક મનુષ્ય સદા જીવિત રહેવા ઈચ્છે છે, ક્યારેય મરવા ઈચ્છતો નથી, ક્યારેય અજ્ઞાની ન રહું…હું સદા સુખી રહું. ક્યારેય દુ:ખી ન રહું. પરંતુ દરેકની ઇચ્છાઓ ક્યારેય પુરી થતી નથી. દરેક વસ્તુઓ આપણાથી અલગ જ છે. પરંતુ પરમાત્મા કદી આપણાથી અલગ થતો નથી. દરેક વસ્તુઓનો વિયોગ નિશ્ચિત છે જ પરંતુ પરમાત્માનો વિયોગ ક્યારેય આપણાથી થતો નથી. તેથી સંસારનો સદા વિયોગ છે જ અને પરમાત્માનો સદા યોગ છે. એટલા માટે ગીતાજીનું તાત્પર્ય આપણા સહુના માટે શ્રેય કર છે. એટલે જ કહ્યું છે કે ”એક શાસ્ત્ર દેવકી પુત્ર ગીતા ।’ (ગીતા)
ગીતા ભગવાનનો શ્વાસ છે, હૃદય છે અને ભગવાનની વાંઙમય મૂર્તિ છે. જેના હૃદયમાં, વાણીમાં, શરીરમાં તેમજ સઘળી ઇન્દ્રિયો અને એમની ક્રિયાઓમાં ગીતા ઉતરી ગઈ હોય, એ માણસ સાક્ષાત ગીતાની મૂર્તિ જ છે. એના દર્શન, સ્પર્શ, ભાષણ તથા ચિંતન કરવાથી પણ બીજા માણસો પરમ પવિત્ર બની જાય છે. ખરેખર ગીતાજીની સંસારમાં યજ્ઞા, દાન, તપ, તીર્થ, વ્રત, સંયમ કે ઉપવાસ વગેરે કશું જ નથી.
ગીતા સાક્ષાત ભગવાન શ્રીકૃષ્ણના મુખારવિંદમાંથી નીસરેલી વાણી છે એનું સંકલન કરનાર શ્રીવ્યાસજી છે. વ્યાસજીએ પોતે શ્લોકબદ્ધ કરી દીધો છે સાથે સાથે અર્જુન, સંજય તથા ધૃતરાષ્ટ્રનાં વચનોને પોતાની ભાષામાં શ્લોકબદ્ધ કરીને ઢાળી દીધાં અને આ સાતસો શ્લોકોના આખાય ગ્રંથને અસાર અધ્યાયોમાં વિભાજિત કરીને ‘મહાભારત’માં મૂકી દીધો, જે આપણને આજે આ રૂપે મળ્યો છે.
ભગવાને ‘શ્રીમદ્ભગવદ્ ગીતા’ રૂપી એક એવું અનુપમ શાસ્ત્ર કહ્યું છે, જેમાં એક પણ શબ્દ સદુપદેશ વિનાનો નથી. મહાભારતનાં ભીષ્મ પર્વમાં ખાસ તેના વિષે કહ્યું છે કે
ગીતા સુગીતા કર્તવ્યા,
કિમન્યૈ: શાસ્ત્ર વિસ્તરૈ: ।
યા સ્વયં પદ્મનાભસ્ય
મુખ પદ્મા વિનિ: સૂતા ।।
(મહાભારત ભીષ્મપર્વ ૪૩/૧)
ગીતાને જ સુગીતા કરવા યોગ્ય છે. એટલે કે શ્રીગીતાજીને સારી પેઠે વાંચીને અર્થ અને ભાવસમેત અન્ત:કરણમાં ધારણ કરવી જોઈએ. જે સ્વયં પદ્મનાભ ભગવાન શ્રી વિષ્ણુ (કૃષ્ણ)ના મુખ કમળમાંથી નીસરી છે. બીજાં બધા શાસ્ત્રોના વિસ્તાર કરવાથી શો હેતુ સરવાનો ? સ્વયં ભગવાને પણ આનું મહાત્મ્યનું વર્ણન કરેલું છે :
યે ઇમ પરમં ગુહ્યં
મદભક્તેષુ ડભિધાસ્યતે ।
ભવિં મપિ પરાં કૃત્વા
મામૈવષ્યતિ અ:સંશય: ।।
(ગીતા અ. ૭૮/૬૮)
”જે માણસ મારામાં પરમ પ્રેમ રાખીને આ પરમ રહસ્ય મુક્ત ગીતાનાં ઉપદેશને મારા ભક્તોમાં કહી સંભળાવશે – એ જ મને પામશે – એમાં જરા પણ સંદેહ નથી.”
* પાપોથી મુક્ત કરનાર ગીતા : પાપીમાં પાપી મનુષ્ય પણ જો ગીતા પાસે આવેતો – ‘મા’ ગીતા તેનો તિરસ્કાર કે ઉપેક્ષા કર્યા વિના તેને પોતાની પાસે લઈને હૂંફ આપે છે. એકાદ દુષ્ટ માનવને કુટુંબના લોકો ઘરમાંથી બહાર કાઢી શકે, સમાજના લોકો તેનો બહિષ્કાર કરી શકે કે એકાદ રાજા તેને દેશનિકાલની સજા ફરમાવી શકે પણ ‘મા’ જગદંબા તેને જગતની બહાર કેમ કાઢી શકે ? ગીતા કોઈ પણ માણસમાંથી પોતાની શ્રદ્ધા ગુમાવતી નથી.
એક ભૂલ થવાથી જો જીવનનો આખો દાખલો ખોટો થતો હોય તો બધાનાં જીવનનાં જીવને વ્યર્થ જ માનવા પડે કારણ કે ‘માનવમાત્ર ભૂલને પાત્ર’ ગીતામાં જ શ્રીકૃષ્ણએ આશ્વાસન આપતા સ્પષ્ટ કહ્યું છે કે
અપિ ચેત્સુદુરાચારો ભજતે મામનન્યભાક ।
સાધુરેવ સ મન્તવ્ય: સમ્યગ્વ્યવસિતો હિસો ।।
(ગીતા અ.૯/૩૦)
”ગમે તેવો પાપી માણસ – દુરાચારી પણ અનન્ય ભાવે મારો ભક્ત બનીને મને ભજે છે. તો એ સાધુ જ માનવા યોગ્ય છે – ‘ક્ષિપ્ર ભવતિ ધર્માત્મા’ ને સત્વરે ધર્માત્મા બની જાય છે અને સદા રહેનારી પરમ શાન્તિને પામે છે ‘નમે ભકૃ: પ્રણશ્યતિ’ મારો ભક્ત કદી નાશ પામતો નથી.”
આપણે પણ ગીતાના સિદ્ધાંતો આપણા જીવનમાં ઉતારીયે અને સાચા માનવ બનીને જીવીએ. માનવ તે કે જે નૈતિક મૂલ્ય, ઈશ્વર કે માનવમાંથી શ્રદ્ધા ખોઈ બેસતો નથી. માનવ તે કે જે ભગવાનના માર્ગને અનુસરે ‘મમ વર્ત્માનુ વર્તન્તે મનુષ્યા પાર્થ સર્વશ: ।।” (ગીતા અ. ૩/૩૩) ભગવાનનો માર્ગ એટલે ‘સત્યમ્ શિવમ્ સુન્દરમ્’ નો માર્ગ જો ભગવાનનાં આદર્શોને ન માનીએ તો તે વાસ્તવમાં મનુષ્ય કહેવડાવવાને યોગ્ય નથી.
મનુષ્યએ સંસારમાં કેવી રીતે રહેવું તે ગીતાના અભ્યાસથી મળે છે. આસક્તિ વિનાનાં કર્મો આપણને બાંધતા નથી. આજ ગીતાજ્યંતિની સાચી ઉજવણી છે.
અર્જુન આપણો આદર્શ હો અને કૃષ્ણ એ આપણો સહાયક હો. એ બે મહાપુરુષોની દ્રષ્ટિ સમક્ષ રાખીને જીવનને યોગ્ય રીતે ઘડવાની શરૂઆત કરીએ એ જ ગીતાની સાચી ફલશ્રુતિ છે. શ્રી યોગેશ્વર કૃષ્ણા આપણી વૃત્તિ અને બુદ્ધિ તેવી બનાવે અને આપણી શક્તિ વધારે સતેજ કરે એ જ પ્રાર્થના !
”મારી સગી ‘મા’ એ મને જીવનમાં જેટલો સાથ નથી આપ્યો તેથી વધુ મને ભગવત ગીતાએ જીવનભર આપ્યો છે -” (મોહનચંદ ક. ગાંધી)
”પ્રારબ્ધ પ્રમાણે આયુષ ભોગવાનારો મનુષ્ય જે ગીતા અભ્યાસમાં રત રહેતો હોય તો તે આલોકમાં અને પરલોકમાં સુખ ભોગવી કર્મોથી લેપાતો નથી.” (શ્રી વરાહપુરાણ)
તાત્પર્ય : આત્તત્વ જ્ઞાન ગાયેલું હોવાથી તેને ”ગીતા” કહેવાય છે. તેમાં ધર્મ, ભક્તિ અને જીવનના સિદ્ધાંતો ગાયેલા છે. આ ધર્મો અને સિદ્ધાંતો કોણે ગાયા ?? ષડ્ગુણેશ્વર: ભગવાને તે ગાયા છે. તેથી જ તેને ”શ્રીમદ્ ભગવદ્ ગીતા” તેનું નામ પડયું છે. પાર્થ (અર્જુન)નો ‘વિષાદ’ નામનો છોકરો અને પરમાત્માની ‘વાણી’ નામની કન્યા એ બન્ને પરણ્યા અને તેની ફળ રૂપે જ નિર્માણ થઈ તે ‘ગીતા’ લોકપાવની છે આપણા માટે અમૃતની ધારા સમાન તે વરસનારી હોવાથી ”અમૃત વર્ષિણી’ પણ કહેવાણી છે. વેદ, ઉપનિષદના મહાન જ્ઞાનસાગરને ગીતાએ પોતાની નાનકડી સાગરમાં સમાવી લીધા છે ”સર્વ શાસ્ત્ર મયી ગીતા” આમ ગીતામાં સર્વશાસ્ત્રનો સમન્વય છે એ અમૃત સમાન છે.