શ્રદ્ધાર્વાંલ્લભતે જ્ઞાનં તત્પરઃ સંયતેન્દ્રિયઃ
જ્ઞાનં લબ્ધ્વા પરાં શાંતિમચિરેણાગચ્છતિ..
જે જિતેન્દ્રિય તથા સાધન પરાયણ છે એવો શ્રદ્ધાવાન મનુષ્યને સત્ય પરમજ્ઞાનને પ્રાપ્ત કરે છે અને આ જ્ઞાનને પામીને તે તરત જ પરમ શાંતિ પ્રાપ્ત કરે છે.(ગીતાઃ૪/૩૯)આ શ્ર્લોકમાં શ્રદ્ધાવાન પુરૂષને જ્ઞાન પ્રાપ્ત થવાની વાત કરી છે.જ્ઞાનનો વિષય ચાલે છે.જ્ઞાન કેવી રીતે મેળવી શકાય તેના વિવિધ રસ્તાઓ આ અધ્યાયમાં છેલ્લા ઘણાં શ્ર્લોકોથી ભગવાન બતાવતા રહ્યા છે.હવે આ શ્ર્લોકમાં બીજી ત્રણ વાતો બતાવે છે. શ્રદ્ધાવાન-તત્પર અને સંયતેન્દ્રિયઃ આ ત્રણ ગુણો જેનામાં હોય તેને જ્ઞાન પ્રાપ્ત થાય છે.જેની ઇન્દ્રિયો વશમાં છે તે સંયતેન્દ્રિય અને જે પોતાના સાધનમાં તત્પરતાપૂર્વક લાગેલા છે તે તત્પર છે.
પરમાત્મામાં,મહાપુરૂષોમાં,ધર્મમાં અને શાસ્ત્રોમાં પ્રત્યક્ષની જેમ આદરપૂર્વક વિશ્વાસ હોવો એ શ્રદ્ધા કહેવાય છે.જ્યાંસુધી પરમાત્મા તત્વનો અનુભવ ના થાય ત્યાં સુધી પરમાત્મામાં પ્રત્યક્ષથી વધારે વિશ્વાસ હોવો જોઇએ.સંસાર એક ક્ષણ પણ સ્થિર નથી,પ્રતિક્ષણ સરકી રહ્યો છે,તેની કોઇ સ્વતંત્ર સત્તા નથી.ફક્ત પરમાત્માની સત્તા વડે જ તે સત્તાવાન દેખાઇ રહ્યો છે.આ રીતે સંસારની સત્તા ન માનીને એક પરમાત્માની સત્તાને માનવી એ શ્રદ્ધા છે.
શ્રીમદ ભગવદ ગીતા(૪/૩૪)માં ભગવાને કહ્યું છે કે તત્વના જ્ઞાનને તૂં તત્વદર્શી જ્ઞાની મહાપુરૂષો પાસે જઇને જાણી લો.તેમને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવાથી,તેમની સેવા કરવાથી તેમજ સરળભાવે પ્રશ્ન પુછવાથી તે તત્વદર્શી અનુભવી જ્ઞાની-શાસ્ત્રજ્ઞ મહાપુરૂષ તને તે તત્વજ્ઞાનનો ઉપદેશ આપશે.અહી ભગવાને જ્ઞાન પ્રાપ્ત કરવાનું એક સાધન બતાવ્યું છે-શ્રદ્ધા.ભગવાન કહે છે કે શ્રદ્ધારહિત પુરૂષ મને પ્રાપ્ત ન થઇને જન્મ-મરણરૂપી સંસારચક્રમાં ઘુમતા રહે છે જ્યારે શ્રદ્ધાવાન પુરૂષ પરમ શાંતિને પ્રાપ્ત થાય છે એટલે કે મને પ્રાપ્ત થઇને જન્મરણરૂપી સંસારચક્રથી છુટી જાય છે.જ્ઞાન મેળવવા માટે શ્રદ્ધાની સૌ પ્રથમ જરૂર છે.કોઈપણ જ્ઞાન મેળવવું હોય તો તે શિખવનાર ઉપર શ્રદ્ધા જોઈએ.સામાન્ય જ્ઞાનના માટે પણ શ્રદ્ધા જોઈએ તો પછી આત્મજ્ઞાન-તત્વજ્ઞાન માટે શ્રદ્ધા અતિ આવશ્યક છે.શ્રદ્ધા એટલે કે ભાવ-ભક્તિ અને વિશ્વાસનું સમરસ રૂપ.આ શ્રદ્ધા કોના ઉપર રાખવાની છે? સૌ પ્રથમ તો પોતાના ઉપર એટલે કે આત્મશ્રદ્ધા,બીજી ગુરૂ ઉપર શ્રદ્ધા અને ત્રીજી ભગવાન ઉપર શ્રદ્ધા.આ ત્રણેય શ્રદ્ધા પરિપૂર્ણ હોય તો જ સાચી શ્રદ્ધા છે એમ કહેવાય.સદગુરૂ અને શાસ્ત્રવચનમાં પ્રામાણિકતાનો નિશ્ચય તે શ્રદ્ધા છે.
વ્યવહારમાં મોટા ભાગે માણસો શ્રદ્ધાના લેબલ મારીને જે કરે છે તે વહેમ છે.ઘરમાંથી બહાર નીકળતી વખતે ભગવાનને કરાતા નમસ્કાર એ જો કંઈ ઉલટું-સૂલટું ન થાય તો સારૂં એવું વિચારીને થતાં હોય તો તે પણ વહેમ છે.ભગવાનને ભાવ-ભક્તિ અને વિશ્વાસથી નમસ્કાર કરવા જોઈએ.સામાન્ય માનવ મોટાભાગે શ્રદ્ધાના નામે વહેમનો જ વેપાર કરે છે.
બીજી વાત તત્પરતા..તત્પરતા એટલે કે આતુરતા,હોંશ,તલ્લીનતા,નિષ્ઠાપણું અને તાદાત્મ્યતા.આ જો જીવનમાં ન હોય તો જ્ઞાન મળતું નહીં અને મળે તો પચતું નથી.ગુરૂ વિશે તત્પરતા,પ્રભુ માટે તત્પરતા-આ ન હોય તો જ્ઞાન મળે છતાં જીવનમાં ફેરફાર થતો નથી અને મોટા ભાગે આવી જ્ઞાન સફર અડધેથી જ પડતી મૂકાઈ જાય.
ત્રીજી વાત સંયતેન્દ્રિય..જેની ઇન્દ્રિયો સંયત છે એટલે કે તેના નિયંત્રણમાં છે.મોટાભાગે માનવ ઇન્દ્રિયોના નિયંત્રણમાં હોય છે.દરેક ઇન્દ્રિયોને જુદી-જુદી પોતપોતાના વિષયની તલપ લાગે છે અને ઇન્દ્રિયોના ઇશારે માનવ નિઃસહાય-લાચાર બનીને તે તલપ પૂરી કરવા ખેંચાય છે.માનવના તાબામાં ઇન્દ્રિયો હોવી જોઈએ.શિવાલયમાં કાચબાને નમસ્કાર એટલા માટે થાય કેમકે કાચબો સંયતેન્દ્રિયતાનું પ્રતિક છે.કાચબો પોતાની ઇન્દ્રિયો જરૂર હોય ત્યારે બહાર કાઢે છે અને જરૂર ન હોય ત્યારે અંદર ખેંચી લે છે.આવી જ રીતે જેની ઇન્દ્રિયો કેળવાયેલી હોય તેને સંયતેન્દ્રિય કહેવાય છે.ઇન્દ્રિયોને નિરાહારી રાખવાની નથી તથા બિલકુલ સ્વચ્છંદી-સ્વૈરાહારી પણ રાખવાની નથી.જ્યારે જેની જેવી જરૂર હોય ત્યારે મારી આજ્ઞા મુજબ ઇન્દ્રિયો કામ કરે તેને સંયત ઇન્દ્રિયો કહે છે.નિગ્રહ અને સંયમમાં ફરક છે અને તે જાળવી રાખવો અત્યંત જરૂરી છે.
ઇન્દ્રિયો સંયમિત હોય તો આત્મશક્તિ વેડફાઈ જતી નથી અને આત્મશક્તિ જેટલી શક્તિશાળી તેટલું જ્ઞાન ઝડપથી પ્રાપ્ત થાય છે અને આ જ્ઞાન મળતાં જ તત્ક્ષણ પરમશાંતિ મળે છે એટલે કે આધિભૌતિક- આધિદૈવિક અને આધ્યાત્મિક શાંતિ મળે છે.આજે માનવને અશાંતિ કેમ છે? કસ્તુરી મૃગની નાભિમાં જ હોય છે તેમ છતાં તેને શોધવા આખા જંગલમાં ભટકે છે તેમ પ્રભુ-પરમાત્મા અંદર-બહાર સર્વવ્યાપક છે તેમ છતાં તેને શોધવા માનવ પર્વત,જંગલ કે મંદિરે-મંદિરે શોધે છે.જ્યારે મનુષ્યને સદગુરૂની કૃપાથી ઘટ-ઘટવાસી,સર્વવ્યાપકનું જ્ઞાન થાય તથા ભગવાન અંદર પણ છે અને તે મારી સાથે સુખ-દુ:ખ સહન કરે છે, મારૂં જીવન ચલાવે છે,મારી દિવસ-રાત સેવા કરે છે આવી અનુભૂતિ થાય ત્યારે પરમશાંતિની પ્રાપ્તિ થાય છે.
મનુષ્યનું જીવન શ્રદ્ધા અને વિવેકથી ચાલે છે.વિવેક ના હોય ૫રંતુ શ્રદ્ધા હોય તો બીજાના વિવેકથી લાભ ઉઠાવી શકાય છે.બીજાના વિવેકથી લાભ ઉઠાવવાની યોગ્યતાનું નામ શ્રદ્ધા છે.સાચી શ્રદ્ધા અને ૫રમાત્મા ઉ૫ર પૂર્ણ વિશ્વાસ હોય તો ગમે તેનામાં બ્રહ્મતેજ પ્રગટે છે.દિલથી પ્રાર્થના કરીએ તો માંગેલું બધું જ મળી જાય છે, ફૂલોના છોડને રોજ પાણી મળતું રહે તો કળી પણ ફૂલ બની જાય છે, વાણી અને વર્તનમાં જો મીઠાશ હોય તો દુશ્મન પણ નમી જાય છે, દિલમાં શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો ભગવાન પણ મળી જાય છે. ભગવાનને શ્રદ્ધાપૂર્વક ભજવા એ ભક્તિ છે.પ્રેમ અને શ્રદ્ધા ભક્તિના આધારસ્તંભ છે.ભક્તિથી ઇશ્વરીય પ્રેમ,દિવ્યતા,પરમાનંદ અને વિશ્રામ મળે છે.ભક્તિમાં ભક્ત,ગુરૂ અને પ્રભુની પ્રમુખ ભૂમિકા છે. ભગવાનને જાણ્યા પછી જ ભક્તિની શરૂઆત થાય છે.હરદેવવાણીમાં કહ્યું છે કે જેની ભક્તિ જેની પૂજા તેનું જ્ઞાન જરૂરી છે,કહે હરદેવ પહેલાં ઇશ્વરની ઓળખાણ જરૂરી છે.