શરદ પૂર્ણિમાની વિદાય બાદ રોશનીના સમુહપર્વ દિપોત્સવીના તહેવાર આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે લોકોમાં ભારે ઉત્સાહનો માહોલ છવાઈ રહ્યો છે. આગામી તા.24 ઓકટોબરે ગુરૂ પુષ્યામૃત યોગના પર્વે શુકનવંતી ચીજવસ્તુઓ ખરીદવા માટેનું શુભ મુર્હૂત આવી રહ્યુ હોય તેને લઈને ગોહિલવાડના સોના,ચાંદીના વિક્રેતાઓ તેમજ ઓટોમોબાઈલના વિક્રેતાઓ દ્વારા સ્ટોક સહિતની આગોતરી તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે.
તહેવારોના દિવસો જાણે કે, ઝડપભેર પસાર થઈ રહ્યા હોય પ્રકાશનું મહાપર્વ દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો હોય ગોહિલવાડની વિવિધ બજારોમાં ભારે ભીડ દ્રશ્યમાન થતા ધીમે ધીમે રોનક જામી રહી છે. ત્યારે આગામી તા.24 ઓકટોબરને ગુરૂવારે ગુરૂ પુષ્યામૃત યોગના અનન્ય મહિમાવંતા મહાપર્વે ચોપડા, વાહન, પૂજાનો સામાન, સોના,ચાંદીના આભુષણો, જમીન અને મકાન તેમજ પ્લોટની ખરીદી શુભ બની રહેશે. ગુરૂપુષ્યામૃતના યોગના પર્વે શ્રધ્ધાળુઓ દ્વારા શ્રીયંત્રની ધૂમ ખરીદી થશે.
વિક્રમ સવંત 2080 નું અંતિમ અતિ શુભ અને સમૃધ્ધિ આપવાવાળુ ગુરૂ પુષ્યામૃત નક્ષત્ર તા.24મીએ સવારે સૂર્યોદયથી બીજા દિવસના સૂર્યોદય સુધી રહેશે.એટલે કે, ગુરૂવારે દિવસ અને રાત્રિ દરમિયાન આ યોગનો લાભ લઈને શુકનવંતી ખરીદી કરી શકાશે. આ યોગમાં સોના,ચાંદી, હિરા, માણેક, ઝવેરાત અને ઈલેકટ્રોનિકસની વસ્તુઓની ખરીદી કરવાથી વિશેષ લાભ થશે.
જયોતિષ શાસ્ત્રના અભ્યાસુ ડો. કિરીટભાઈ ત્રિવેદીએ વધુમાં ઉમેર્યુ હતુ કે, નભ મંડળના 27 પૈકીના આઠમાં નક્ષત્રના તમામ ચરણો ચંદ્રના સ્વામિત્વવાળી કર્કરાશિમાં હોય છે. આ રાશિમાં ગુરૂ ઉચ્ચસ્થાને છે. દર મહિને પુષ્ય નક્ષત્ર આવે છે પણ જયારે આ નક્ષત્ર ગુરૂવારે આવતુ હોવાથી ગુરૂ પુષ્યામૃત અર્થાત ગુરૂ અને પુષ્યનો અમૃત યોગ બને છે. જો આ નક્ષત્ર રવિવારે આવતુ હોવાથી રવિ પુષ્યનક્ષત્ર યોગ બને છે આ નક્ષત્રનો સ્વામી શનિ છે અને વર્ષમાં ફકત બે કે ત્રણ વાર ગુરૂપુષ્યામૃત યોગ આવે છે.
આ નક્ષત્ર દરમિયાન કરેલી ખરીદી, તંત્ર,મંત્ર, સાધના, જપ,તપ અને દાનની વૃદ્ધિ સાથે અતિ શિઘ્ર ફળ આપે છે. ગુરૂવારના આ નક્ષત્રમાં ગુરૂ, ચંદ્ર અને શનિના લાભ મળે છે. ચંદ્ર એટલે ધન, સંપત્તિ, સમૃદ્ધિ ગુરૂ એટલે સોનુ, શનિ એટલે લાંબો સમય ટકાવનાર, ખરીદી કરવા ઉપરાંત મંત્ર સાધના, તપ, પુણ્ય, દાન અને વિદ્યાપ્રાપ્તિ માટેનો ઉત્તમ દિવસ ગણાય છે.