Ahmedabad,તા.4
ગુજરાતમાં સૂચિત જંત્રીદર વધારા મામલે કેટલાંક વખતથી ઉહાપોહ છે. તેવા સમયે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાહતનો મહત્વપૂર્ણ સંકેત આપતા કહ્યું છે કે જંત્રી મુદ્દે ચિંતા કરવાની જરૂર નથી. માત્ર જંત્રી જ નહિં રીયલ એસ્ટેટ ક્ષેત્રનાં કોઈપણ પ્રશ્નોનો સાથે બેસીને ઉકેલ લાવવા સરકારનું મન ખુલ્લુ છે. જોકે, જંત્રી-એફએસઆઈ સહિતના ક્ષેત્રે અપાતા લાભો છેવાડાનાં ગ્રાહકો (મકાન ખરીદનારા) સુધી પહોંચે તેની કાળજી લેવા પણ સુચવ્યુ હતું.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અમદાવાદમાં કન્ફેડરેશન ઓફ રિયલ એસ્ટેટ ડેવલપર્સ એસોસિએશન્સ ઓફ ઈન્ડિયા (ક્રેડાઇ) દ્વારા આયોજિત ‘પ્રોપર્ટી શો ગુજકોન’નું ઉદ્ઘાટન કર્યું હતું.
આ પ્રસંગે મુખ્યમંત્રી એ સ્પષ્ટપણે જણાવ્યું કે, એફોર્ડેબલ હાઉસિંગની ડેફીનેશન- કોન્સેપ્ટને રિવાઇઝ કરવાની જરૂર છે. નાના મકાન 1BHK, 2BHK વધુ સંખ્યામાં કેવી રીતે બનાવી શકાય અને તે માટે ડેવલોપર્સને કઈ ફેસિલિટીની જરૂર છે, તેની ચર્ચા કરવા સરકાર તૈયાર છે.
મુખ્યમંત્રીએ જંત્રી સંલગ્ન તેમજ FSI માં છૂટ સહિતના તમામ રાહતના લાભ છેક છેવાડાના માનવી અર્થાત મકાન ખરીદનાર સુધી પહોંચે તેવી હિમાયત ડેવલોપર્સ સમૂહને કરી હતી.
મુખ્યમંત્રી એ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં કરોડોની સંખ્યામાં એફર્ડેબલ મકાન બન્યા છે. સરકારની સાથે બિલ્ડર્સ ડેવલોપર્સ પણ જોડાય અને જન સામાન્યને પરવડે તેવી કિંમતના મકાનો વધુ ને વધુ સંખ્યામાં મળે તેવી અપીલ મુખ્યમંત્રી એ કરી હતી.
એફોર્ડેબલ હાઉસિંગના નિર્માણમાં શક્ય તમામ પ્રોત્સાહન અને રાહત આપવા રાજ્ય સરકારનું મન ખુલ્લું છે, તેમ તેમણે ઉમેર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ટી.બી. મુક્ત ભારતનો નિર્ધાર કર્યો છે તેને પાર પાડવામાં મુખ્યમંત્રીએ પોષણ કીટ વિતરણ માટે બિલ્ડર્સને સહયોગ આપવા અનુરોધ કર્યો હતો.
મુખ્યમંત્રી એ ક્રેડાઇના ગ્રીન કવર વધારવાના પ્રયાસો, ગ્રીન બિલ્ડિંગ્સના નિર્માણ અને શાળા નવીનીકરણ પ્રકલ્પોને બિરદાવ્યા હતા. મુખ્યમંત્રીએ કહ્યું-બધાના મગજમાં જંત્રી…જંત્રી…ચાલતી હોય,એમાં વધુ રિલેક્સ કરું છું. ચિંતા ના કરો. જંત્રી માટે ચિંતા કોઈ ના કરતા.
પ્રધાનમંત્રીએ હંમેશા સૌના સાથ સૌના વિકાસ માટે કામ કર્યું છે. અમારે તમારો સાથ જોઈએ છે. તમે તમારી રજૂઆત કરજો. સારી રીતે અપણે આગળ વધીશું. વિકસિત ભારત માટે ડેવલોપરની જરૂર છે. તમે તમારી જવાબદારી નિભાવજો. અમે તમારી સાથે છીએ. તમે એફોર્ડેબલ હાઉસિંગ બનાવો છો.
આજ કાલ એફોર્ડેબલ હાઉસિંગનો મતલબ બદલાઈ ગયો છે. હું ખુલ્લા મને આની ઉપર ચર્ચા કરવા માટે તૈયાર છું. એફોર્ડેબલ હાઉસિંગમાં ખુબ મોટા મકાનો બન્યા છે. એફોર્ડેબલ હાઉસિંગના વિચાર મારી સમક્ષ તમે બધા લાવો નાના મકાનોનો વિચાર તમારા બધા થકી થવો જોઈએ.
ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ આ પ્રસંગે જણાવ્યું કે, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં વહીવટી તંત્ર, ડેવલોપર્સ અને મકાન ખરીદદારો એમ બધાના હિત સચવાય તેવી નીતિરીતિ અપનાવીને સરકાર રાજ્યના રિયલ એસ્ટેટ સેક્ટરને ગ્રોથ અને ગતિ આપી રહી છે.
અમદાવાદ મેગા ઇન્ટરનેશનલ સીટી બની રહ્યું છે. વિવિધ ઇન્વેસ્ટમેન્ટ આવી રહ્યા છે ત્યારે મોટા પ્રોજેક્ટ્સ અને નિર્માણ કાર્યની જરૂર સતત પડશે. અમદાવાદ-ગાંધીનગર એસ. જી. હાઇવેને ડસ્ટ-ફ્રી, પ્રદૂષણ મુક્ત બનાવવાના પાયલોટ પ્રોજેક્ટનો પણ ઉલ્લેખ કર્યો હતો. મંત્રીએ ક્રેડાઇના સમાજ ઉપયોગી કાર્યો તેમજ એક્સપોના ભવ્ય આયોજનનેની પ્રશંસા પણ કરી હતી.
ક્રેડાઇના પ્રેસિડેન્ટ ધૃવ પટેલે મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે, ગ્રીન બિલ્ડીંગના નિર્માણ માટેના ઇન્સેન્ટીવ્ઝને મુખ્યમંત્રીએ બમણા કરી દીધા છે, તેનાથી રાજ્યમાં ગ્રીન બિલ્ડિંગના બાંધકામને પ્રોત્સાહન મળ્યું છે.