Bhavnagar,તા.૨૪
રાજ્યભરમાં બહુચર્ચિત જીએસટી કૌભાંડમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ભાવનગરમાંથી વધુ પાંચ લોકોની ધરપકડ કરી છે અને તેઓને કોર્ટમાં રજૂ કરવામાં આવતા પાંચ દિવસના રિમાન્ડ પર લીધા છે. હજુ પણ ૫૦ શંકાસ્પદ પેઢીઓ તંત્રના ધ્યાને આવી છે અને આ પેઢીઓ કોણે બનાવી તે અંગે તપાસ ચાલી રહી છે.
ધ્રુવી એન્ટરપ્રાઈઝ નામની પેઢી નકલી દસ્તાવેજો સાથે રજીસ્ટર કરવામાં આવી હતી અને ય્જી્ નંબર મેળવીને કરોડો રૂપિયાની ટેક્સ ક્રેડિટ મેળવવાના ઉદ્દેશ્ય સાથે અન્ય ૧૨ સંકળાયેલી કંપનીઓને નકલી બિલ મોકલવામાં આવ્યા હતા.પોલીસ દ્વારા આ અગાઉ એજાજ માલદાર, અબ્દુલકાદર કાદરી, ફૈઝલ શેખ, ઈરફાન જેઠવા, જીગ્નેશ દેસાઈ, પરેશ ડોડીયા, મહેશ લાંગા અને જ્યોતિષ ગોંડલીયાની ધરપકડ કરવામાં આવી હતી. આ તમામના રિમાન્ડ દરમિયાન પોલીસને મળેલી માહિતીના આધારે આ કેસમાં વધુ લોકોની સંડોવણી બહાર આવી હતી, અને તે મુજબ આદિલ ખોખર ઉર્ફે એડી, કાદર ખોખર ઉર્ફે નાવડી, અકીલ પઠાણ, શાહરૂખ રંગરેજ, અને સરફરાજ ચૌહાણ આ તમામની ભાવનગર ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી. અને તેઓને કોર્ટમાં રજૂ કરવામાં આવતા પાંચ દિવસના રિમાન્ડ મંજૂર થયા છે.
પકડાયેલા લોકો પાંચથી પંદર હજાર રૂપિયામાં બોગસ દસ્તાવેજના આધારે રજીસ્ટર કરાવવામાં આવેલી કંપનીઓ ખરીદી અને ૨૫ થી ૫૦ હજાર રૂપિયામાં વેચી મારતા હતા. ઉપરાંત તેઓએ ૫૦થી વધુ બોગસ કંપનીઓ ખોલી હોવાની વિગત પણ પ્રાથમિક રીતે ધ્યાને આવી હોવાનું અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના સૂત્રોએ જણાવ્યું હતું.
તાજેતરના જીએસટી કૌભાંડમાં અત્યાર સુધીમાં કુલ ૧૩ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તે પૈકી નવ આરોપીઓ ભાવનગરના છે. આ ઉપરાંત વધુ ભેજાબાજો આ કૌભાંડમાં સામેલ હોવાની શંકાના આધારે ભાવનગરમાં સતત તપાસનો ધમધમટા ચલાવવામાં આવી રહ્યો છે.