Jamnagar તા ૨૮,
જામનગરમાં મચ્છર નગર વિસ્તારમાં રહેતા એક પટેલ યુવાનને જૂની અદાવત નો ખાર રાખીને બે શખ્સોએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, અને તેના અન્ય સાગ્રીત કે જે હાલ ઝિમ્બાબ્વે દેશમાં રહે છે, તેણે મોબાઈલ ફોનમાં વોટસએપ કોલિંગ કરીને ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ઘાકધમકી આપી હોવાની ફરિયાદ સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવાઇ છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરના મચ્છર નગર વિસ્તારમાં રહેતા કિશન રમેશભાઈ પાનસુરીયા નામના ૨૬ વર્ષના પટેલ યુવાનને તે જ વિસ્તારમાં રહેતા હિતરાજસિંહ વિક્રમસિંહ વાળા સાથે આજથી બે મહિના પહેલાં પૈસાની લેતી દેતી ના મામલે તકરાર થઈ હતી. જેના અનુસંધાને ઉશ્કેરાયેલા હીતરાજસિંહ અને તેના એક સાગરીતે કિશન પટેલ ના મકાનને સળગાવી નાખ્યું હતું.
જે બનાવ અંગે હિતરાજસિંહ અને તેના સાગરીત સામે અગાઉ સિટી બી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
જે કેસ પાછો ખેંચી લેવા માટે ગઈકાલે હિતરાજસિંહ વાળા અને દુષ્યંતસિંહ ઝાલા ફરિયાદી કિશન પટેલ ના ઘર પાસે પહોંચ્યા હતા, અને કેસ પાછો ખેંચી લેવા માટે ધાકધમકી આપી હતી. અને જો કેસ પાછો નહીં ખેંચે તો તને અને તારા પરિવારને પતાવી નાખશું તેવી ધમકી ઉચ્ચારી હતી.
આ ઉપરાંત હીતરાજસિંહ નો વધુ એક સાગરીત મૂળ જામનગરના અને હાલ ઝિમ્બાબ્વે દેશમાં રહેતા છત્રપાલસિંહ જાડેજા એ પણ કિશન પટેલ ના મોબાઈલ ફોનમાં વોટસએપ કોલિંગ કરીને ગાળો ભાંડી હતી, અને કેસ પાછો ખેંચી લેવા માટેની ધાકધમકી ઉચ્ચારી હતી
અને હું અહીંથી બેઠા બેઠા તને મરાવી નાખીશ, તેવું ધમકી ભર્યું દબાણ કરતાં આખરે મામલો સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં ફરીથી લઈ જવામાં આવ્યો હતો, અને કિશન પટેલની ફરિયાદના આધારે પોલીસ હેડ કોન્સ્ટેબલ પી. કે. વાઘેલાએ હિતરાજસિંહ વાળા, દુષ્યંતસિંહ ઝાલા અને છત્રપાલસિંહ ઝાલા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.