Ahmedabad,તા.29
પક્ષકારો વચ્ચે એકવાર રજિસ્ટર્ડ સેલડીડ થયા પછી રેવન્યુ ઓથોરીટીએ જેના નામનો દસ્તાવેજ હોય તેના નામની એન્ટ્રી પાડવી જ પડે અને રજિસ્ટર્ડ સેલડીડના આધારે પાડવામાં આવેલી એન્ટ્રી રદ કરવાનો રેવન્યુ ઓથોરીટીને કોઇ અધિકારક્ષેત્ર નથી તેવો મહત્વનો આદેશ ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે કર્યોં હતો. આ અંગેના સીંગલ જજના હુકમને યથાવત રાખ્યો હતો.
કેસની વિગત મુજબ, પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના જંગરાલ ગામે આવેલ જાણીતા શ્રી પાળેશ્વર મહાદેવ સંસ્થાન ટ્રસ્ટની ખેતીની જમીન આવેલી હતી. તે જમીન મહાદેવના જિર્ણોધ્ધાર માટે વેચવાની જરૂરિયાત ઉભી થઇ હતી.
જો કે, ટ્રસ્ટની જમીન હોવાથી ચેરિટી કમિશનરની કલમ-36 હેઠળ મંજૂરી લીધા બાદ જ વેચી શકાય. આ માટે ટ્રસ્ટ દ્વારા મહેસાણાના જોઇન્ટ ચેરિટી કમિશનર સમક્ષ ઉપરોકત જમીન વેચવા માટેની જરૃરી મંજૂરી માંગી હતી.
જેમાં નિયમ મુજબ, અખબારમાં જાહેરાત પણ આપવી પડે. જેની પૂર્તતા કર્યા બાદ જોઇન્ટ ચેરિટી કમિશનરે સૌથી ઉંચી કિંમત આપનાર મનુભાઇ બારોટને કાયદાકીય પ્રક્રિયા અનુસરીને જમીન આપી હતી.
જો કે, આ નિર્ણય સામે વાંધો ઉઠાવી નીરૂબેન પી.બારોટ નામના પક્ષકાર તરફથી વાંધા અરજી આપી જણાવાયું હતું કે, આ મિલ્કત અમારા બાપદાદાના વખતની છે અને તેથી આ જમીન ફાળવી ના શકાય. જો કે, જોઇન્ટ ચેરિટી કમિશનરે મનુભાઇ સી.બારોટને સોૈથી ઉંચી બોલી બોલી હોવાથી જમીન તેમને વેચાણ આપવાનો હુકમ કર્યો હતો.
આ હુકમથી નારાજ થઇ વાધેદાર નીરુબેન તથા અન્યો તરફથી ગુજરાત રાજય મહેસૂલ પંચ સમક્ષ અરજી કરાઇ હતી. જો કે, તે અરજી પંચે રદ કરી હતી. તે પછી પાટણના મામલતદાર દ્વારા અગમ્ય કારણસર આ વેચાણ નોંધ રદ કરી હતી. જેથી મનુભાઇ બારોટે હાઇકોર્ટમાંં રિટ અરજી કરી મામલતદારના નિર્ણયને પડકાર્યો હતો.
જેમાં હાઇકોર્ટે ઠરાવ્યું હતું કે, ટ્રસ્ટની આ જમીન છેલ્લા 70 વર્ષોથી ટ્રસ્ટના નામે છે અને ચેરિટી કમિશનરે બધી જ કાયદાકીય પ્રક્રિયા અનુસર્યા બાદ અરજદારને જમીન વેચાણ આપેલ છે.
આ બાબતમાં રજિસ્ટર્ડ દસ્તાવેજ થયા પછી રેવન્યુ ઓથોરીટીએ રેવન્યુ રેકર્ડમા નોંધ પાડવી જ પડે. પ્રસ્તુત કેસમાં વાંધેદારોને અરજદારની તરફેણમાં નોંધ નહી પાડવાનો વાંધો લેવાનો કોઇ અધિકાર નથી. ત્યારબાદ કરાયેલી અપીલ હાઈકોર્ટે ફગાવી દીધી હતી.