Sydney,તા.8
ન્યૂઝીલેન્ડ બાદ હવે ઓસ્ટ્રેલિયા સામે બોર્ડર-ગાવસ્કર સિરીઝમાં મળેલી હાર બાદ ટીમ ઈન્ડિયાના ગયાં મહિને ખરાબ પ્રદર્શનની સંપૂર્ણ સમીક્ષાની માંગ ઉઠવા લાગી છે.
પૂર્વ ભારતીય કેપ્ટન સુનીલ ગાવસ્કરે પણ આ વાતની વકીલાત કરી છે. તેમણે કહ્યું કે, હવે જ્યારે ભારત ડબલ્યુટીસી ફાઈનલ માટે ક્વોલિફાય થઈ શક્યું નથી, તો આવું શા માટે થયું તેનાં કારણો પર વિચાર કરવો જોઈએ. જ્યાં સુધી ટેસ્ટ ક્રિકેટમાં રોહિત અને વિરાટના ભવિષ્યનો સવાલ છે, તે નક્કી કરવાનું પસંદગીકારોના હાથમાં છે.
તેમણે આગામી ડબલ્યુટીસીના માટે યુવાનોને તક આપવાની પણ હિમાયત કરી છે. રોહિત અને કોહલી ભારતીય બેટિંગની નબળી કડી સાબિત થયાં છે. ટીમનાં બેટ્સમેનોની વારંવારની નિષ્ફળતા તરફ ઈશારો કરતાં ગાવસ્કરે કહ્યું કે, તે સ્પષ્ટ છે કે છેલ્લાં છ મહિનામાં ભારતીય બેટિંગ નિષ્ફળ ગઈ છે.
આ મુખ્ય કારણ હતું કે, તેઓ મેચ હારી ગયાં હતાં. તેથી જો ઇંગ્લેન્ડમાં જૂનમાં શરૂ થનારી ડબલ્યુટીસીની નવી સાઇકલ માટે ટીમમાં ફેરફારની જરૂર હોય, તો આશા છે કે પસંદગીકારો 2027માં ફાઇનલ સુધી ટીમમાં કયાં ખેલાડીઓ રહેશે તેનાં પર વિચાર કરશે અને તે મુજબ પસંદગી કરશે.
રોહિત અને વિરાટની ટીકા યોગ્ય નહીં : યુવરાજ
યુવરાજે હાર બાદ કોહલી અને રોહિતની ટીકાને અયોગ્ય ગણાવી હતી અને કહ્યું હતું કે, બંને ખેલાડીઓની ભૂતકાળની સિદ્ધિઓને ભૂલવી ન જોઈએ. તેમણે કહ્યું કે ઘણાં લોકો રોહિત અને કોહલી વિશે ખૂબ જ ખરાબ વાતો કરે છે. લોકો ભૂલી જાય છે કે તેઓએ ભૂતકાળમાં શું મેળવ્યું છે.
તે આ સમયનાં મહાન ક્રિકેટરોમાંથી એક છે. યુવરાજે કહ્યું કે, તેઓ હારી ગયાં, તેઓ સારું ક્રિકેટ રમ્યાં નહીં. પણ તેઓ બીજા લોકો કરતાં વધુ નાખુશ છે. કોચ તરીકે ગંભીર, પસંદગીકાર તરીકે અગરકર અને રોહિત, કોહલી અને બુમરાહ સાથે, ટીમ પાસે અત્યારે ક્રિકેટની સારી જાણકારી છે.