Jamnagar તા.૧૯
એમ કહે છે કે ‘‘ગૃહસ્થાશ્રમ દરેક આશ્રમનો આશ્રય છે‘‘ અને દિકરીઓ વયસ્ક-પુખ્ત થાય ત્યારે તેઓના લગ્નના ઓરતાના મોજા ઘુઘવવા માંડે છે એક છુપો થનગનાટ હોય છે અનેક અરમાન જાગે છે,તેમજ લગ્ન ધામધૂમથી થાય વ્હાલ અને વાત્સલ્યથી થાય તેવી પ્રબળ ઇચ્છાઓ દીકરીઓને હોય તે સ્વાભાવિક છે.લગ્ન સંસ્કાર એ સનાતન પરંપરા છે,મનુ સ્મૃતિ મુજબના સોળ સંસ્કારમાંના એક છે.વિવાહ સંસ્કાર વખતે શાસ્રોક્તવિધી,વિવિધ માંગલિક પ્રસંગો તો હોય જ છે તેમાં ખૂબ મહત્વનો તબક્કો હોય છે ‘‘કન્યાદાન‘‘નો, જે દાનનુ એક મુઠી ઉચેરૂ સ્થાન છે,એમ માનો કે લગ્નજીવનના પ્રારંભ કરતા પુર્વે દિકરીને ભાવપૂર્વક સોંપવાનું દાન છે,સાથે સાથે દિકરીઓને સાસરે જઇને જીવન જરૂરીયાતની કોઇ વસ્તુઓની ખોટ ન સાલે તે માટે ‘‘કરીયાવર‘‘આપવાનો આપણે ત્યાં રીવાજ છે ‘‘કરીયાવર‘‘ એ માત્ર રીવાજ નથી,સાસરે જતી દિકરીને સન્માનપુર્વક રહેવા માટે લાગણીસભર ચીજ વસ્તુઓ આપવાની વિધી છે આ દરેક બાબતો ભાવસભર બને ત્યારે લગ્નોત્સવમાં પ્રાણ પુરાય છે.આવા જ પ્રાણ પુર્યા ‘‘તપોવન ફાઉન્ડેશન‘‘ના ટ્રસ્ટીઓએ ગત તારીખ ૧૭/૧૧/૨૪ ના, વડીલ વાત્સલ્યધામ ખાતે, ધામધૂમભર્યા અને અદભૂત આયોજનબદ્ધ પ્રસંગ ની ઠેર ઠેર પ્રસંશા થઇ રહી છે.
સમગ્ર પણે જામનગર પંથક માટે પ્રેરક ગણાય,કન્યાઓના પરીવાર માટે યાદગાર ગણાય,સૌ આમંત્રીતો માટે અદભૂત કહેવાય તેવા આ ભાવસભર સમુહ લગ્નના આયોજન પ્રસંગના વિશિષ્ટ અને ધામધૂમભર્યા આયોજનના સાર રૂપે એમ કહેવાય કે હાલાર પંથકની સંસ્થા તપોવન ફાઉન્ડેશન નિર્મિત,માતુશ્રી શ્રીમતિ ઇચ્છાગૌરી છોટાલાલ જાની,વડીલ વાત્સલ્યધામ (વીજરખી રોડ,જામનગર)માં અનાથ દીકરીઓ,નબળા વર્ગની દિકરીઓ કે જેમના પિતા હયાત નથી તેવી ૧૬ દિકરીઓના કન્યાદાન-લગ્નોત્સવનો,સમુહલગ્ન નો પ્રસંગ ગત તારીખ ૧૭/૧૧/૨૪ના રોજ સંસ્થાના ફાઉન્ડર શ્રી રાજેનભાઇ જાની,ટ્રસ્ટી શ્રી પરેશભાઇ જાની અને ટ્રસ્ટી શ્રીમતિ વસુબેન ત્રિવેદીની જહેમતથી અને તેઓના અદભૂત આયોજન અને બહુમુલ્ય માર્ગદર્શનથી અને તેઓએ જુદી જુદી સુચારૂ વ્યવસ્થાઓ માટે કટીબદ્ધ કરેલા સ્વયં સેવક ભાઇઓ બહેનોની જુદી જુદી વ્યવસ્થા સમિતિઓની સમર્પિતતાથી સંપન્ન થયો હતો આ પ્રસંગ વિધીવિધાન સાથે,લગ્ન સમારંભ માટે આદર્શ જગ્યામાં , જુનાગઢ, ભવનાથના,ગોરક્ષનાથ આશ્રમના મહંત શ્રી શેરનાથજી બાપુ-ગુરૂ શ્રી ત્રીલોકનાથજી બાપુ, ખીજડા મંદિરના ગાદીપતિ મહંત શ્રી૧૦૮ કૃષ્ણમણીજી,ચાપરડા ગીર સોમનાથના શ્રી મુક્તાનંદજી સહિતના સંતો મહંતો , જામનગર જીલ્લા કલેક્ટર ભાવિન પંડ્યા સહિતના મહાનુભાવો, ધારાસભ્ય શ્રીમતિ રિવાબા જાડેજા સહિતના જન પ્રતિનિધીઓ, લોહાણા સમાજના ગુજરાતના પ્રમુખ શ્રી જીતુભાઇ લાલ સહિતના આગેવાનો,તબીબો,પુર્વ મેયરો સહિત સૌ આમંત્રીતોની ઉપસ્થિતિમાં સંપન્ન થયો હતો એ વખતે હેતસભર દ્રશ્યો સર્જાયા હતા અને ૧૬ દિકરીઓ જેમને પ્રભૂતામાં પગલા માંડ્યા તેમના જીવન ઉત્સાહસભર બન્યા હતા.સાથે દિકરીઓને અપાયેલા કરીયાવરમાં તેમને રોજ બ રોજની જીવન જરૂરીયાતની એટલી વસ્તુઓ આપવામાં આવી હતી કે એમ કહી શકાય કે કંઇ ન ઘટે.