New Delhi, તા. 13
આજે રાજયસભામાં બંધારણ પરની ચર્ચા સમયે કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સિતારામન અને કોંગ્રેસના સભ્યો વચ્ચે સતત તડાફડી બોલતી રહી હતી. મલ્લિકાર્જુન ખડગેએ બંધારણની ચર્ચા દરમ્યાન જવાહરલાલ નહેરૂ પર હુમલો કરવા બદલ નિર્મલા સિતારામનને આડે હાથે લેતા કહ્યું કે, મારે જણાવવું પડશે કે મને પણ વાંચતા આવડે છે.
મે મ્યુનિસીપાલટી સ્કુલમાં અભ્યાસ કર્યો છે. નિર્મલા સિતારામને જવાહરલાલ નહેરૂ યુનિ.માંથી અભ્યાસ કર્યો છે. તેમનું અંગ્રેજી સારૂ છે, તેમનું હિન્દી પણ સારૂ હશે પણ એ નિશ્ચિત છે કે તેમના કર્મો સારા નથી.
તેમને કહ્યું કે, જે લોકો રાષ્ટ્રધ્વજને નફરત કરે છે, અશોક ચક્રને નફરત કરે છે તેઓ અમને બંધારણ શિખવવા પ્રયત્ન કરે છે. જયારે બંધારણ બનાવવામાં આવ્યુ ત્યારે એ લોકોએ તેને સળગાવી દીધુ હતું.
દિલ્હીના રામલીલા મેદાનમાં આંબેડકર, જવાહરલાલ નહેરૂ અને મહાત્મા ગાંધીના પુતળા બાળ્યા હતા. તેઓએ 1949માં જે રીતે આરએસએસ દ્વારા બંધારણનો વિરોધ કરાયો હતો તેનો ઉલ્લેખ કર્યો હતો.