દીપોત્સવી એટલે આનંદ, ઉલ્લાસ અને પ્રસન્નતાનો ઉત્સવ, પ્રકાશનો ઉત્સવ ! એ કેવળ એક ઉત્સવ નથી પરંતુ ઉત્સવોનું સ્નેહ સંમેલન છે. ધનતેરસ, કાળીચૌદસ, દિવાળી, બેસતું વર્ષ અને ભાઈ-બીજ આ પાંચ ઉત્સવો પાંચ વિભિન્ન સાંસ્કૃતિક વિચાર ધારાઓ લઈને સમ્મિલિત થયા છે. જાગૃત સમજપૂર્વક જો આ ઉત્સવ ઉજવવામાં આવે તો માનવને સમગ્ર જીવનનું સુસ્પષ્ટ દર્શન એમાંથી સાંપડી રહે.
ધનતેરસ :
ધનતેરસ એટલે લક્ષ્મીપૂજનનો દિવસ. ભારતીય સંસ્કૃતિએ લક્ષ્મીને તુચ્છ કે ત્યાજ્ય માનવાની ભૂલ કદી કરી નથી. લક્ષ્મીને મા ગણી તેને પૂજ્ય માની છે. વૈદિક ઋષિએ તો લક્ષ્મીને ઉદ્દેશીને શ્રીસૂક્ત ગાયું છે.
ओम महालक्ष्मी च बिह्महे विष्णुपत्नी च धीमहि ।
तन्नो लक्ष्मीः प्रचोदयात् ।।
‘મહાલક્ષ્મીને હું જાણું છું (જે) વિષ્ણુપત્નીનું ધ્યાન ધરું છું તે લક્ષ્મી અમારા મન, બુદ્ધિને પ્રેરણા આપે.’
‘સોયના કાણામાંથી ઊંટ પસાર થાય પણ શ્રીમંતને સ્વર્ગ ન મળે.’ એ ખ્રિસ્તી ધર્મના વિધાન જોડે ભારતીય વિચારધારા સહમત નથી. ભારતીય દૃષ્ટિએ તો શ્રીમંતો ભગવાનના લાડકા દીકરા છે, ગયા જન્મના યોગભ્રષ્ટ જીવાત્માઓ છે.
शुचीनां श्रीमतां गेहे योगभ्रष्टोडभिजायते ।
तां म आवह जातवेदो लक्ष्मीमनपगामिनीम् ।
यस्यां हिरण्यं विंदेयं गामश्वं पुऱुषानहम् ।।
‘હે જાતવેદસ્ ! જે પ્રાપ્ત થતાં હું સુવર્ણ, ગાય ઘોડા અને ઈષ્ટમિત્ર મેળવી શકીશ એવી અવિનાશી લક્ષ્મી મને તું આપ.’
લક્ષ્મી ચંચલ નથી પણ લક્ષ્મીવાન માનવની મનોવૃત્તિ ચંચલ બને છે. વિત્ત એ એક શક્તિ છે. તેનાથી માનવ દેવ પણ બની શકે અને દાનવ પણ થઈ શકે. લક્ષ્મીને ભોગપ્રાપ્તિનું સાધન ગણનાર માનવ પતનની ઊંડી ગર્તામાં ગબડી પડે, જ્યારે લક્ષ્મીનું માતૃવત્ પૂજન કરી તેને પ્રભુની પ્રસાદી ગણનાર માણસ પોતે પવિત્ર બને તેમજ સૃષ્ટિને પાવન કરે. વિકૃત માર્ગે વપરાય તે અલક્ષ્મી, સ્વાર્થમાં વપરાય તે વિત્ત પરાર્થે વપરાય તે લક્ષ્મી અને પ્રભુ કાર્યાર્થ વપરાય તે મહાલક્ષ્મી. મહાલક્ષ્મી હાથી પર બેસીને વાજતે ગાજતે આવે છે. હાથી એ ઔદાર્યનું પ્રતીક છે. સાંસ્કૃતિક કાર્યમાં ઉદાર હાથે લક્ષ્મી વેરનારને ત્યાં લક્ષ્મી પેઢીઓની પેઢીઓ સુધી રહે છે. રઘુવંશ આનું જ્વલંત ઉદાહરણ છે. લક્ષ્મી એ એક મહાન શક્તિ હોવાથી તે સારા માણસોના હાથમાં જ રહેવી જોઈએ કે જેથી એનો સુયોગ્ય ઉપયોગ થાય. રાજર્ષિઓના ગુણગાન ગાતી આપણી સંસ્કૃતિ ની કલ્પના આપનાર ગ્રીક તત્ત્વચિંતક પ્લેટોના મનમાં આ જ વિચારો રમતા હશે.
કાળી ચૌદસ :
આ દિવસે મહાકાલીનાં પૂજનનું મહત્વ છે. પરપીડન માટે વપરાય તે અશક્તિ, સ્વાર્થ માટે વપરાય તે શક્તિ, રક્ષણાર્થે વપરાય તે કાલી અને પ્રભુકાર્યાર્થ વપરાય તે મહાકાલી. પોતાના સ્વાર્થ માટે શક્તિ વાપરનાર દુર્યોધન, બીજાના ચરણે શક્તિ ધરનાર કર્ણ તેમજ પ્રભુકાર્યમાં શક્તિનું હવન કરનાર અર્જુન-મહાભારતમાં આ ત્રણ પાત્રોનું ઉત્કૃષ્ટ ચિત્રણ કરીને મહર્ષિ વેદવ્યાસે આપણને સ્પષ્ટ જીવન દર્શન આપ્યું છે.
કાળી ચૌદસ એ નરક ચતુર્દશી પણ કહેવાય છે. તેની પાછળની કથા આ પ્રમાણે છે.
પ્રાગજ્યોતિષપુરનો રાજા નરકાસુર શક્તિથી સેતાન બન્યો હતો. પોતાની શક્તિથી તે સૌને રંજાડતો, એટલું જ નહીં પણ સૌંદર્યનો શિકારી એવો તે સ્ત્રીઓને પણ પજવતો. તેણે પોતાને ત્યાં સોળ હજાર કન્યાઓને કેદ રાખી હતી. ભગવાન શ્રીકૃષ્ણે તેનો નાશ કરવાનું વિચાર્યું. સ્ત્રીઉદ્ધારનું આ કામ હોવાથી સત્યભામાએ નરકાસુરનો નાશ કરવાનું બીડું ઝડપ્યું. ભગવાન કૃષ્ણ મદદમાં રહ્યા ચતુર્દશીને દિવસે નરકાસુરનો નાશ થયો. તેના ત્રાસમાંથી મુક્ત થયેલા લોકોએ ઉત્સવ મનાવ્યો. અમાસની અંધારી રાતને, દીવાઓ પ્રગટાવી તેમણે પ્રકાશિત કરી નાખી. અસુરના નાશથી આનંદિત થયેલા લોકો નવાં વસ્ત્રો પહેરી ફરવા નીકળી પડયા.
દિવાળી :
દિવાળી એટલે વૈશ્યોના ચોપડા-પૂજનનો દિવસ. સમગ્ર વર્ષનું સરવૈયું કાઢવાનો દિવસ. આ દિવસે માનવે જીવનનું પણ સરવૈયું કાઢવું જોઈએ. રાગ દ્વેષ, વેર-ઝેર, ઈર્ષ્યા-મત્સર કે જીવનમાંથી કટુતા દૂર કરી નવા વર્ષને દિવસે પુરાંતમાં પ્રેમ, શ્રદ્ધા અને ઉત્સાહ રહે તેનું ધ્યાન રાખવું જોઈએ.
નવું વર્ષ
દીવો એ જ્ઞાાનનું પ્રતીક છે- દિલમાં દીવો કરવો એટલે ચોક્કસ પ્રકારની સમજપૂર્વક દિવાળીનો ઉત્સવ ઉજવવો. ધનતેરસના દિવસે વિત્તને અનર્થ ન માનતાં જીવનસાર્થક કરવાની શક્તિ માની મહાલક્ષ્મી પૂજા કરવાની. કાળી ચૌદસને દિવસે જીવનમાં નરક સર્જનારા આળસ, પ્રમાદ, અસ્વચ્છતા, અનિષ્ટતા વગેરે નરકાસુરોને મારવાના
નવું વર્ષ એ બલિ પ્રતિપદા કહેવાય છે તેજસ્વી વૈદિક વિચારોની ઉપેક્ષા કરી વર્ણાશ્રમ વ્યવસ્થાને ઉધ્વસ્ત કરનાર બલિનો વામને પરાભવ કર્યો. તેની સ્મૃતિમાં બલિ પ્રતિપદાનો ઉત્સવ ઉજવવા લાગ્યો. બલિ દાનશૂર હતો. તેના ગુણોનું સ્મરણ નવા વર્ષને દિવસે આપણને ખરાબ માણસોમાં રહેલા શુભત્વને જોવાની દૃષ્ટિ આપે છે. કનક અને કાન્તાના મોહમાં અંધ બનેલો માણસ અસુર થાય છે. તેથી બલિનો પરાભવ કરનાર ભગવાન વિષ્ણુએ, કનક અને કાન્તા તરફ જોવાની વિશિષ્ટ દૃષ્ટિ આપતા બે દિવસો પ્રતિપદાની આસપાસ ગોઠવી, ત્રણ દિવસનો ઉત્સવ મનાવવાનો આદેશ કર્યો. દિવાળીના દિવસે કનક એટલે કે લક્ષ્મી તરફ જોવાની પૂજ્ય દૃષ્ટિ કેળવવાની અને ભાઈ-બીજના દિવસે સમસ્ત સ્ત્રી જાત તરફ મા કે બહેનની દૃષ્ટિએ જોવાનું શિક્ષણ લેવાનું. સ્ત્રી એ ભોગ્ય નથી તેમજ ત્યાજ્ય પણ નથી. તે પૂજ્ય છે એવી માતૃદૃષ્ટિ આપનાર સંસ્કૃતિ જ માનવને વિકારો સામે સ્થૈર્ય જાળવવાની શક્તિ આપી શકે. મોહ એટલે જ અંધકાર. દીપોત્સવી એટલે અજ્ઞાાન અને મોહના ગાઢ અંધકારમાંથી જ્ઞાાનના પ્રકાશ તરફ પ્રયાણ !
દિવાળી એટલે દીપોત્સવ. બહાર તો દીવા પ્રગટાવવાના જ પરંતુ ખરો દીવો તો દિલમાં પ્રગટાવો જોઈએ. દિલમાં જો અંધારું હોય તો બહાર પ્રગટાવેલા હજારો દીવડાઓ નિરર્થક બની રહે છે.
દીવો એ જ્ઞાાનનું પ્રતીક છે- દિલમાં દીવો કરવો એટલે ચોક્કસ પ્રકારની સમજપૂર્વક દિવાળીનો ઉત્સવ ઉજવવો. ધનતેરસના દિવસે વિત્તને અનર્થ ન માનતાં જીવનસાર્થક કરવાની શક્તિ માની મહાલક્ષ્મી પૂજા કરવાની. કાળી ચૌદસને દિવસે જીવનમાં નરક સર્જનારા આળસ, પ્રમાદ, અસ્વચ્છતા, અનિષ્ટતા વગેરે નરકાસુરોને મારવાના. દિવાળીને દિવસે ‘तमसो मा ज्योतिर्गमय ।’ મંત્રની સાધના કરતાં કરતાં જીવનપથ પ્રકાશિત કરવાનો : જીવનના ચોપડાનું સરવૈયું કાઢતી વખતે જમા પાસે ઈશકૃપા રહે તે માટે પ્રભુકાર્યના પ્રકાશથી જીવનને ભરી દેવાનું.
બેસતા વર્ષના દિવસે જૂનું વેરઝેર ભૂલી શત્રુનું પણ શુભચિંતન કરવાનું. નવું વર્ષ એટલે શુભ-સંકલ્પનો દિવસ. ભાઈ-બીજના દિવસે સ્ત્રી તરફ જોવાની ભદ્રદૃષ્ટિ કેળવવાની અને ભાઈના નિર્વ્યાજ સ્નેહથી સમસ્ત સ્ત્રી જાતને બહેન તરીકે સ્વીકારવાની. આવી સુંદર સમજણ નિર્દેશતો જ્ઞાાનદીપ જો દિલમાં પ્રગટે તો આપણું જીવન સદૈવ દીપોત્સવી મહોત્સવ સમું બની રહે.