સુપ્રીમ કોર્ટની કાર્યપ્રણાલી અને સાંસ્કૃતિક ધરોહરથી લોકોને વાકેફ કરાવવા નિર્ણય લેવાયો
New Delhi, તા.૧૧
સુપ્રીમ કોર્ટે એક ઐતિહાસિક નિર્ણય લઈને સામાન્ય લોકો માટે પોતાના દરવાજા ખોલી નાખ્યા છે. હવ લોકો કામકાજના પ્રત્યેક શનિવારે(વર્કિંગ સેડરડે)એ ગાઈડેડ ટૂરના માધ્યમથી આ પ્રતિષ્ઠિત કોર્ટના અંદરના ભાગને જોઈ શકશે. આ નવતર પહેલનો ઉદ્દેશ્ય લોકોને સુપ્રીમ કોર્ટની કાર્યપ્રણાલી અને સાંસ્કૃતિક ધરોહરથી વાકેફ કરાવવાનો છે. સુપ્રીમ કોર્ટના રજિસ્ટ્રાર મહેશ ટી.પાટનકર દ્વારા ૯મી જાન્યુઆરીએ જાહેર કરેલા સર્કયુલરમાં કહ્યું છે કે, સક્ષમ ઓથિરીટીની ગાઈડલાઈન્સ મુજબ ગાઈડેડ ટૂર પ્રતિ કાર્યદિવસ શનિવારે(બીજા અને ચોથા શનિવાર સિવાય) આયોજિત કરાશે. આ ટૂર ચાર સ્લોટ્સમાં હશે – સવારે ૧૦થી ૧૧-૩૦ કલાકે, ૧૧-૩૦ કલાકથી ૧ કલાકે, બપોરે ૨થી ૩-૩- કલાક અને ૩-૩૦ કલાકથી પાંચ કલાક સુધી. આ ટૂરમાં સામેલ થતા પહેલા ઓનલાઈન બુકિંગ કરવું જરુરી રહેશે. એક અધિકારીએ જણાવ્યું કે, પ્રત્યેક મુલાકાતી માટે ઓનલાઈન બુકિંગની સાથે આ ટૂર પ્રી-પ્લાન હશે અને તેમને કોર્ટ પરિસરની અંદર ઐતિહાસિક મહત્વના સ્થળોની જાણકારી અપાશે.ગાઈડેડ ટૂર દરમિયાન જનતાને સુપ્રીમ કોર્ટની કોર્ટરૂમ્સ, નેશનલ જ્યુડિશિયલ મ્યુઝિયમ અને આર્કાઇવ પણ મુલાકાત પણ કરાવાશે. સાથે જ સુપ્રીમ કોર્ટના વહીવટી ભવનમાં આવેલી નવી જજ લાયબ્રેરી પણ જોવાનો અવસર મળશે, જ્યાં સામાન્ય રીતે પ્રતિબંધ હોય છે.