Banaskantha, તા.૨૩
વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં આજે ભાજપની જીત થઈ છે. જેમાં ભાજપે ૭ વર્ષ બાદ વાવની સીટ પર જીત મેળવી છે. જેથી હાલ ગુજરાતમાં ભાજપના કાર્યકર્તાઓ અને ભાજપના નેતાઓમાં જશ્નનો માહોલ છે. ત્યારે આ પ્રસંગે સીઆર પાટીલ દ્વારા મહત્વનું નિવેદન આપવામાં આવ્યું છે. જેમાં તેમણે વાવની ચૂંટણીમાં જીતની સાથે મહારાષ્ટ્રની ચૂંટણીને લઈને પણ મહત્વની વાત કહી હતી. વાવ વિધાનસભા પેટાચૂંટણીને લઈને સી.આર. પાટીલે મતદાર ભાઈબહેનોએ ભાજપ પ્રત્યે જે વિશ્વાસ વ્યક્ત કર્યો તેનો આભાર માન્યો હતો. સાથે જ તેમણે એવું પણ કહ્યું કે ગુજરાતમાં કોંગ્રેસે ભાજપમાંથી એક વ્યક્તિને ત્રિપાખીય જંગમાં ઉભો રાખ્યો પરંતુ તેમના કારનામા ફાવી ન શક્યા. માવજી પટેલના નામનો ઉલ્લેખ કરતા સીઆર પાટીલે તેમની સામે આકરા પ્રહારો કર્યા હતા.
માવજી પટેલને લઈને સી.આર. પાટીલે કહ્યું કે જેઓ પાવરની વાત કરતા હતા. તેમને ભારતીય જનતા પાર્ટીના પાવરના સ્વાદે ધૂળ ચાટતા કરી નાખ્યા. વધુમાં સી.આર. પાટીલે એવું પણ કહ્યું કે કોંગ્રેસના લોકસભામાં જીતેલા ઉમેદવાર કે જેઓ હાલ સીટીંગ એમએલએ છે તેમને પણ આ વખતે મતદારોએ નકાર્યા. વાવની જનતાનો આભાર માનતા સી.આર. પાટીલે જણાવ્યું કે વાવના મતદારોએ મોદી સાહેબના નેતૃત્વમાં વિકાસને મહત્વ આપીને ભાજપને વોટ આપ્યો છે.
બીજી તરફ આજે જીત બાદ સ્વરૂપજી ઠાકોરે પણ મીડિયા સમક્ષ આવીને નિવેદન આપ્યું. જેમાં તેમણે સૌથી પહેલા તો વાવની જનતાનો આભાર માન્યો અને પછી જણાવ્યું કે મને જીતનો ૧૦૦ ટકા વિશ્વાસ હતો. ઉપરાંત તેમણે કહ્યું કે વાવની જનતાએ મને આશીર્વાદ આપ્યા છે. વધુમાં સ્વરૂપજી ઠાકોરે અઢારેય આલમનો આભાર પણ માન્યો હતો. જોકે આ ચૂંટણીમાં ગુલાબસિંહની કિસ્મત આ વખતે થરાદ પછી વાવમાં પણ ન ચમકી અને તેમને ભાજપ તરફથી હાર મળી છે.