Bhavnagar, તા.17
ગોહિલવાડના સુપ્રસિદ્ધ તીર્થસ્થળ બગદાણા ખાતે આજે પોષ વદ બીજ, ને શુક્રવારના રોજ પૂ બજરંગદાસ બાપાની 48મી પુણ્યતિથિ મહોત્સવ ભક્તિમય વાતાવરણમાં અને ધામધૂમ પૂર્વક યોજાશે. જેમાં એક થી દોઢ લાખ ભાવિક ભકતજનો સામેલ થયા છે.
ગુરૂઆશ્રમ ખાતેના સર્વે ટ્રસ્ટી મંડળના માર્ગદર્શન નીચે મોટી સંખ્યામાં સ્વયંસેવક ભાઈઓ બહેનો સેવા આપશે અને વ્યવસ્થા સંભાળશે. આ માટે અહીં વિવિધ વિભાગોની રચના કરવામાં આવી છે. જેમાં સ્વયસેવકો પોતાની ફરજ બજાવી રહ્યા છે.
48મી પુણ્યતિથિ નિમિત્તે આ વર્ષના ઘોષિત થયેલા કાર્યક્રમ મુજબ સવારે 5:30 કલાકે મંગળા આરતી, સવારે 7 કલાકે ધજા પૂજન, સવારે 8 કલાકે ગુરુ પૂજન તેમજ સવારે 10 કલાકે નગરયાત્રા યોજાઇ હતી. ભોજન પ્રસાદ વિતરણ પણ સવારના 10 કલાકથી અવિરત શરૂ થયેલ છે.
અહીના મસમોટા રસોડા વિભાગમાં શુદ્ધ ઘીના લાડુ, ગાંઠિયા તેમજ અન્ય ભોજન પ્રસાદ સામગ્રી હજારો કિલોગ્રામના હિસાબે તૈયાર કરવામાં આવી છે. અહીં સૌ દર્શનાર્થીઓને પંગતમાં બેસીને પરંપરા મુજબ પ્રસાદ પીરસવામાં આવશે. વ્યવસ્થા ખાતર ગોપાલગ્રામ માં ભાઈઓ માટે તેમજ નવી ભોજનશાળા ખાતે બહેનો માટે પ્રસાદ વિતરણ વ્યવસ્થા રાખી છે.
આજે શુક્રવારના 48મી પુણ્યતિથિ મહોત્સવ માં પ્રતિવર્ષની જેમ બગદાણાની ચારે તરફના માર્ગો તરફથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુજનો બગદાણા આવીને સદગુરુ બાપાના ચરણોમાં શીશ ઝૂકાવશે.
ભાવનગર એસટી વિભાગ દ્વારા બગદાણા આવાગમન માટે તળાજા,પાલીતાણા, મહુવા તેમજ ભાવનગર થી એક્સ્ટ્રા 20 એસટી બસો દોડાવવામાં આવશે, તેમજ અહીં પોલીસ વિભાગનો ચુસ્ત બંદોબસ્ત રહેશે.
આજના દિવસના વહેલી સવારથી મંગળા આરતીથી કાર્યક્રમોની શરૂઆત થશે. તેમજ ધ્વજા પૂ, ધ્વજા આરોહણ, ગુરુપૂજન થશે. ત્યારબાદ દર વર્ષની જેમ યાત્રાળુ ભાઈઓ બહેનોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બનતી પૂ.બાપાની નગર યાત્રામાં બાપા સીતારામ….બાપા સીતારામ…..ના નાદ સાથે મોટી સંખ્યામાં લોકો જોડાશે. બજરંગદાસ બાપાના રામ, રોટલો અને રાષ્ટ્રભક્તિના સૂત્રને સાર્થક કરી રહેલા બાપાના હજારો સ્વયંસેવકો નિસ્વાર્થ ભાવે અહીં ખડે પગે સેવા બજાવશે.