ન્યુટ્રિશિયન્સ કહે છે કે તમારો સવારનો નાસ્તો (બ્રેડફાસ્ટ) દિવસનો સૌથી હેલ્ધી ખોરાક હોવો જોઈએ. એના બે કારણો છે : એક તો એ કે રાતના ભોજનના લગભગ આઠ-દશ કલાક પછીનું એ તમારું પહેલું મિલ છે અને બીજુ, એ ખાઈને તમે દિવસની શરૂઆત કરો છો. ન્યુટ્રિશિયન્સ અને ડૉક્ટરો ગરમાગરમ રાંધેલા પૌઆ (કે પૌવા)ને સૌથી હેલ્ધી બ્રેકફાસ્ટ ગણે છે. હૉસ્પિટલોમાં પણ બિમાર દર્દીઓને સવારના નાસ્તામાં મોટાભાગે પૌંઆ અપાય છે.
ભારતમાં પૌઆ એક પરંપરાગત નાસ્તાની વાનગી છે. દેશમાં ભાગ્યે જ કોઈ એવો પ્રદેશ કે ઘર હશે જે આ પૌષ્ટિક વાનગીથી અજાણ હશે. કમનસીબે ઓટમિલ અને પેનકેક્સ જેવી વેસ્ટર્ન બ્રેકફાસ્ટ ડિશીસને કારણે ખાસ કરીને યુવા વર્ગ પૌવાને ભૂલતો જાય છે, પરંતુ પૌઆના અગણિત હેલ્થ બેનિફિટ્સ છે અને એ પેટ માટે હળવા છે. એટલે એ પરફેક્ટ બ્રેકફાસ્ટ ડિશ બની રહે છે. ચોખામાંથી બનતા પૌંઆને ગુજરાતમાં બટાટા પૌવા એવું નામ અપાયું છે જ્યારે મહારાષ્ટ્રમાં એને કાંદા પૌઆ કહેવાય છે.
હકીકતમાં પૌવા કાર્બોહાઇડ્રેટ્સ, આયર્ન અને ફાયબરથી ભરપૂર છે અને એમાં ઘણાં બધા વિટામિન્સ પણ મળે છે. એન્ટિઑક્સિડન્ટ્સથી ભરપૂર પૌઆમાં ગ્લુટન બિલકુલ નથી. આટલેથી ન અટકી, અહીં આપણે પૌઆના હેલ્થ બેનિફિટ્સ વિશે વિસ્તારથી જાણીએ :
૧. પચવામાં હલકા : પૌઆ એક લાઇટ બ્રેકફાસ્ટ ફુડ હોવાથી પાચનતંત્ર પર બોજરૂપ નથી બનતા. પૌંઆ સહેલાઈથી પચી જાય છે અને એ ખાધા પછી પેટ ભારે નથી લાગતું. વળી એનો નાસ્તો કર્યા બાદ લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી અને તમારે ખા- ખા નથી કરવું પડતું. એટલે જ જેમને વજન ઉતારવું હોય એમના માટે આ બેસ્ટ ડિશ છે.
૨. હેલ્ધી કાર્બોહાઇડ્રેટ્સ : ન્યુટિશિયન્સના મતે પૌવા હેલ્ધી કાર્બોહાઇડ્રેટ્સનો સારો સોર્સ (સ્રોત) છે, જેની શરીરને આપણને એનર્જી આપવા માટે બહુ જરૂર રહે છે. એટલે નાસ્તામાં પૌઆ ખાવાથી તમને શરીરમાં ફેટ ઠાલવ્યા વિના પૂરતી એનર્જી મળી રહે છે.
૩. લો કેલેરીઝ : આ હેલ્ધી ડિશ ખાવાથી તમને કેલેરીઝની ફિકર નથી રહેતી કારણ કે એમાં બહુ ઓછી કેલેરીઝ હોય છે. પૌંઆની એક ડિશમાં ૭૬.૯ ટકા કાર્બોહાઇડ્રેટ્સ અને આશરે ૨૩ ટકા ફેટ હોવાથી હેલ્ધી રહીને વજન ઉતારવા માટેનો એ પરફેક્ટ વિકલ્પ બની રહે છે.
૪. બ્લડ સુગરનું નિયમન : પૌંઆ એક ફાઇબરથી ભરપૂર ધાન્ય હોવાથી રક્તપ્રવાહમાં સુગરની રિલિઝને કન્ટ્રોલમાં રાખે છે અને એને લીધે વ્યક્તિનું બ્લડ સુગર લેવલ અચાનક વધી નથી જતું. પૌવાનો આ ગુણવિશેષ એને ડાયાબિટીસથી પીડાતા લોકો માટેનો એક અનુકૂળ ખોરાક બનાવી દે છે.
૫. નામપૂરતું ગ્લુટન : ઘઉં અને જવની ગ્લુટનની ભારે માત્રા ધરાવતી વાનગીઓ જેમને માફક નથી આવતી એવા લોકોએ પૌંઆ ખાવાનું રાખવું જોઈએ કારણ કે એમાં નામપૂરતું જ ગ્લુટન હોય છે. ગ્લુટન એક ચીકણો પદાર્થ હોવાથી આંતરડામાં ચોંટી જાય છે અને પાચનમાં વિઘ્ન નાખે છે. એટલે જ ડૉક્ટરે જેમને લૉ ગ્લુટન ફૂડની સલાહ આપી હોય એમના માટે પૌઆ બેસ્ટ છે.
૬. રિચ ઇન આયર્ન : રોજ પૌવા ખાવાથી શરીરમાં આયર્નની ઉણપ ઊભી નથી થતી અને એનમિયા (પાંડુરોગ) થવાનું જોખમ ઓછુ થઈ જાય છે. ખાસ કરીને બાળકો, ગર્ભવતી સ્ત્રીઓ અને સંતાનને સ્તનપાન કરાવતી મહિલાઓ બ્રેકફાસ્ટમાં પૌઆની વાનગી ખાય એનાથી ઉત્તમ બીજુ કંઈ નથી. ગર્ભવતી સ્ત્રીઓને ગેસ્ટેશનલ એનમિયાનું જોખમ વધુ હોય છે. એટલે જ એમને ગાયનેક્સ પૌઆ ખાવાની ભલામણ કરે છે. પૌંઆમાંથી શરીર વધુ સારી રીતે આયર્ન શોષી લે એ માટે એમાં લીંબુ નીચોવીને ખાવા.
આ બધુ જાણી લીધા બાદ પૌવા ખાવાથી શરીરને એકંદરે કેટલું પોષણ (ન્યુટિશન) મળે એની માહિતી મેળવવી જરૂરી છે.
પૌંંઆમાં ન્યુટીશનનું પ્રમાણ : રાંધેલા પૌઆના એક મોટા વાટકામાંથી શરીરને ૨૫૦ કેલેરી ઊર્જા મળે છે. પૌવાના વાનગીમાં શાકભાજી ઉમેરો એટલે એમાં વિટામિન્સ, મિનરલ્સ અને એન્ટિઓક્સિડન્ટસનું પ્રમાણ વધી જાય. અહીં એક વાત ધ્યાનમાં રાખવી કે વેઇટ ઘટાડવા માગતા લોકોએ પૌઆમાં ભૂલેચુકેય બટેટા અને સીંગદાણા નાખવા નહિ. એને લીધે કેલેરીઝ વધી જાય છે. પૌંઆને વધુ હેલ્ધી બનાવવા એને ઓલિવઓઇલમાં રાંધવાનું રાખો. હા, મોર્નિંગ બ્રેકફાસ્ટને સ્વાદિષ્ટ બનાવવા પૌઆમાં છીણેલું ખોપરું અને કાંદા જરૂર ઉમેરી શકાય.