Rajkot,તા.20
રાજકોટ સહીત રાજયભરમાં વિજ કંપનીઓએ દાખલ કરેલી સ્માર્ટ મીટર યોજનાનો ફિયાસ્કો થયા જેવો ઘાટ છે. આડેધડ બીલ આવતા હોવાના-નાણા કપાત થતા હોવાના દાવા સાથે સ્માર્ટમીટર લગાવવા બે ટકા રાહત આપતી હોવા છતાં સ્માર્ટ મીટર લગાવવા ગ્રાહકો તૈયાર થતા નથી.
વિજ કંપનીઓ ઓનર્જી ચાર્જમાં બે ટકા રાહત આપતી હોવા છતાં સ્માર્ટ મીટર લગાવવામાં સૌરાષ્ટ્ર-કચ્છમાં માત્ર 29023 સ્માર્ટ મીટર જ લગાવી શકી છે. સમગ્ર રાજયમાં કુલ 2,96,004 સ્માર્ટ મીટર લાગ્યા છે.ઉતર ગુજરાત વિજ કંપની (યુજીવીસીએલમાં સૌથી વધુ 146805 એમજીવીસીએલમાં 65052 તથા પીજીવીસીએલમાં 55124 સ્માર્ટ મીટર લાગ્યા છે.
સ્માર્ટ મીટર યોજના હેઠળ વિજબીલનાં એનર્જી ચાર્જમાં બે ટકાનું રીબેટ આપતુ હોવા છતા ગ્રાહકોમાં રસ ઉભો થતો નથી. યુનિટદીઠ 3.50 રૂા.એનર્જીનાં ચાર્જમાં ગ્રાહકોને બે ટકાની માફી મળે છે.
રાજયની વીજ વિતરણ પ્રણાલીમાં પરિવર્તન લાવવા અને આધુનિક બનાવવાના હેતુથી ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલી રિવેમ્પ્ડ ડીસ્ટ્રીબ્યુશન સેકટર સ્કીમ હેઠળ એક નોંધપાત્ર પહેલ સ્માર્ટ મીટરીંગ પ્રોજેકટ સમગ્ર દેશના અન્ય રાજયોની સાથે ગુજરાતમાં પણ અમલમાં મુકવામાં આવી રહ્યો છે.
આ પ્રોજેકટ વીજ પુરવઠાની કાર્યક્ષમતા વિશ્ર્વસનીયતા અને પારદર્શીતા વધારવા માટે અદ્યતન ટેકનોલોજીના લાભથી ગ્રાહકોને ડેટા અને તેમના ઉર્જા વપરાશ પર નિયંત્રણ રાખવા માટે સશકત બનાવે છે.