New Delhi,તા.11
કોરોનાનાં ડેલ્ટા વેરિઅન્ટ દરમિયાન બીમાર પડેલાં લોકોને બે વર્ષ પછી પણ શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. દિલ્હીની એઈમ્સના શ્વસન રોગ વિભાગનાં અભ્યાસમાં આ માહિતી સામે આવી છે. અભ્યાસ દરમિયાન જાણવા મળ્યું કે, કોરોના સંક્રમણમાંથી સાજા થયાનાં બે વર્ષ પછી પણ આ દર્દીઓનાં ફેફસાના કાર્ય પર ગંભીર અસર પડી હતી.
અભ્યાસમાં,એઈમ્સે લગભગ 300 લોકોનાં ફોલોઅપ કર્યા હતાં જેઓ બે વર્ષ પહેલાં ગંભીર કોવિડમાંથી બચી ગયાં હતાં. તેમાંથી 51 ટકા એવાં લોકો હતાં જેઓ મધ્યમથી ગંભીર કોવિડ થયું હતું. અભ્યાસમાં સામેલ દર્દીઓની સરેરાશ ઉંમર 45 વર્ષની હતી. આ દર્દીઓમાં 68 ટકા પુરુષો હતાં.
બે વર્ષ પછી પણ, અભ્યાસમાં ભાગ લેનારાં 36 ટકા દર્દીઓએ કહ્યું કે તેમને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. તેમની તપાસ કરવામાં આવી અને જાણવા મળ્યું કે ફેફસાના કાર્યને અસર થઈ છે. સંશોધકોએ જણાવ્યું કે કોરોના સંક્રમણ બાદ લાંબા સમયથી શ્ર્વાસ સંબંધી બીમારીથી પીડિત મહિલાઓની સંખ્યા વધુ છે.
સીડી ચડવામાં અથવા એક કિલોમીટરથી વધુ ચાલવામાં મુશ્કેલી પડે છે
47 વર્ષીય દર્દીને હજુ પણ સીડી ચડતી વખતે અથવા એક કિલોમીટરથી વધુ ચાલતી વખતે ચક્કર અને શ્ર્વાસની તકલીફ પડે છે. ક્યારેક તેમને વિચારવામાં પણ તકલીફ પડે છે. કોવિડ ઈન્ફેક્શનને કારણે આઈસીયુમાં દાખલ થયાનાં ત્રણ વર્ષ પછી પણ તેની ખરાબ અસર હજુ પણ તેમનાં પર પડી રહી છે.
દિલ્હીના એઈમ્સના લોંગ કોવિડ ક્લિનિકમાં તેને અને અન્ય બચી ગયેલાં લોકોને ત્રણ વર્ષ સુધી ટ્રેક કરવામાં આવ્યાં હતાં, જ્યાં એક અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે તેમાંથી ત્રીજા ભાગનાં લોકોમાં ફેફસાંમાંથી લોહીમાં પૂરતું ઓક્સિજન પહોંચતું ન હતું.