London,તા.૧૫
ટ્યૂલિપ સિદ્દિકી, શેખ હસીનાની ભત્રીજીએ કોઈપણ ખોટું કામ કર્યાની વાત નકારી કાઢી છે. હજુ ગયા અઠવાડિયે જ બ્રિટનના પ્રધાનમંત્રી કીર સ્ટાર્મરે તેમના પર સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. જોકે, બે મહિનામાં બીજી વખત મંત્રીનું રાજીનામું સ્ટાર્મર માટે મોટો ફટકો છે. ગયા વર્ષે જુલાઈમાં બ્રિટનમાં સામાન્ય ચૂંટણીમાં લેબર પાર્ટીની જીત બાદ સ્ટાર્મરની લોકપ્રિયતામાં ઘટાડો થયો છે.
યુકેમાં નાણાકીય સેવાઓ અને ભ્રષ્ટાચાર વિરોધી કાર્યવાહી માટે જવાબદાર બ્રિટિશ મંત્રી ટ્યૂલિપ સિદ્દીકીએ તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે, તેમણે આ નિર્ણય તેમના કાકી શેખ હસીના સાથેના નાણાકીય સંબંધો અંગેના વિવાદ બાદ લીધો હતો, જેમને ગયા વર્ષે બાંગ્લાદેશના વડા પ્રધાન પદ પરથી દૂર કરવામાં આવ્યા હતા.
બ્રિટનમાં ચૂંટણીઓ પછી, ટ્યૂલિપ સિદ્દીકીને નાણાકીય સેવાઓ નીતિનો પોર્ટફોલિયો સોંપવામાં આવ્યો. આમાં મની લોન્ડરિંગ સામેના પગલાં લેવાની જવાબદારીનો પણ સમાવેશ થાય છે. સ્ટારમરને લખેલા રાજીનામા પત્રમાં, ટ્યૂલિપ સિદ્દીકીએ કહ્યું કે તેમનું પદ સરકારના કામકાજમાં વિક્ષેપ પેદા કરી શકે છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર લખ્યું કે સ્વતંત્ર સમીક્ષાએ પુષ્ટિ આપી છે કે મેં મંત્રી આચારસંહિતાનો ભંગ કર્યો નથી અને એવો કોઈ પુરાવો નથી કે મેં અયોગ્ય વર્તન કર્યું છે. તે જ સમયે, સરકારના નીતિશાસ્ત્ર સલાહકારે કહ્યું કે ટ્યૂલિપે બાંગ્લાદેશ સાથેના તેના પરિવારના સંબંધોના સંભવિત જોખમો વિશે વધુ કાળજી રાખવી જોઈતી હતી. બીજી તરફ, સ્ટાર્મરે ટ્યૂલિપના સ્થાને એમ્મા રેનોલ્ડ્સની નિમણૂક કરી છે; એમ્મા અત્યાર સુધી સરકારમાં પેન્શન મંત્રીની જવાબદારી સંભાળી રહ્યા હતા.
શેખ હસીના ૨૦૦૯ થી બાંગ્લાદેશમાં સત્તામાં હતા, પરંતુ હાલમાં તેઓ ભ્રષ્ટાચાર અને મની લોન્ડરિંગના આરોપોમાં તપાસનો સામનો કરી રહ્યા છે. જોકે, શેખ હસીના અને તેમના પક્ષે કોઈપણ ખોટું કામ કર્યાનો ઇનકાર કર્યો છે. ડિસેમ્બરમાં બાંગ્લાદેશની તપાસમાં ટ્યૂલિપ સિદ્દીકનું નામ સામે આવ્યું હતું. ભ્રષ્ટાચાર વિરોધી પંચે ૧૨.૬૫ અબજ યુએસ ડોલરના પરમાણુ ઉર્જા કરારની ફાળવણીમાં અબજો ડોલરની નાણાકીય ગેરરીતિઓનો આરોપ લગાવ્યો હતો, જેનાથી શેખ હસીના અને ટ્યૂલિપ સિદ્દીકને ફાયદો થયો હોઈ શકે છે.