New Delhi,તા.29
સુપ્રીમ કોર્ટે એક ફેસલામાં મહત્વની ટિપ્પણી કરતા કહ્યું હતું કે જો કોઈ મરતા પહેલા પોતાના નજીકના સંબંધી સાથે મૌખિખ નિવેદન આપે છે તો તેનું ખૂબ જ ગંભીરતાથી પરીક્ષણ કરવું જોઈએ.
સુપ્રીમ કોર્ટે એક કેસમાં આરોપીઓને છોડી મુકતા આ ટિપ્પણી કરી હતી. નીચલી અદાલતે મૃતકની માના નિવેદનના આધારે આરોપીઓને દોષી ઠેરવ્યા હતા. યુવકની માએ જણાવ્યું હતું કે મરતા પહેલા તેના દીકરાએ આરોપીઓના નામ લીધા હતા.
સુપ્રીમકોર્ટના જસ્ટીસ સી.ટી.રવિકુમારની આગેવાનીવાળી બેન્ચ સામે આ મામલો સુનાવણી માટે આવ્યો હતો. આ અંગે વધુમાં જાણવા મળતી વિગત મુજબ ટ્રાયલ કોર્ટે આરોપીને મર્ડરના કેસમાં દોષી ઠેરવ્યો હતો. આ મામલાને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો.
હાઈકોર્ટે નીચલી અદાલતના નિર્ણયને ફગાવી દીધો હતો. હાઈકોર્ટે જણાવ્યું હતું કે મૃતકની માના નિવેદનમાં વિરોધાભાસ હતો. સાથે સાથે તેણે ઘટનાના બારામાં સૂચના આપી હતી અને પોલીસની સામે મરતા પહેલા તેના દીકરાએ આપેલા નિવેદનના બારામાં નહોતું કહ્યું પરંતુ ટ્રાયલ કોર્ટમાં સુનાવણી દરમિયાન મૃતકની માટે નિવેદન આપ્યું હતું કે મરતા પહેલા તેના પુત્રે મૌખિક રીતે આરોપીનું નામ લીધું હતું.
સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના નિર્ણય પર સહમતી દર્શાવી હતી અને જણાવ્યું હતું કે આ પ્રકારના નિવેદનનું ખૂબ જ ગંભીરતાથી પરીક્ષણ થવું જોઈએ. મૃતકની માતાનું નિવેદન વિશ્વસનીય નથી, આ સ્થિતિમાં આરોપીને શંકાનો લાભ આપી છોડી મુકવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે આ કેસ ઓકટોબર 1996નો છે જેમાં પોલીસ અનુસાર રમઝાનખાન, મુસકખાન અને હબીબખાને નસીમખાનની હત્યા કરી હતી, મધ્યપ્રદેશ સેશન્સ કોર્ટે આરોપીઓને આજીવન કારાવાસની સજા ફરમાવી હતી.