દેશના અર્થતંત્રની હાલત નબળી પડી રહી છે. જુલાઈ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં દેશનો આર્થિક વૃદ્ધિ દર ઘટી ૫.૪ ટકા નોંધાયો છે. ફાઈનાન્સ સિવાયની કંપનીઓનો નફો અને નફાનો ગાળો (પ્રોફિટ માર્જિન) બે વર્ષમાં સૌથી નીચા સ્તરે છે. વૈશ્વિક પડકારો પણ મોટા છે આ સમયમાં દેશની પ્રજાએ સાવચેત રહેવાની જરૂર છે. દેવાના ડુંગર તળે દેશની સરકાર દેશની પ્રજા બન્ને બેઠા છે. જે પ્રકારના આંકડા સામે આવી રહ્યા છે તે ચિંતામાં વધારો કરે છે. જોકે, ભારત વિશ્વની સૌથી ઝડપી વિકસતી અર્થવ્યવસ્થા છે, અમૃતકાળ શરુ થયો છે અને ૨૦૪૭ સુધીમાં દેશ વિકસિત થઇ જશે એવી નારાબાજીમાં બિહામણું વાસ્તવિક ચિત્ર કોઈ જોઈ રહ્યું નથી.
દેવું વધવાના કારણે પ્રજા હવે સોનું ગિરવે મૂકી લોન લેવા મજબૂર બની રહી છે. ભારતીય માટે સોનું પવિત્ર છે અને મહિલાઓ માટે તે મરણમૂડી. આ બન્ને ચીજો ગિરવે મૂકી જે રીતે જંગી માત્રામાં લોન લેવામાં આવી રહી છે તે દર્શાવે છે કે દેશની આર્થિક હાલત યોગ્ય નથી. શેરબજાર ઐતિહાસિક સ્તરે, કેન્દ્ર સરકારની કરવેરાની આવકમાં ઉત્તરોત્તર થઇ રહેલો વધારો આવા સમાચારો વચ્ચે મોંઘવારી, બેરોજગારી અને સતત ઘટી રહેલી આર્થિક ઉપાર્જનની તક વચ્ચે સામાન્ય માનવી ભીંસ અનુભવી રહ્યો છે. અચ્છે દિનની આશા સાથે અસ્તિત્વ ટકાવી રાખવા માટે તે મજબૂરીમાં સોનું વેચી કે ગિરવે મૂકીને ગુજરાન ચલાવી રહ્યો છે.
અન્ય ચર્ચા કરતા પહેલા સોના સામે ધિરાણ કે સોનું વેચવા અંગેના ચોંકાવનારા આંકડા જાણવા જેવા છે. સપ્ટેમ્બર ૨૦૨૪ના અંતે બેંકો અને નાણા કંપનીઓ પાસેથી મેળવેલા ધિરાણ માટે ભારતીયોએ લગભગ ૩૦૦ ટન સોનું ગિરવે મુકેલું છે. સરખામણી માટે જાણીએ કે વિશ્વમાં બીજા સૌથી મોટા સોનાના વપરાશકર ભારતમાં વર્ષે ૧૦૦૦ ટન જેટલા સોનાની આયાત થાય છે. બીજું, માર્ચ ૨૦૧૯થી સપ્ટેમ્બર ૨૦૨૪ વચ્ચે ભારતીયોએ લગભગ ૫૭૩ ટન જેટલું જૂનું સોનું વેંચી નાખ્યું છે. સોનાના ઊંચા ભાવે નફો રળવા, મજબૂરીમાં કે જૂના સામે નવું સોનું ખરીદવા માટે આ રીતે વેચાણ થતું હોવાનું વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ જણાવે છે.
બીજું, છેલ્લા પાંચ વર્ષમાં જ દેશ અને પ્રજાએ જંગી દેવું ઉભું કર્યું છે. કેન્દ્ર સરકારના આંકડા અનુસાર દેશનું દેવું માર્ચ ૨૦૧૯ના અંતે રૂ.૮૪.૬૮ લાખ કરોડ હતું જે જૂન ૨૦૨૪માં બમણાથી વધી રૂ.૧૭૨.૭૨ લાખ કરોડ થયું છે. પ્રજાએ લીધેલી વ્યક્તિગત લોન માર્ચ ૨૦૧૯ના રૂ.૨૩ લાખ કરોડ હતી જે સપ્ટેમ્બર ૨૦૨૪માં વધી રૂ.૫૫.૯૬ લાખ કરોડ પહોંચી છે. સરકાર અને પ્રજા બન્નેનું દેવું બમણું થઇ ગયું છે. દેશનો આર્થિક વિકાસ નબળો પડે, મોંઘવારી માઝા મૂકે અને બેરોજગારીની સ્થિતિમાં સુધારો થાય નહીં તો આ દેવું ભરપાઈ કરવું મુશ્કેલ બનશે. સપ્ટેમ્બર ક્વાર્ટરના પરીણામમાં મોટાભાગની બેંકો અને ફાઈનાન્સ કંપનીઓએ લોન પરત નહીં કરનાર લોકોની સંખ્યા ધીમે-ધીમે વધી રહી હોવાનું સ્વીકાર્યું છે.સમાન્ય રીતે સોના સામે ધિરાણ મેળવવું કે કોઇપણ વ્યક્તિ કે ધંધાર્થી માટે સૌથી છેલ્લો વિકલ્પ હોય છે. જ્યારે ક્યાંયથી પૈસાની વ્યવસ્થા થાય નહીં ત્યારે સોનું ગિરવે મૂકી લોન લેવામાં આવે છે.
માર્ચ ૨૦૧૯ના અંતે બેંકો પાસેથી સોના ગિરવે મૂકી માત્ર રૂ.૨૪,૬૭૧ કરોડની લોન મેળવવામાં આવી હતી. સપ્ટેમ્બર ૨૦૨૪ના અંતે તે હવે વધી રૂ.૧,૪૭,૦૮૧ કરોડ થઇ ગઈ છે. આ પાંચ ગણો વધારો નબળા, મધ્યમ અને ગ્રામીણ ભારતમાં આર્થિક સ્થિતિનો ચિતાર આપી રહ્યા છે. આ દર્શાવે છે કે આવક કરતા ખર્ચ વધી રહ્યો હોવાથી વધુને વધુ લોકો સોના સામે ધિરાણ મેળવે છે. બેંકો સિવાય, ફાઈનાન્સ કંપનીઓ પાસેથી સોનું ગિરવે મૂકી ધિરાણ મેળવવામાં આવે છે. નોન બેન્કિંગ ફાઈનાન્સ કંપનીઓ પાસેથી સોના સામે મેળવેલું ધિરાણ માર્ચ ૨૦૧૯ના અંતે રૂ.૯,૯૪૩ કરોડ હતું જે જૂન ૨૦૨૪માં આઠ ગણું વધી રૂ.૭૯.૨૧૭ કરોડ થયું છે.
ઉદ્યોગો નવું રોકાણ નથી કરી રહ્યા કારણ કે વ્યાજના દર ઊંચા છે, વ્યાજના દર નક્કી કરતી વેળાએ રિઝર્વ બેન્કે ખાદ્યચીજોના ભાવ બાકાત રાખવા જોઈએ એવી દલીલ કેન્દ્ર સરકારના કેટલાક મંત્રીઓ કરી રહ્યા છે. એવી પણ દલીલ થઇ રહી હતી કે શેરબજારમાં નાણા કમાવવા માટે પ્રજા બેંકોમાં ડિપોઝીટ ઘટાડી રહી છે. સરકારે ૨૦૧૯માં સત્તા ફરી હાંસલ કરી ત્યારે અર્થતંત્ર નરમ પડી રહ્યું હતું. આ સમયે કરમાં રાહત આપવાની વાત કરવામાં આવી હતી. પ્રજાને રાહત આપવાના બદલે કેન્દ્ર સરકારે કોર્પોરેટ ટેક્સમાં જંગી ઘટાડાની જાહેરાત કરી હતી. સરકારની દલીલ છે કે ઉદ્યોગો નફો રળશે તો વધુ રોકાણ કરશે, વધારે રોજગારી ઉભી કરશે અને તેનાથી પ્રજાને ફાયદો થશે. એ પછી છ વખત બજેટ રજૂ થયા અને દરેક વખતે માધ્યમવર્ગને ટેક્સમાં રાહત મળે એવી આશા જાગી છે. કેન્દ્ર સરકારે રાહત આપી છે પણ એ શરતે કે તમે નવી ટેક્સ સિસ્ટમ અપનાવો. એવી સિસ્ટમ જેમાં બચત કરનારને રાહત નહી મળે પણ સામે ટેક્સ ઓછો ભરવો પડશે. સરકાર દુવિધામાં છે અથવા તો વૈચારિક તંદ્રામાં. !