New Delhi,તા.૨
દેશની રાજધાની દિલ્હીમાં સ્વાતંત્ર્ય સેનાની વિનાયક દામોદર સાવરકરના નામ પર એક નવી કોલેજ ટૂંક સમયમાં સ્થપાય તેવી શક્યતા છે. એવી અપેક્ષા છે કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે ૩જી જાન્યુઆરીએ આ કોલેજનો શિલાન્યાસ કરી શકે છે. તમને જણાવી દઈએ કે દિલ્હી યુનિવર્સિટીના બે નવા કેમ્પસ પૂર્વ અને પશ્ચિમ દિલ્હીમાં બનાવવામાં આવનાર છે. આ સાથે વીર સાવરકરના નામ પર રાખવામાં આવેલી કોલેજનો શિલાન્યાસ થવાની પણ સંભાવના છે.
વીર સાવરકરના નામે નવી કોલેજની માહિતી દિલ્હી યુનિવર્સિટીના સૂત્રો દ્વારા આપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે અગાઉ વર્ષ ૨૦૨૧માં દિલ્હી યુનિવર્સિટીની એક્ઝિક્યુટિવ કાઉન્સિલે નજફગઢમાં અંદાજિત ૧૪૦ કરોડ રૂપિયાના ખર્ચે સાવરકર કોલેજના નિર્માણને મંજૂરી આપી હતી. ડીયુના સૂત્રોએ જણાવ્યું છે કે પીએમ મોદીને કોલેજના શિલાન્યાસ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. આ સંબંધમાં વડાપ્રધાન કાર્યાલય તરફથી પુષ્ટિની રાહ જોવાઈ રહી છે.
દિલ્હી યુનિવર્સિટીના સૂત્રોએ જણાવ્યું છે કે યુનિવર્સિટીના પૂર્વ કેમ્પસની સ્થાપના સૂરજમલ વિહારમાં પ્રસ્તાવિત છે અને તેનો અંદાજિત ખર્ચ ૩૭૩ કરોડ રૂપિયા હશે. સાથે જ દ્વારકામાં યુનિવર્સિટીનું વેસ્ટર્ન કેમ્પસ સ્થપાશે.
દિલ્હી યુનિવર્સિટીની એક્ઝિક્યુટિવ કાઉન્સિલે વર્ષ ૨૦૨૧માં ભાજપના દિવંગત નેતા સુષ્મા સ્વરાજના નામ પર કોલેજના પ્રસ્તાવને પણ મંજૂરી આપી હતી. આ સિવાય ડીયુના વાઇસ ચાન્સેલરને બે પ્રસ્તાવિત કોલેજો માટે નામ પસંદ કરવાનો અધિકાર આપવામાં આવ્યો હતો. આ નામોની યાદીમાં સ્વામી વિવેકાનંદ, વલ્લભભાઈ પટેલ, અટલ બિહારી વાજપેયી અને સાવિત્રીબાઈ ફુલે જેવા નામો સામેલ હતા.