Ahmedabad,તા.2
રાજયની શાળાઓમાં ધુળેટીના તહેવારની રજાને લઈને તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ગુજરાત રાજય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષર બોર્ડ દ્વારા જાહેર કરેલા એકેડેમિક કેલેન્ડરમાં ધુળેટીની રજા 15 માર્ચના રોજ આપવામાં આવી હતી.
પરંતુ ત્યારબાદ સરકાર દ્વારા જાહેર કરેલી રજાઓની યાદીમાં ધૂળેટીની રજા 14 માર્ચના રોજ નકકી કરવામાં આવતા બોર્ડ દ્વારા રજાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જે મુજબ હવે રાજયની સ્કૂલોમાં ધુળેટીના તહેવારને લઈને 15 માર્ચના બદલે 14 માર્ચના રોજ રજા રહેશે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા દર વર્ષે શૈક્ષણિક સત્રની શરૂઆતમાં જ એકેડેમિક કેલેન્ડર જાહેર કરવામાં આવતું હોય છે. જેમાં વર્ષ દરમિયાન કયા માસમાં કેટલા દિવસનો અભ્યાસ રહેશે, કયારે પરીક્ષા શરૂ થશે અને કયા દિવસોમાં રજા રહેશે તે અંગેની તમામ માહિતી દર્શાવેલી હોય છે. ચાલુ શૈક્ષણિક વર્ષ માટે પણ શિક્ષણ બોર્ડ દ્વારા એકેડેમિક કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું હતું.
જેમાં રાજયની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં કુલ 80 રજાઓમાં 18 જાહેર રજાઓ આપવામાં આવી હતી. જાહેર રજાઓમાં 15 માર્ચ, 2025 શનિવારના રોજ રાજયની તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ધુળેટીના તહેવારની રજા શિક્ષણ બોર્ડ દ્વારા એકેડેમિક કેલેન્ડરમાં જાહેર કરવામાં આવી હતી.
જોકે, ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવેલી જાહેર રજાઓની યાદીમાં ધૂળેટીની રજા 14 માર્ચ, 2025ના રોજ દર્શાવવામાં આવી હતી. જેથી શિક્ષણ બોર્ડ દ્વારા ધુળેટીની રજાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો હતો અને હવે 15 માર્ચના બદલે 14 માર્ચ, 2025 શુક્રવારના રોજ રાજયની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ધુળેટીની રજા રહેશે.