Ahmedabad,તા.30
પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહનસિંહનું નિધન થતાં કેન્દ્ર-રાજ્ય સરકારે સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે ત્યારે માનિતા વોર્ડ પ્રમુખની નિમણૂંક થતાં મણિનગરમાં ભાજપના ધારાસભ્ય-કાર્યકરોએ ઢોલ નગારા વગાડી જાહેરમાં ગરબે ધુમ્યાં હતાં. પૂર્વ વડાપ્રધાનના મોતનો મલાજો ભૂલી ભાજપના ધારાસભ્ય-સ્થાનિક કાર્યકરોની થુંથુ થઇ રહી છે.
મણિનગરના ધારાસભ્ય અમૂલ ભટ્ટ-કાર્યકરોએ ફટાકડા ફોડ્યા
ભાજપના નેતાઓએ અર્થશાસ્ત્રી અને પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહનસિંહને મૌનીબાબા કહીને અપમાન કરવામાં જરાય કસર છોડી નથી. મૃત્યુ પછી પણ ભાજપના નેતાઓ મલાજો જાળવી શક્યા નથી.ડો.મનમોહનસિંહના અવસાનના પગલે ગુજરાત સરકારે સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરાયો છે.
એટલુ જ નહીં, અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ સુદ્ધાંને મોકુફ રખાયો છે. આ સંજોગોમાં ભાજપે મણિનગરમાં વોર્ડ પ્રમુખના નામની જાહેરાત કરી હતી જેના પગલે જાહેર માર્ગ પર આતશબાજી કરી ઉજવણી કરવામાં આવી હતી.
ખુદ મણિનગરના ધારાસભ્ય અમૂલ ભટ્ટે કાર્યકરોને મિઠાઇ ખવડાવીને મોં મીઠા કરાવ્યાં હતાં. સાથે સાથે જાહેર માર્ગ પર ખુદ ધારાસભ્ય ઢોલના તાલે ગરબે ઝૂમ્યા હતાં. આ ઉજવણીની તસ્વીરો-વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થઇ હતી જેના પગલે દેશહિત વિરૂદ્ધનું વરવુ પ્રદર્શન કરતાં ભાજપના નેતાઓ ચારેકોરથી ટીકાઓનો ભોગ બન્યા હતાં.