કેવરદાયિની માતા અને પલ્લીના દર્શન માટે અમદાવાદ સહિત રાજ્યભરમાંથી ૯ લાખથી વધુ ભક્તો-શ્રદ્ધાળુઓ ઊમટ્યા
Gandhinagar,તા.૧૪
ગાંધીનગર શહેરથી ૧૩ કિ.મી.ના અંતરે આવેલા રૂપાલ ગામના સુપ્રસિદ્ધ વરદાયિની માતાજીના મંદિરેથી આસો સુદ નોમને શુક્રવારે પરંપરાગત રીતે પલ્લી મહોત્સવ ઉજવાયો હતો.પલ્લી મહોત્સવમાં ગામની શેરીઓમાં ઘીની નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતાં. મધરાત્રી બાદ પરોઢિયે ચાર વાગ્યે પ્રસ્થાન થયેલી પલ્લી ઉપર અંદાજે ૩.૫ લાખ કિલો શુદ્ધ ઘીનો અભિષેક થયો હોવાનો અંદાજ મંદિર ટ્રસ્ટ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે. અમદાવાદ સહિત રાજ્યભરમાંથી ૯ લાખથી વધુ ભક્તો-શ્રદ્ધાળુઓ પલ્લીના દર્શન માટે ઊમટી પડ્યાં હતાં. ત્યારે હૈયેહૈયે દબાય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતાં. પાંડવકાળથી ઉજવાતી આ પલ્લીનો ધર્મોત્સવ આ વર્ષે પણ રંગેચંગે સંપન્ન થયો હતો. માતાજીની પલ્લી ગામના ૨૭ ચકલામાંથી પસાર થઇને સવારે ૭ વાગ્યે મંદિરે પરત ફરી હતી. લાખ્ખો શ્રદ્ધાળુઓ માટે વરદાયિની માતાજીનો આ ધર્મોત્સવ જીવનભરનું સંભારણું બન્યો હતો. રૂપાલ ગામના વરદાયિની માતાજીના મંદિરથી આસો સુદ નોમની રાત્રે પલ્લી કાઢવાની પરંપરા પાંડવકાળથી ચાલી આવે છે. પલ્લીના દર્શન કરવા માટે શુક્રવારે સવારથી ભક્તોનું આગમન શરૂ થયુ હતું. દર્શનાર્થીઓ અને ભક્તો માટે મંદિર ટ્રસ્ટ દ્વારા દિવસભર ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હોવાથી રાતના ૧૦ વાગ્યા સુધીમાં ૯ લાખથી વધુ લોકોનું રૂપાલ ગામમાં આગમન થયું હતું. લાખો ભક્તો ઊમટી પડવાના હોવાથી રૂપાલ ગામમાં જડબેસલાક સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સવારે ચાર વગ્યે મંદિરેથી પ્રસ્થાન થયેલી પલ્લી એક પછી એક ૨૭ ચકલામાંથી પસાર થઇ હતી. ત્યારે માનતા રાખનારા સેંકડો શ્રદ્ધળુઓ દ્વારા પલ્લીની જ્યોતમાં ઘીનો અભિષેક કરવામાં આવ્યો હતો.શ્રી વરદાયિની માતા દેવ સ્થાન સંસ્થા દ્વારા જણાવાયું હતું કે માતાજીની પલ્લીમાં અંદાજે ૩.૫ લાખ કિલો શુદ્ધ ઘીનો અભિષેક થયો હતો. શુદ્ધ ઘીના હાલમાં પ્રવર્તમાન બજાર ભાવ કિલોના રૂપિયા ૭૦૦ લેખે અંદાજે ૨૦ કરોડ રૂપિયાના ઘીનો અભિષેક થયો હતો. તેના કારણે રૂપાલ ગામની શેરીઓમાં ઘીની નદી વહેતી હોય તેવા દ્રશ્યો ભક્તોએ નિહાળ્યા હતાં.