Rajkot dt. 24
ભૂગર્ભ તળને રીચાર્જ કરવા માટે રાજકોટ જિલ્લામાં ૫૨૩૭ સ્ટ્રકચર્સ બનાવાશેઃ બિલ્ડર એસો. ૫૦૦, જી.આઇ.ડી.સી. ૫૦૦, શૈક્ષણિક સંસ્થાઓ ૩૦૦, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ૫૦૦, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ૫૦૦, એન.જી.ઓ.૨૫૦, મનપા ૭૦૦, રૂડા ૨૫૦ વોટર હાર્વેસ્ટીંગની સિસ્ટમ ઊભી કરશે
રાજકોટ જિલ્લામાં ‘કેચ ધ રેઇન’ માટે જળ સ્ત્રોતોનો થયો છે વધારોઃઅટલ સરોવર, ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા બનાવાયેલુ અમૃત સરોવર, ગોડલાધારનાં નવનિર્મિત પાનિયા ડેમનો સમાવેશ


જળ વ્યવસ્થાપનમાં ગુજરાત ત્રીજા ક્રમેઃ સામુહિક ઝુંબેશની જળક્રાંતિથી થશે હરિતક્રાંતિઃ ખેડૂતો- પશુપાલકોની રોજગારીમાં થશે વધારો: કુવા, તળાવ, ખેત તલાવડી, રીચાર્જ થશેઃ જળાશયોમાં કચરો ન નાખવા અનુરોધ
સરકારના ‘‘જળસંચય જનભાગીદારી અભિયાન’’ અન્વયે ભૂગર્ભ જળના તળને રીચાર્જ કરવા માટે રાજકોટની ૧૭થી પણ વધુ સ્વૈચ્છિક સંસ્થાઓ, સરકારી કચેરીઓ અને ઉદ્યોગગૃહો દ્વારા વોટર હાર્વેસ્ટીંગ સ્ટ્રકચરો તૈયાર કરવાનો લક્ષ્યાંક નિયત કરાયો છે. જેમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ૫૦૦, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર (સી.એસ.આર) દ્વારા ૫૦૦, જિલ્લા આયોજન ઓફિસ દ્વારા ૧૫૦, ડિસ્ટ્રીક પ્લાનિંગ ઓફિસ, જી.આઇ.ડી.સી.(સી.એસ.આર.) દ્વારા ૫૦૦, શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ૩૦૦, બિલ્ડર એસોસિયશન દ્વારા ૫૦૦, એન.જી.ઓ. પ્રાંત દ્વારા ૨૫૦, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ૭૦૦, રૂડા દ્વારા ૨૫૦, આર.સી.એમ. દ્વારા ૨૫૦ એમ અંદાજે ૫૨૬૩ જેટલા વોટર રૂફ ટોપ વોટર હાર્વેસ્ટીંગના કામો થશે. જેમાં હાલ, ૧૩૨૬ જેટલા સ્થળોએ આ કામનો પ્રારંભ થઇ ચૂકયો છે.
કેન્દ્રિય જળ મંત્રીશ્રી સી.આર.પાટીલ દ્વારા ‘‘જળસંચય જનભાગીદારી અભિયાન’’નો શુભારંભ સુરત જિલ્લા ખાતેથી કરાયો હતો. આ અભિયાન ખરા અર્થમાં સાર્થક થાય એ માટે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન તળે વેગવંતુ કરવામાં આવ્યુ છે. ગુજરાતે જળ વ્યવસ્થાપન ક્ષેત્રે અનેકવિધ નવીન સફળ પ્રકલ્પો હાથ ધર્યાં છે. સુજલામ્ સુફલામ્ જળ અભિયાન હેઠળ જળ સંરક્ષણ અને રેઇન વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર્સ લાગુ કરવામાં આવ્યાં છે. સાથોસાથ જળ સંરક્ષણના નળ સે જળ સહિતના વિવિધ યોજનાના કામો થઇ રહયા છે.
હયાત બોરવેલને રીચાર્જ કરી તથા નવા જળાશયોમાં વહી જતા વરસાદી પાણીને વહેતુ કરી ભુગર્ભ જળની સપાટી ઊંચી લાવવા રાષ્ટ્રીય કક્ષાએ પ્રારંભ થયેલા આ અભિયાનમાં રાજકોટ જિલ્લાની કામગીરીની નોંધ લેવાય તે માટે પ્રભારી મંત્રીશ્રી રાઘવજીભાઇ પટેલ, પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળિયા અને મહિલા અને બાળ કલ્યાણ મંત્રીશ્રી ભાનુબેન બાબરિયાના સંનિષ્ઠ પ્રયાસોથી જિલ્લા કલેકટરશ્રી પ્રભવ જોષીની અધ્યક્ષતામાં ‘‘જળસંચય જનભાગીદારી અભિયાન’’ના વિવિધ આયોજનો હાથ ધરાયા છે.
રાજકોટ જિલ્લામાં વહી જતા વરસાદી પાણીના સંગ્રહની સાથે સાથ કેટલાક જળ સ્ત્રોતોનો વધારો પણ થયો છે. જેમાં થોડા વર્ષો પહેલા રાજકોટમાં મહાનગરપાલિકા દ્વારા નવનિર્મિત અટલ સરોવર જળસંચય તો કરે જ છે ઉપરાંત, સહેલાણીઓ માટે પિકનીક સ્પોટ પણ બન્યું છે. રાજકોટ જિલ્લાના વીંછિયા તાલુકાના ગોડલાધાર (સોમપીપળિયા) ગામમાં પણ એક નવનિર્મિત સરોવર સરકાર દ્વારા બનાવવામાં આવ્યુ છે. જેમાં પ્રથમ વરસાદના નવા નીરના વધામણા ખુદ પાણી પૂરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળિયાએ કર્યા હતા. તાજેતરમાં ગીર ગંગા પરિવાર ટ્રસ્ટના દિલિપ સખિયા અને નગરસેવક(કોર્પોરેટર) કેતન પટેલના પ્રયત્નોથી રાજકોટના છેવાડાના કણકોટ ખાતે રંગોલી પાર્કમાં અમૃત સરોવરનું નિર્માણ કરાયુ છે. જેમાં આ વર્ષે સારા પડેલા અનરાધાર વરસાદથી સરોવર ઓવરફલો થઇ ગયું છે. આમ, જો ઇચ્છાશકિત હોય તો જળ સંચયનું કાર્ય શકય છે. રાજકોટના આ સરોવરની રૂબરૂ મુલાકાત લઇને કેન્દ્રીય જલ મંત્રીશ્રી સી.આર. પાટિલે લઇને રાજીપો વ્યકત કર્યો હતો.
ભારે વરસાદમાં વહી જતા વરસાદી પાણીનો જો જળ સંગ્રહ કરવામાં આવે તો પાણીની સમસ્યા ભૂતકાળ બની જશે. સરકારી સ્તરે તો જળ સગ્રહ અને જળ સંચયના અભિયાનો ચલાવવામાં આવી રહયા છે. પરંતુ, તેમાં લોકોની ભાગીદારી વધે તો ભૂગર્ભ જળ ઉંચા આવશે. જેનો લાભ આજુબાજુના સ્થાનિક લોકો અને ખેડૂતોને મળશે. “કેચ ધ રેઇન”એ મુખ્ય ધ્યેય અન્વયે ઔદ્યોગિક વસાહતો, વિવિધ સંસ્થાઓના કેમ્પસ વરસાદી પાણીનો સંગ્રહ કરવાની વ્યવસ્થાઓ ઊભી કરાશે.
સિંચાઈ વિભાગ દ્વારા બોરવેલ તથા કુવા રીચાર્જ કરવા માટેની વિવિધ પદ્ધતિઓ ધાર્મિક સામાજિક તથા સેવાભાવી સંસ્થાઓના પ્રતિનિધિશ્રીઓને વધુમાં વધુ જનજાગૃતિ ફેલાવી લોકોને જળસંચય અભિયાનમાં જોડવા તથા સંસ્થાના દરેક કેન્દ્ર તથા સભ્યના રહેણાંક વિસ્તારમાં બોરવેલ બનાવવા તથા બોરવેલના રીચાર્જ કરવાની કામગીરી કરવા પર વધુને વધુ ભાર મૂકવામાં આવે છે.
ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખશ્રી દ્વારા બોરવેલ બનાવવા અને તથા બોરવેલને રીચાર્જ કરવાની કામગીરીમાં ટેકનિકલ તથા અન્ય તમામ પ્રકારે સહયોગ આપવાની ખાતરી આપવામાં આવી હતી.
કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબીલીટીનો ઉપયોગ જળસંચયની કામગીરીમાં શાળાના યુનિવર્સિટીના જળ સંચય માટે બોરવેલ બનાવવા અને કામગીરી માટે મદદરૂપ બને છે.
ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી. દ્રૌપદી મુર્મુના હસ્તે નવી દિલ્હી ખાતે પાંચમો “રાષ્ટ્રીય જળ પુરસ્કાર” એનાયત કરાયો હતો. જેમાં સમગ્ર દેશમાં ગુજરાત અને પુડ્ડુચેરીને ઉત્તમ રાજ્ય કેટેગરીમાં દેશમાં ત્રીજું સ્થાન પ્રાપ્ત કરવા બદલ એવાર્ડ એનાયત કરાયો હતો. આ એવોર્ડ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના હસ્તે તેમજ કેન્દ્રિય જળ શક્તિ મંત્રી સી.આર. પાટિલની ઉપસ્થિતિમાં ગુજરાત સરકારના જળ સંપત્તિ વિભાગના સચિવ પી. સી. વ્યાસે સ્વીકાર્યો હતો. આ એવોર્ડ સમગ્ર ગુજરાતીઓ માટે ગૌરવ સમાન છે. આ એવોર્ડ માટે કેન્દ્રીય જળ આયોગ અને ભૂજળ બોર્ડ દ્વારા સૂચિત મૂલ્યાંકન અને ધરાતલીય ચકાસણી બાદ ઉત્તમ રાજ્ય કેટેગરીમાં ઓડિશા પ્રથમ, ઉત્તરપ્રદેશ બીજું તેમજ ગુજરાત અને પુડ્ડુચેરીએ ત્રીજું સ્થાન મેળવ્યું છે.
પારૂલ આડેસરા, રિધ્ધિ ત્રિવેદી,માહિતી ખાતુ, રાજકોટ