શરીરને તંદુરસ્ત અને સ્વસ્થ રાખવા માટે આપણે અનેક ઉપાય કરીએ છીએ. જો તમે તમારા શરીરને ફીટ રાખવા માગતા હોવ તો સવારે ખાલી પેટ વરિયાળી, જીરું અને અજમાથી બનેલ પાણીનું સેવન કરવું જોઈએ. ભારતીય કિચનમાં સરળતાથી મળી આવતાં આ મસાલા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. જો તમે 1 અઠવાડિયા સુધી આ પાણીનું સેવન કરો તો તે શરીરમાં જમા થયેલી ગંદકીને દૂર કરવામાં મદદ કરી શકે છે. આ પાણીનું સેવન કરવાથી પાચનક્રિયા સારી રહે છે. આટલું જ નહીં તે વજન ઘટાડવા માટે પણ સારું માનવામાં આવે છે. તો ચાલો જાણીએ આ ડ્રીંક કેવી રીતે બનાવવું અને તેના શું ફાયદા છે.
શરીરમાંથી સાફ થઈ જશે ગંદકી
વરિયાળી, જીરું અને અજમાનું પાણી શરીરમાં રહેલા ઝેરી તત્ત્વોને દૂર કરવામાં મદદરૂપ બને છે. તેના સેવનથી શરીરને ડિટોક્સ કરવામાં મદદ મળે છે. એટલું જ નહીં, તે કિડની અને લીવરની સફાઈમાં પણ મદદ કરી શકે છે.
કેવી રીતે બનાવવું વરિયાળી, જીરું અને અજમાનું પાણી
આ પાણી બનાવવા માટે સૌથી પહેલાં એક કડાઈમાં એક ગ્લાસ પાણી ગરમ કરો. હવે તેમાં એક ચમચી અજમો, એક ચમચી વરિયાળી અને એક ચમચી જીરું નાખીને ઉકાળવું. પાણી બરાબર ઉકળે એટલે તેને ગ્લાસમાં ગાળી લેવું. સ્વાદ વધારવા માટે તમે તેમાં મધનો પણ ઉપયોગ કરી શકો છો.
વરિયાળી, જીરું અને અજમાના પાણીના ફાયદા
વરિયાળી, જીરું અને અજમાના પાણીનું સેવન હૃદયને સ્વસ્થ રાખવાની સાથે-સાથે હાઇ બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલને કંટ્રોલમાં રાખવામાં મદદ મળી શકે છે. આ પાણીમાં એન્ટિઓક્સિડન્ટ્સ, એન્ટિ-બેક્ટેરિયલ અને એન્ટિ-ઈન્ફ્લેમેટરી ગુણ હોય છે, જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં મદદ કરી શકે છે. આ ત્રણ વસ્તુઓમાંથી બનાવેલ ડ્રીંક શરીરમાં એકઠી થતી વધારાની ચરબીને ઘટાડવામાં મદદ કરી શકે છે.