શંકરાચાર્યજી કહે છે કે આ બધા ભેદ દ્વૈતના એક ભાગરૂપે આત્મા ઉપર આરોપિત થાય છે. માટી ઉપર જેમ ઘડો આરોપિત થાય છે તેમ. બાકી તો જિંદગીમાં આવતાં સુખ-દુઃખ તો પરિસ્થિતિજન્ય હોય છે. વિષય ન હોય તો પણ જ્ઞાન હોઇ શકે છે. હવે જ્ઞાન એટલે શું એ પણ સમજવું પડે. જ્ઞાન એટલે કેવળ શાબ્દિક, અર્થબોધાત્મક અને ફકત માહિતી જ એ જ્ઞાન નથી. ઇન્ફર્મેશન એ જ્ઞાન નથી. જ્ઞાન એટલે સાક્ષાત્કાર
જીવનના કોઇ પણ ક્ષેત્રમાં સત્યનો ખૂબ મહિમા કરવામાં આવ્યો છે. ‘સત્યમેવ જયતે’ એ આપણો મુદ્રાલેખ છે. ગાંધીબાપુ આત્મકથા લખે તો એનું શીર્ષક ‘સત્યના પ્રયોગો’ આપે છે. પરંતુ સત્યનું સ્વરૂપ સમજવું એટલું સહેલું નથી. મેથ્યુ આર્નોલ્ડ જેવા વિચારક કહી ગયા છેઃ ‘‘ટ્રુથ સીટ્સ અપોન ધ લિપ્સ ઓફ ડાઇંગ મેન.’’ અર્થાત્ સત્ય હંમેશાં મરતા માણસના હોઠ ઉપર બેસે છે. કેટલીક વાર એવું પણ બને છે કે સત્ય મેળવવા માટે જૂઠું પણ બોલવું પડે છે. સત્યનું અસલી સ્વરૂપ સમજવા માટે આદિ શંકરાચાર્યની દૃષ્ટિએ વેદાંતની ભૂમિકા સમજવી પડે. સત્યના અનેક સ્તર હોય છે. દાખલા તરીકે એક જ અનુભવ એક સ્તર ઉપર સત્ય હોઇ શકે છે અને બીજા સ્તર ઉપર એ જ અનુભવ અસત્ય પણ હોઇ શકે. આપણે અનુભવ તરફ વળીએ તો એવું સમજાય છે કે આપણે સ્વપ્નમાં જે જોઇ રહ્યાં છીએ તે ઘટના સ્વપ્ન પૂરતી તો સાવ સત્ય લાગે છે, પરંતુ આપણે જેવા સ્વપ્નમાંથી જાગૃતિમાં આવીએ છીએ ત્યારે એ ઘટના અસત્ય લાગે છે. ફિલસૂફીની ભાષામાં કહીએ તો જ્ઞાન બે પ્રકારનાં છે. અવ્યભિચારી એટલે કે કાયમ ટકી રહે એવું જ્ઞાન અને વ્યભિચારી જ્ઞાન એટલે અસ્થિર જ્ઞાન. દાખલા તરીકે આપણે માટીનાં વાસણો જોઇએ તો ઘડો એ સત્ય નથી, પણ મૂળભૂત માટી એ સત્ય છે. આકાર અને નામ તો કલ્પનાનિર્મિત છે એટલે જ તે અસત્ય પુરવાર થાય છે. માટીના ઘડાને આકાર છે. નામ છે એટલે ઘડો સત્ય નથી. માટી એ મૂળભૂત દ્રવ્ય છે તેથી તે સત્ય છે. માટી એ નિત્ય છે. ઘડો અનિત્ય છે. ફૂટી પણ જાય. ઘડાનું ઠીકરું થઇ શકે. આલ્બર્ટ આઇન્સ્ટાઇન જેવા વૈજ્ઞાનિકે એના સંશોધન દ્વારા એવી શકયતા પુરવાર કરી કે ઊર્જા અને ધનદ્રવ્ય એકબીજાથી સાવ ભિન્ન નથી, પરંતુ એકબીજામાં પરિવર્તનીય છે. એટલે તે બંને વચ્ચેનો ભદ રૂપાંતરના સ્વરૂપનો ભેદ છે. આઇન્સ્ટાઇને આ દૃષ્ટાંત આપ્યું એનાથી આધ્યાત્મિકતાની પરિભાષામાં જડ અને ચેતનની ભૂમિકા સમજવી સરળ થઇ જાય છે. સાંખ્ય દર્શનની દૃષ્ટિએ જડ (એટલે પ્રકૃતિ) અને ચેતન (એટલે પુરુષ) એ અંતિમ વિભાગ છે. પરિભાષામાં કહીએ તો ‘દ્વૈતી’ છે. અદ્વૈતવાદ એમ કહે છે કે મૂળભૂત તત્ત્વ ચેતન છે. જડ એ ચેતનનું આરોપિત થયેલું રૂપાંતર છે. આદિ શંકરાચાર્ય પણ આ જ મુદ્દા ઉપર ભાર મૂકે છે (બ્રહ્મસૂતભાષ્ય ૨.૨.૧૭) ને જે આરોપિત હોય છે એને મૂળતત્ત્વ સાથે એકત્વ સાધવામાં અવરોધ નથી નડતો. અહીં એકત્વ અથવા એકતાનો મહિમા સ્થાપિત થઇ જાય છે. એકતા માટે ફિલસૂફીમાં ‘અદ્વૈત’ શબ્દ પ્રયોજાય છે.આટલી પૂર્વભૂમિકા સમજ્યા પછી આપણે અત્યારની વૈશ્વિક સમસ્યાઓને સમજવાનો પ્રયાસ કરીએ. ખાસ કરીને ભારત જેવા દેશમાં જાતિ, ભાષા, જ્ઞાતિ, રાગદ્વેષ, ઊંચનીચ, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, હિન્દુ, મુસલમાન, પારસી અને અંગ્રેજ જેવા ભેદ જોવા મળે છે. હકીકતમાં આ બધા જ ભેદ આત્મા ઉપર આરોપિત થયેલા ભેદ છે. આપણે એ વાત સાવ ભૂલી ગયા છીએ કે વિશ્વમાં અને શરીરમાં સર્વત્ર એક જ તત્ત્વ ભરેલું છે. આપણને સર્વને નિત્યનો અનુભવ દ્વૈતનો જ થાય છે. આ જ મુદ્દાને વધુ સરળતાથી સમજવા માટે આપણે નિદ્રા પાસે જઇએ. નિદ્રા અથવા સુષુપ્તિને સમજવી પડે છે. સુ-સુપ્તિ એટલે ગાઢ અસ્વપ્ન નિદ્રા. આપણે જ્યારે ઘસઘસાટ ઊંઘતા હોઇએ છીએ ત્યારે દ્વૈતનું કશું ભાન જ રહેતું નથી. ઊંઘમાં ફકત અખંડ અને એકરસતા જ હોય છે. ઊંઘમાં નાતજાત, સ્ત્રી-પુરુષ, હિન્દુ-મુસલમાન, કાકા, મામા, ભત્રીજા જેવા સમાજ નિર્મિત કોઇ પણ કાલ્પનિક ભેદભાવ હોતા જ નથી. પરંતુ જેવા જાગીએ છીએ કે તરત જ આપણે આ કાલ્પનિક ભેદભાવમાં સરી પડીએ છીએ. સંપ્રદાયોના ભેદભાવને સહુ જાણે છે. શંકરાચાર્યજી કહે છે કે આ બધા ભેદ દ્વૈતના એક ભાગરૂપે આત્મા ઉપર આરોપિત થાય છે. માટી ઉપર જેમ ઘડો આરોપિત થાય છે તેમ. બાકી તો જિંદગીમાં આવતાં સુખ-દુઃખ તો પરિસ્થિતિજન્ય હોય છે. વિષય ન હોય તો પણ જ્ઞાન હોઇ શકે છે. હવે જ્ઞાન એટલે શું એ પણ સમજવું પડે. જ્ઞાન એટલે કેવળ શાબ્દિક, અર્થબોધાત્મક અને ફકત માહિતી જ એ જ્ઞાન નથી. ઇન્ફર્મેશન એ જ્ઞાન નથી. જ્ઞાન એટલે સાક્ષાત્કાર. અનુભવથી મળતું જ્ઞાન દુર્લભ હોય છે. આપણે બધાં જ ‘મોક્ષ’ ઇચ્છુક છીએ. કહેવાય છે કે મૃત્યુ પામ્યા વિના સ્વર્ગ દેખાતું નથી. મર્યા વિના મોક્ષ મળતો નથી. અહીં ખાસ સમજવા જેવું છે કે મોક્ષનો સંબંધ મૃત્યુ સાથે નથી. જે ક્ષણે જ્ઞાનનો સાક્ષાત્કાર થાય છે તે જ ક્ષણે માનવી મુકત થતો હોય છે. સાક્ષાત્કાર થયો કે મોક્ષ થઇ ગયો. હિન્દુ ધર્મ સહિષ્ણુ છે એનું મુખ્ય કારણ વૈચારિક નેતૃત્વએ ભકિતના ક્ષેત્રમાં ભકતને આપેલું સંપૂર્ણ સ્વાતંત્ર્ય છે.