New Delhi,તા.04
રશિયા-યુક્રેન યુદ્ધ સમાપ્ત થવાની આશા હવે ભારત સાથે જોડાયેલી જણાય છે. અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ બન્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે યુદ્ધ રોકવાનું વચન આપ્યું હતું. હવે આ મામલે તેઓ રશિયાના રાષ્ટ્ર પ્રમુખ વ્લાદિમીર પુતિનને વહેલી તકે મળવા માંગે છે. રશિયાના રાષ્ટ્ર પ્રમુખ પુતિને પણ આ બેઠક માટે ઈચ્છા વ્યક્ત કરી છે. પરંતુ, સવાલ એ થાય છે કે આ ઐતિહાસિક સભા ક્યાં થશે?
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ક્રેમલિન એવા દેશોની યાદી તૈયાર કરી રહ્યું છે જ્યાં આ બેઠક યોજાઈ શકે છે. આ દરમિયાન ભારતનું નામ સૌથી યોગ્ય વિકલ્પ તરીકે ઉભરી આવ્યું છે. ક્રેમલિન સાથે જોડાયેલા ઘણાં લોકોનું માનવું છે કે, આ બેઠક ભારતની ધરતી પર સફળ થઈ શકે છે.
ભારત ક્વાડનું સભ્ય છે અને ભારત 2025માં QUAD કોન્ફરન્સની અધ્યક્ષતા કરવા જઈ રહ્યું છે. જેમાં અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ આવવાના છે. આ વર્ષે રશિયા અને અમેરિકા બંનેના રાષ્ટ્ર પ્રમુખ ભારતની મુલાકાતે આવશે.આ સિવાય ભારતની સ્થિતિ અને રાજદ્વારી ભૂમિકા તેને એક આદર્શ પ્લેટફોર્મ બનાવે છે જ્યાં શાંતિની આશા જાગી શકે છે.
જો આ બેઠક ભારતમાં થાય છે, તો તે ન માત્ર રશિયા-યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવા માટે એક મોટું પગલું હશે, પરંતુ તે ભારતની રાજદ્વારી વિશ્વસનીયતાને પણ નવી ઊંચાઈઓ પર લઈ જશે. જોકે, આ બેઠક ક્યાં થાય છે તેની સ્પષ્ટ માહિતી તમામ દેશોની સત્તાવાર જાહેરાત બાદ જ મળી શકશે.