Sydney,તા.07
ભારત, ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડના ક્રિકેટ બોર્ડ સાથે મળીને ત્રણ મોટા દેશો વચ્ચે વધુ શ્રેણીનું આયોજન કરવા માટે દ્વિ-સ્તરીય ટેસ્ટ સિસ્ટમની શક્યતા પર વિચાર કરી રહી છે. ‘ધ એજ’ના અહેવાલ મુજબ, આઇસીસીના નવાં અધ્યક્ષ જય શાહ આ મહિનાનાં અંતમાં ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના અધ્યક્ષ માઈક વાર્ડ અને ક્રિકેટ ઈંગ્લેન્ડના વડા રિચર્ડ થોમ્પસન સાથે વાત કરશે. અખબારે સૂત્રોને ટાંકીને કહ્યું કે, ’ટેસ્ટ ક્રિકેટમાં દ્વિ-સ્તરીય સિસ્ટમ માટેની કોઈપણ યોજના વર્તમાન ભાવિ ટૂર શેડ્યૂલ 2027 માં સમાપ્ત થયાં પછી જ શરૂ થશે.
બીસીસીઆઈ હાલમાં 12 જાન્યુઆરીએ મુંબઈમાં સ્પેશિયલ જનરલ મીટિંગ માટે તૈયારી કરી રહ્યું છે જેમાં વચગાળાનાં સચિવ દેવજીત સૈકિયા પૂર્ણ-સમયનો હોદ્દો સંભાળશે. શાહ આઈસીસીના અધ્યક્ષ બન્યાં પછી ખાલી પડેલાં પદ પર સૈકિયાને વચગાળાનાં સચિવ તરીકે ચૂંટવામાં આવ્યાં હતાં.
બીસીસીઆઈના એક સૂત્રએ કહ્યું, ’અમારી પાસે હજુ સુધી આ વિશે કોઈ માહિતી નથી. એસજીએમ માટે તૈયારીઓ કરવામાં આવી રહી છે અને તાજેતરમાં પૂરાં થયેલાં ઓસ્ટ્રેલિયા પ્રવાસ અંગે પણ ચર્ચા કરવામાં આવશે.
થોડા વર્ષો પહેલાં આ અંગે ચર્ચા થઈ હતી પરંતુ ત્યારપછી કંઈ સાંભળવામાં આવ્યું નથી. આ ચર્ચા વર્ષ 2016માં થઈ હતી. બીસીસીઆઈના એક અધિકારીએ જણાવ્યું હતું કે આઈસીસીના કોરિડોરમાં પ્રથમ વખત દ્વિસ્તરીય ટેસ્ટ સિસ્ટમ અંગે ચર્ચા 2016 માં શરૂ થઈ હતી.
બીસીસીઆઈ સિવાય જીવાવ્સ અને બાંગ્લાદેશનાં ક્રિકેટ બોર્ડે આવાં કોઈપણ પગલાનો વિરોધ કર્યો છે. તેમને લાગે છે કે આનાથી તેમની આવકમાં ઘટાડો થશે. તે એમ પણ કહે છે કે આનાથી નાનાં દેશોને ટોચની ટીમો સામે રમવાની તક નહીં મળે.
શાસ્ત્રીનું જોરદાર સમર્થન
ભારતીય ક્રિકેટ ટીમનાં પૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ ’ટુ-ટીયર ટેસ્ટ સિસ્ટમ’નું સમર્થન કર્યું છે. તેનું માનવું છે કે ટેસ્ટ ક્રિકેટને જીવંત રાખવા માટે શ્રેષ્ઠ ખેલાડીઓએ શ્રેષ્ઠ સામે રમવું જોઈએ. શાસ્ત્રીએ કહ્યું કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી શ્રેણી દરમિયાન ભીડની હાજરીનો સદી લાંબો રેકોર્ડ તોડવો એ સાબિતી છે કે જ્યારે શ્રેષ્ઠ ટીમો રમે છે, ત્યારે રમતનું શ્રેષ્ઠ ફોર્મેટ જીવંત રહે છે.
પરંતુ, જો આમ ન થાય તો ઘણી અરાજકતા સર્જાય છે. તેમનાં મતે, જો બે શ્રેષ્ઠ ટીમો રમતી ન હોય તો આટલી ભીડ ઉપલબ્ધ ન થઈ હોત અને રમત પણ પાંચમાં દિવસ સુધી ચાલું ન રહી હોત. ત્યારબાદ ચાર દિવસીય ટેસ્ટની માંગ ઉભી થવા લાગશે.