Sambhal,તા.10
સંભલની જામા મસ્જિદના વિવાદમાં સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશ સરકારને નોટિસ પાઠવી છે. આ નોટિસમાં સુપ્રીમ કોર્ટે સરકાર પાસેથી સ્ટેટસ રિપોર્ટ માંગ્યો છે. આ નોટિસ સંભલ જામા મસ્જિદ મેનેજમેન્ટ કમિટીની અરજી પર જારી કરવામાં આવી છે.
અરજીમાં, મસ્જિદ સમિતિનાં મેનેજમેન્ટે માંગ કરી હતી કે જિલ્લા મેજિસ્ટ્રેટને યથાસ્થિતિ જાળવવા માટે સૂચના આપવામાં આવે. વાસ્તવમાં, જે ખાનગી કૂવો ખોદવામાં આવી રહ્યો છે તે મસ્જિદની સીડી પાસે આવેલો છે.
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ સંજય કુમારની બનેલી ખંડપીઠે પ્રશાસનને નગરપાલિકાની નોટિસ પર કાર્યવાહી ન કરવાનો નિર્દેશ પણ આપ્યો હતો, જેમાં જાહેર કૂવાને હરિ મંદિર તરીકે વર્ણવવામાં આવ્યો છે અને તેની પૂજા કરવાની મંજૂરી આપવામાં આવી છે. હવે સુપ્રીમ કોર્ટે પોતાનાં આદેશમાં પૂજા પર પ્રતિબંધ લગાવી દીધો છે.
જો કે, કૂવાના જાહેર ઉપયોગ માટે મુક્તિ છે. સુપ્રીમે સરકારને બે અઠવાડિયાની અંદર સ્ટેટસ રિપોર્ટ સબમિટ કરવા આદેશ કર્યો છે. સંભલ જામા મસ્જિદ પ્રબંધન સમિતિએ ટ્રાયલ કોર્ટનાં આદેશને પડકારતી સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. ટ્રાયલ કોર્ટે 19 નવેમ્બર 2024 ના રોજ મસ્જિદના સર્વેનો નિર્દેશ આપ્યો હતો.
મસ્જિદ સમિતિ વતી વરિષ્ઠ વકીલ હુફૈઝા અહમદી સુપ્રીમ કોર્ટમાં હાજર હતાં. પ્રતિવાદી વતી વરિષ્ઠ વકીલ વિષ્ણુ શંકર જૈન હાજર રહ્યાં હતાં. જૈને કોર્ટને જણાવ્યું કે કૂવો મસ્જિદની બહાર આવેલો છે. જ્યારે અહમદીએ કહ્યું કે કૂવો અડધો અંદર અને અડધો મસ્જિદની બહાર છે. અહમદીએ એવો પણ દાવો કર્યો હતો કે કૂવો માત્ર મસ્જિદના ઉપયોગ માટે હતો.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો કૂવાનો ઉપયોગ મસ્જિદની બહારથી થઈ રહ્યો છે તો તેમાં કોઈ વાંધો નથી. સુપ્રીમ કોર્ટે કેસનાં નિકાલ સુધી તમામ કારણ બતાવો નોટિસની કાર્યવાહી પર રોક લગાવી છે. આ કેસની આગામી સુનાવણી 21 ફેબ્રુઆરીએ થશે.