Gujarat,તા.24
ગુજરાત સરકારે પ્રજાને રાહત આપતો નિર્ણય કર્યો છે. રાજ્યના ઊર્જા મંત્રી કનુ દેસાઈએ પત્રકાર પરિષદ યોજી ફ્યુલ ચાર્જમાં યુનિટ દીઠ 40 પૈસાનો ઘટાડો કર્યો છે. ઓક્ટોબર 2024થી ડિસેમ્બર 2024માં વસૂલાત પાત્ર ફ્યુઅલ સરચાર્જમાં 40 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે, જે બીજો સુધારો ના થાય ત્યાં સુધી ચાલુ રહેશે.
તેમણે કહ્યું હતું કે, ફ્યુઅલ સરચાર્જમાં 40 પૈસાના ઘટાડાના પરિણામે રાજ્યના અંદાજે 1.75 કરોડ ગ્રાહકોને ઓકટોબરથી ડિસેમ્બર 2024 દરમિયાન કરવામાં આવેલા વીજ વપરાશ ઉપર આશરે રૂ.1,120 કરોડનો લાભ થશે.
ગુજરાત વીજ નિયમન આયોગ દ્વારા મંજૂર કરાયેલા ફ્યુઅલ સરચાર્જની ફોર્મ્યુલા મુજબ એપ્રિલ-2024થી સપ્ટેમ્બર 2024ના સંબંધિત ત્રિમાસિક સમયગાળા દરમિયાન વીજ બળતણના ભાવોમાં થયેલ ફેરફાર મુજબ રાજ્ય હસ્તકની વીજ વિતરણ કંપની દ્વારા ગ્રાહકો પાસેથી રૂ. 2.85 પ્રતિ યુનિટનો ફ્યુઅલ સરચાર્જ (FPPPA)ની વસૂલાત કરવામાં આવતી હતી.
વધુમાં તેમણે કહ્યું કે, ઓકટોબર -2024 થી ડિસેમ્બર 2024ના પ્રવર્તમાન ત્રિમાસિક સમયગાળા દરમિ યાન પણ રૂ. 2.85 પ્રતિ યુનિટ ના દરે ફ્યુઅલ સરચાર્જ (FPPPA)ની વસૂલાત કરવામાં આવે છે. રાજ્ય સરકાર હસ્તકની વીજ વિતરણ કંપનીઓ દ્વારા ચાલુ વર્ષ દરમિયાન અસરકારક રીતે ફયુલ સરચાર્જનો દર જાળવી રાખ્યો છે.
વધુમાં,ચાલુ નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન યોગ્ય અને કાર્યક્ષમ વીજ ખરીદના સંચાલન અને સ્થિર વીજ ખરીદના દરને ધ્યાને લઇ, રાજ્ય સરકાર દ્વારા ગ્રાહકોના વિશાળ હિતમાં ફ્યુઅલ સરચાર્જના દરમાં પ્રતિ યુનિટ 40 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે. જે મુજબ તા. 1 ઓક્ટોબર 2024થી પ્રવર્તમાન ત્રિમાસિક સમય ગાળા દરમિયાન કરેલા વીજ વપરાશ ઉપર ગ્રાહકોને પ્રતિ યુનિટ 40 પૈસાનો લાભ થશે.
તેમણે ઉમેર્યું કે, ઓકટોબરથી ડિસેમ્બર 2024ના સમયગાળામાં આ ફ્યુઅલ સરચાર્જનો દર રૂ. 2.85થી ઘટાડીને રૂ. 2.45 પ્રતિ યુનિટના દરની વસૂલાત કરવામાં આવશે.આ ફ્યુઅલ સરચાર્જમાં 40 પૈસાના ઘટાડાના પરિણામે રાજ્યના અંદાજે 1.75 કરોડ ગ્રાહકોને ઓકટોબર થી ડીસેમ્બર 2024 દરમ્યાન કરેલ વીજ વપરાશ ઉપર આશરે રૂ 1120 કરોડનો લાભ થશે.
વધુમાં,જે રહેણાંકીય ગ્રાહકો દ્વારા માસિક 100 યુનિટનો વીજ વપરાશ કરવામાં આવે છે, તેવા કિસ્સામાં ઉપરોક્ત ફ્યુઅલ સરચાર્જના ઘટાડાને પરિણામે અંદાજે રૂ 50 થી 60/-ની માસિક બચત થશે.
લોકસભા ચૂંટણી પહેલાં 50 પૈસાનો કર્યો હતો ઘટાડો
અત્રે ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત સરકારે જાન્યુઆરીથી માર્ચના ફ્યુઅલ સરચાર્જમાં 50 પૈસાનો ઘટાડો કર્યો હતો. ઓક્ટોબર મહિનાથી ડિસેમ્બર દરમિયાન રાજ્ય હસ્તકની વીજ વિતરણ કંપની દ્વારા ગ્રાહકો પાસેથી રૂપિયા 3.35 પ્રતિ યુનિટનો ફ્યુઅલ સરચાર્જ (FPPPA)ની વસૂલાતો હતો. જોકે ત્રિમાસિક ગાળાની સરખામણીએ ફયુઅલ સરચાર્જના દરમાં 50 પૈસાનો ઘટાડો કરાયો હતો.