જીલ્લા બેંક સામેની રીટ હાઇકોર્ટમાંથી પાછી ખેંચાઇ
રાજકોટ સહિત રાજ્યભરના સહકારી – રાજકીય ક્ષેત્રમાં તીવ્ર પ્રત્યાઘાત સર્જનાર અઢી વર્ષ જુના પ્રકરણ પર પડદો: સમાધાન શરતી કે શરણાગતિ?
RAJKOT, તા.6
રાજકોટ સહિત રાજ્યભરના સહકારી અને રાજકીય ક્ષેત્રમાં ખળભળાટ સર્જનારા ભાજપના જ બે જુથો વચ્ચેના સંઘર્ષમાં છેવટે સમાધાન થઇ ગયું છે. સહકારી નેતા અને ધારાસભ્ય જયેશ રાદડીયાના વડપણ હેઠળની રાજકોટ જિલ્લા સહકારી બેંકમાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારના આરોપ સાથે હાઇકોર્ટમાં દાવો કરનારા સહકારી જુથે એકા-એક રીટ અરજી પાછી ખેંચી લીધી છે જેને પગલે અઢી વર્ષથી ચાલતા વિવાદ પર પડદો પડી ગયો છે.
બંને જુથ વચ્ચેનું સમાધાન પૂર્વ શરત કે ચોક્કસ કમીટમેન્ટ આધારીત છે કે રાદડીયા સામે મેદાને પડેલા જુથે શરણાગતિ સ્વીકારી લીધી તે વિષે જોરદાર અટકળોનો દોર શરૂ થયો છે.
સહકારી નેતા જયેશ રાદડીયાના વડપણ હેઠળના રાજકોટ જિલ્લા સહકારી બેંકની ભરતીમાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર અને અન્ય અનેકવિધ ગોટાળાઓના આક્ષેપ સાથે રાજકોટ જિલ્લાનું જ હરદેવસિંહ જાડેજા, પરસોતમ સાવલીયા, નીતિન ઢાકેચા અને વિજય સખીયાનું જુથ મેદાને પડ્યું હતું. કથીત ભ્રષ્ટાચાર વિશે સૌ પ્રથમ રાજ્ય સરકાર તથા ભાજપના પ્રમુખ પ્રમુખને રૂબરૂ અને લેખિત ફરિયાદ કરીને પગલા લેવાની માંગ થઇ હતી.
પરંતુ તેમાં કોઇ પરિણામ નહીં આવતા છેવટે આ જુથે હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. ફેબ્રુઆરી-2022થી કાનૂની જંગ શરુ થયો હતો અને અત્યાર સુધીમાં ડઝનબંધ મુદતો પડી હતી. જેમાં જે દરમ્યાન હાઇકોર્ટે જિલ્લા રજીસ્ટ્રારનો રીપોર્ટ માંગવા સહિતના આદેશો કર્યા હતા. પરંતુ કોઇ આખરી ચુકાદો આવ્યો ન હતો. સમગ્ર કેસ સુનાવણીના તબક્કે ગયા હતો.
રાદડિયા તથા જાડેજા-સાવલીયા જુથ વચ્ચે સમાધાન કરાવવા માટે ભાજપ લેવલ ઉપરાંત ખોડલધામના ચેરમેન નરેશ પટેલ દ્વારા પણ એક થી વધુ વખત પ્રયત્ન થયા હતા પરંતુ દરેક વખતે વાત બનતી ન હતી અને સમાધાનની વાટાઘાટો ભાંગી પડતી હતી. છેવટે ત્રણ દિવસ પૂર્વે સહકારી આગેવાનો વચ્ચેની બેઠકમાં સમાધાનનો તખ્તો ઘડાઇ ગયો હતો અને બંને જુથ હથિયાર હેઠા મુકવા સહમત થઇ ગયા હતા અને તેના ભાગરૂપે ગઇકાલની હાઇકોર્ટની મુદતમાં રીટ અરજી પાછી ખેંચી લેવાની અરજી સુપરત કરી દેવામાં આવી હતી.
રાદડિયા અને જાડેજા-સાવલીયા જુથ વચ્ચે એકાએક સમાધાન થવા સાથે રીટ અરજી પાછી ખેંચાતા સહકારી અને રાજકીય ક્ષેત્રમાં અનેકવિધ તર્ક-વિર્તકો શરુ થયા છે. કંઇ શરતે સમાધાન થયું તે વિશે જુદી-જુદી અટકળો વ્યકત થઇ રહી છે જો કે બંને જુથો દ્વારા આ વિષે કોઇ ફોડ પાડવામાં આવતો નથી.
મગન વડાવિયા-ડાયાભાઇ પટેલે રોલ ભજવ્યો: ત્રણ દિ’ પૂર્વે રાદડિયાની હાજરીમાં બેઠકમાં નિર્ણય
રાજકોટ જિલ્લાના સહકારી ક્ષેત્રમાં વર્ષોથી સામસામી લડાઇ પર રહેલા રાદડિયા અને જાડેજા-સાવલીયા જુથ વચ્ચે સમાધાન થઇ ગયું છે જેમાં સહકારી આગેવાનો મગન વડાવિયા અને ડાયાભાઇ પટેલે ઘણો મોટો ભાગ ભજવ્યો હોવાના નિર્દેશ સાંપડ્યા છે.
માહિતગાર સુત્રોએ જણાવ્યું હતું કે, જયેશ રાદડિયા તથા પરસોતમ સાવલીયા, હરદેવસિંહ જાડેજા, નીતિન ઢાકેચા, વિજય સખીયાને બંને સહકારી આગેવાનોએ એક સાથે બેસાડ્યા હતા. વિજય સખીયાની ઓફિસે યોજાયેલી આ બેઠકમાં બંને જુથોએ એક બીજા સામેની ફરિયાદો કરી હતી અને મધ્યસ્થી એવા મગન વડાવિયા તથા ડાયાભાઇ પટેલે બંને જુથોને જુના મતભેદો ભુલીને નવેસરથી સાથે મળી સહકારી ક્ષેત્રના વિકાસમાં ભાગ ભજવવાનું આહવાન કરતાં બંને જુથ સહમત થઇ ગયા હતા.
અડધો કલાક કરતાં વધુ સમય સુધી ચાલેલી આ બેઠકમાં સમાધાનનો તખ્તો તૈયાર કરી લેવામાં આવ્યો હતો જે અંતર્ગત હાઇકોર્ટમાં રીટ અરજી કરનાર જાડેજા-સાવલિયા જુથે રીટ અરજી પાછી ખેંચી લેવાનું સ્વીકારી લીધુ હતું. આ કેસમાં ગઇકાલે જ હાઇકોર્ટમાં મુદત હતી જેમાં રીટ અરજી કરનાર જાડેજા-સાવલીયા જુથે કેસ પાછો ખેંચી અરજી રજુ કરી દીધી હતી. કાયદાકિય પ્રક્રિયા મુજબ હાઇકોર્ટ દ્વારા હવે આગામી મુદતમાં તેનો ફેંસલો કરવામાં આવશે.
‘કોમન મિત્રો’ના ખાસ આગ્રહ હેઠળ નિર્ણય લીધો: કોઇ પૂર્વ શરત નથી: પરસોતમ સાવલીયાની સાફ વાત
રાજકોટ જિલ્લા બેંકમાં ભરતી સહિતના પ્રકરણમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયાના આરોપ સાથે હાઇકોર્ટમાં દાવો દાખલ કરનાર સહકારી આગેવાનો પરસોતમ સાવલિયા, હરદેવસિંહ જાડેજા, નીતિન ઢાકેચા તથા વિજય સખીયાએ કેસ પાછો ખેંચી લેવાની પ્રક્રિયા કરી લીધી છે એકાએક આ પ્રકારના નિર્ણય વિશે પરસોતમ સાવલિયાનો સંપર્ક કરવામાં આવતા તેઓએ જણાવ્યું હતું કે સહકારી તથા રાજકીય ક્ષેત્રના ‘કોમન મિત્રો’ના સતત આગ્રહ અને દબાણને કારણે આ નિર્ણય લેવાયો છે.
કોઇપણ સમારોહ કે કાર્યક્રમોમાં કોમન મિત્રો લડાઇ ખત્મ કરવાનો આગ્રહ કરતાં હતા અને છેવટે તેમને માન આપવા કેસ પાછો ખેંચવાનું નક્કી કર્યું છે. સમાધાનમાં કોઇ પૂર્વ શરત કે કમીટમેન્ટ રાખવામાં આવ્યા નથી. આ કેસમાં હાર થયાનો કે શરણાગતિ સ્વીકાર્યાનો અથવા કોઇ કમિટમેન્ટ મેળવવાનો કોઇ સવાલ
નથી.