New Delhi, તા.24
પાટનગર દિલ્હીમાં ફરી એક વખત શરુ થયેલા પ્રદૂષણ મુદ્દે આજે સુપ્રિમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને આડે હાથે લેતા પરાડી સળગાવનારા સામે શા માટે આકરા પગલા લેવાતા નથી તે પ્રશ્ન પૂછ્યો હતો.
ગઇકાલે જ સર્વોચ્ચ અદાલતે બંને રાજ્ય સરકારોની આકરી ઝાટકણી કાઢી હતી અને કહ્યું હતું કે તમો કારણ રજૂ કરતા રહો અમે સુનાવણી કરતા રહીએ અને પ્રદૂષણ વધતું રહેશે. રાજ્ય અને કેન્દ્ર સરકાર વચ્ચે સંકલન નહીં હોવા અંગે સુપ્રિમ કોર્ટે પૂછ્યું હતું કે, પ્રદૂષણ વધવા પાછળ મુખ્ય આ કારણ જ જવાબદાર છે અને તમામ સંબંધીત પક્ષો છેતરામણી રજુઆત કરી રહ્યા છે.
સુપ્રિમ કોર્ટના ન્યાયમૂર્તિ અભય ઓકાના વડપણ હેઠળની ખંડપીઠે જણાવ્યું હતું કે સ્વચ્છ હવા એ દેશના લોકોનો મુળભૂત અધિકાર છે અને તે બંધારણીય કલમ 21માં દર્શાવાયું છે. પ્રદૂષણ મુક્ત વાતાવરણ એ દરેક નાગરિકોને ઉપલબ્ધ થવો જોઇએ.
આ ફકત કાયદાનો અમલનો જ પ્રશ્ન નથી પરંતુ સરકારે લોકોના અધિકારોનું રક્ષણ કરવાનું છે. પરંતુ સરકારો તેમાં ઉણી ઉતરી રહી છે. સર્વોચ્ચ અદાલતે ગઇકાલે કહ્યું હતું કે ફકત સુપ્રિમમાં સુનાવણીથી પ્રદૂષણ ઘટશે નહીં પરંતુ સરકારોએ સાથે રહી નક્કર કામગીરી કરવાની રહેશે.