Gandhinagar,તા.06
ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી, ગાંધીનગર ખાતે રાજયના તમામ મદદનીશ સરકારી વકીલો (આસીસ્ટન્ટ પબ્લીક પ્રોસીકયુટર્સ) માટે રવિવારે યોજાયેલા એક દિવસીય તાલીમ શિબિરના ઉદઘાટન પ્રસંગે કાયદામંત્રી ઋષિકેશ પટેલે સંકેત આપ્યો હતો કે, ગુજરાતમાં ન્યાય પ્રણાલીને વધુ પારદર્શી બનાવવા માટે હાઈકોર્ટ બાદ તમામ જિલ્લા કોર્ટને પણ ટેકનોલોજીથી સુસજજ કરાશે. એના પછી હાઈકોર્ટની જેમ તેની પણ કાર્યવાહીનું જીવંત પ્રસારણ શકય બનશે.
કાયદા વિભાગ અને ડાયરેક્ટોરેટ ઓફ પ્રોસીક્યુશન કચેરી યોજીત તાલીમ કાર્યક્રમમાં કાયદામંત્રીના હસ્તે તમામ આસી. પ્રોસીકયુટર્સને લેપટોપ આપવામાં આવ્યા હતા.
આ પ્રસંગે ઋષિકેશ પટેલે જણાવ્યું કે, વકીલનું પ્રોફેશન એ સમાજનું એક અમૂલ્ય ઘરેણું છે, જે નિર્દોષને ન્યાય અને દોષીને યોગ્ય સજા અપાવીને એક સુરક્ષિત સમાજનું નિર્માણ કરે છે. ગુજરાતના નાગરિકોનો લોકશાહી અને ન્યાય પ્રણાલી પર વિશ્વાસ વધુ દ્દઢ બને તે માટે એક નવતર પ્રયાસના ભાગરૂપે ગુજરાત હાઈકોર્ટમાં થતા ટ્રાયલ કે સુનાવણીને ટેકનોલોજીના માધ્યમથી લાઈવ અને પારદર્શી બનાવવામાં આવી છે.
આગામી સમયમાં ગુજરાતની તમામ જિલ્લા કોર્ટમાં પણ ટેકનોલોજીના સુયોગ્ય ઉપયોગથી આ પ્રકારની સુવિધાઓ વિકસાવવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું કે, પ્રાચીન સમયમાં ભારતના નાગરિકોમાં કાયદો આત્મસાત હતો.
બ્રિટીશરો ભારતમાં આવ્યા બાદ તેમણે તેમની અનુકુળતા મુજબના ફોજદારી કાયદાઓ અમલમાં મુકયા હતા. ભારતની આઝાદીના 75 વર્ષ સુધી આ કાયદાઓ અમલમાં રહ્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમીત શાહના દિશાનિર્દેશ હેઠળ ભારતમાં લોકશાહીના રક્ષણ કરવા નવા ત્રણ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023, ભારતીય ન્યાય સંહિતા-2023 અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ-2023 કાયદા અમલમાં મુકાયા છે.
આજની તાલીમથી તમામ મદદનીશ સરકારી વકીલોને આ ત્રણ નવા ફોજદારી કાયદા અંગે વિગતવાર માહિતી મળશે, જેથી અદાલતમાં ઝડપથી કેસ કેવી રીતે ચાલે તે માટે તૈયાર થઈ શકશે.