Rajkot તા.23
ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને આધીન બાર કાઉન્સિલ ઓફ ગુજરાત પ્રોવિઝનલ સનદ આપશે. નવનિયુકત વકીલોને ઝડપથી સનદ મળી જાય તે માટે દિવાળી અને બેસતા વર્ષના રજાના દિવસોમાં ચેરમેન, વાઈસ ચેરમેન, સમિતિના સભ્યો બીસીજી ઓફિસે કામગીરી કરશે. આશરે 5થી 6 હજાર પ્રોવિઝનલ સનદ ઈશ્યુ કરવા રોજ મોડી રાત સુધી કામગીરી ચાલશે તેમ બીસીજી ચેરમેન જે.જે. પટેલે જણાવ્યું છે.
બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના લીગલ એજયુકેશન રૂલ્સને આધારે લો-કોલેજોએ તેના એફીલીએશન તથા એપ્રુવલ માટે ભરવાની થતી ફી ભરેલ ન હોવાને કારણે બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા તમામ સ્ટેટ બાર કાઉન્સિલને આવી નોન-એફીલીએશન કે નોન-એપ્રુવલ વાળી લો-કોલેજોના વિદ્યાર્થીઓની સનદની નોંધણી નહિ કરવા સુચન કરેલ.
જે બાબતે નોન- એફીલીએશન કે નોન-એપ્રુવલ લો-કોલેજના વિદ્યાર્થીઓએ હાઈકોર્ટમાં રીટ પીટીશન દાખલ કરીને તેઓને ઓલ ઈન્ડિયા બાર એકઝામીનેશનમાં બેસવા દેવા મંજુરી આપવા માટે દાદ માંગેલ હતી. આવી તમામ રીટ પીટીશનોમાં ગુજરાત હાઈકોર્ટના ન્યાયમૂર્તિ અનિરૂધ્દ પી. માયીએ તા.21/10/2024ના રોજ હુકમ કરીને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને ગ્રાન્ટ-ઈન-એઈડ નોન-એફીલીએશન કે નોન-એપ્રુવલ લો-કોલેજના તમામ વિદ્યાર્થીઓ કે જેઓએ સનદ મેળવવા માટેના ફોર્મ ભરેલા છે તેમને પ્રોવીઝનલ એનરોલમેન્ટ મંજુર કરવા વચગાળાનો આદેશ કરેલ છે.
હાઈકોર્ટના હુકમ અનુસંધાને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન જે.જે. પટેલ, વાઈસ ચેરમેન મુકેશભાઈ કામદાર, એનરોલમેન્ટ કમિટીના ચેરમેન મનોજ એમ. અનડકટ, સભ્યો કિશોરકુમાર આર. ત્રિવેદી અને હિતેશ જે. પટેલે એક સંયુકત અખબારી યાદીમાં જણાવ્યું છે કે હાઈકોર્ટના હુકમને આધિન રહીને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની એનરોલમેન્ટ કમિટી યુધ્ધના ધોરણે કાર્યરત રહી અંદાજે 5,000થી 6,000 અરજદારોને પ્રોવીઝનલ એનરોલમેન્ટ મંજુર કરશે જેથી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં સનદ મેળવવા માટે અરજી કરી હોય તેવા તમામ અરજદારો કે જેમની લો-કોલેજો એફીલીએશન કે એપ્રુવલ ન હોય તો પણ બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની ઓલ ઈન્ડિયા બાર એકઝામ આપી શકશે તેમ બીસીજીના ઈન્ચાર્જ સેક્રેટરી સિધ્ધિ ડી. ભાવસારની યાદીમાં જણાવાયું છે.