Lahore,તા.૧૩
૯ મે, ૨૦૨૩ ના રોજ થયેલી હિંસા સંબંધિત આઠ કેસોમાં ધરપકડ બાદ જેલમાં બંધ પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાને લાહોર હાઇકોર્ટમાં જામીન મેળવવા માટે અરજી કરી છે. આ કેસોમાં એક વરિષ્ઠ લશ્કરી અધિકારીના નિવાસસ્થાન પર હુમલો પણ સામેલ છે. શનિવારે લાહોર હાઈકોર્ટ સમક્ષ અલગ-અલગ જામીન અરજીઓ દાખલ કરવામાં આવી હતી. ગયા વર્ષે નવેમ્બરમાં, લાહોરની આતંકવાદ વિરોધી કોર્ટે આ કેસોમાં ખાનને જામીન આપવાનો ઇનકાર કર્યો હતો.
ઈમરાન ખાન (૭૨) એ પોતાની અરજીઓમાં દલીલ કરી હતી કે ૯ મેના રોજ તેમની ધરપકડ બાદ ફાટી નીકળેલી હિંસામાં ફરિયાદ પક્ષ તેમની સંડોવણી સાબિત કરવામાં નિષ્ફળ રહ્યો છે. ૯ મે ૨૦૨૩ ના રોજ ઇસ્લામાબાદ હાઇકોર્ટ સંકુલમાંથી અર્ધલશ્કરી રેન્જર્સ દ્વારા ખાનની ધરપકડ બાદ હિંસક વિરોધ પ્રદર્શનો ફાટી નીકળ્યા હતા. તેમના પક્ષના કાર્યકરોએ જિન્ના હાઉસ (લાહોર કોર્પ્સ કમાન્ડર હાઉસ), મિયાંવાલી એરબેઝ અને ફૈસલાબાદમાં ૈંજીૈં બિલ્ડિંગ સહિત એક ડઝન લશ્કરી સ્થાપનોમાં તોડફોડ કરી.
ટોળાએ રાવલપિંડીમાં આર્મી હેડક્વાર્ટર પર પણ હુમલો કર્યો. ખાને કહ્યું કે “ફક્ત રાજકીય કારણોસર તેમને હેરાન કરવા અને અપમાનિત કરવાના સુનિયોજિત કાવતરા” ના પરિણામે તેમને ૯ મેના કેસોમાં ફસાવવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે આ કેસોમાં તેમની સામે એકમાત્ર આરોપ “ઉશ્કેરણી”નો છે, જે ફરિયાદ પક્ષ દ્વારા ખૂબ જ અસ્પષ્ટ રીતે રજૂ કરવામાં આવ્યો છે. લાહોર હાઈકોર્ટ સોમવારે ખાનની અરજી પર વિચાર કરી શકે છે. ખાન ઓગસ્ટ ૨૦૨૩ થી અનેક કેસોના સંબંધમાં જેલમાં છે.